
નાગપુર: નાગપુરની ફાર્મા કંપનીના યુનિટમાં રિએક્ટરમાં ધડાકો થતાં એકનું મોત નીપજ્યું હતું, જ્યારે ઘવાયેલા છને હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. જખમીઓમાંથી એકની હાલત નાજુક હોવાનું કહેવાય છે.
પોલીસના જણાવ્યા મુજબ મંગળવારની સવારે 11 વાગ્યાની આસપાસ બ્લાસ્ટ થયો હતો. નાગપુરના ભીલગાંવ ખાતે આવેલી અંકિત પલ્પ્સ ઍન્ડ બોર્ડ્સ પ્રાઈવેટ લિમિટેડના યુનિટમાં ગ્લાસ લાઈન રિએક્ટરમાં ધડાકો થયો હતો. જોકે ધડાકો થવાનું કારણ તાત્કાલિક જાણી શકાયું નહોતું.
ધડાકામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને છ જણ ઘવાયા હતા. જખમીઓને સારવાર માટે નજીકના કામ્પ્ટી શહેરની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં એકની હાલત ગંભીર હોવાનું વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
કંપની માઈક્રોક્રિસ્ટલલાઈન સેલ્યુલસ (એમસીસી)નું ઉત્પાદન કરે છે, જે ફાર્માસ્યુટિકલ અને ફૂડ ઈન્ડસ્ટ્રીઝમાં ઉપયોગમાં લેવાય છે. એમસીસીનો મુખ્યત્વે ફાર્મા ઉદ્યોગમાં બાઈન્ડર-ફિલર તરીકે ઉપયોગ થાય છે. (પીટીઆઈ)