મનભેદ; ક્ષત્રિય સમાજની બે મહિલાઓ આમને-સામને- પદ્મિની બા વિરુદ્ધ ગીતા બા

હજુ ત્રણ દિવસ પહેલા તો રૂપાલા વિરુદ્ધ રચાયેલી ક્ષત્રિય સમાજ સંકલન સમિતિએ પોતાના ક્ષત્રિય-રાજપૂત અસ્મિતા આંદોલનને વિરામ આપવાની જાહેરાત ભરી પ્રેસ કોન્ફરન્સમાં કર્યાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં જ સંકલન સમિતિ સામે મોરચો માંડી ચૂકેલા પદ્મિની બા વાળાએ રૂપાળાને માફ કરી દીધાની જાહેરાત કરી દીધી.આ સાથે જ એક નવી ચર્ચાએ વેગ પકડ્યો કે, ‘બા (ભાજપમાં ) આવે છે’. રાજકોટમાં લોકસભાના ઉમેદવાર પરસોત્તમ ભાઈ રૂપાલાના એક નિવેદન બાદ સમગ્ર ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું ચિત્ર બદલાઈ ગયું હતું. અને ભાજપના ક્ષત્રિય નેતાઓ સહિત પૂર્વ મંત્રીઓ,પ્રદેશ અધ્યક્ષ ‘ડેમેજ કંટ્રોલ’ કરવા જીલ્લે-જીલ્લે ઊડી રહ્યા હતા.
આ એ જ પદ્મિની બા છે જેઓએ રૂપાલા વિરુદ્ધ ઉપવાસ કર્યા,અને તબિયત લથડી હતી. કેટલીક સમજાવટ બાદ તેઓએ પારણાં કર્યા હતા. હવે પદ્મિની બાએ ક્ષત્રિય સમાજ સંકલન સમિતિની મહેચ્છાઓ સામે સવાલ ઉઠાવી કેટલાક સદસ્યોને પણ ચોખ્ખું સંભળાવી દીધું હતું. ત્યાર બાદ, સંકલન સમિતિએ આંદોલન વિરામની ઘોષણા કરી. જો કે, શંકરસિંહ વાઘેલાએ આંદોલનની દિશા અંગે ખોડલધામમાં જ મીડિયાને ઈશારો કરી દીધો હતો. અને લગભગ,સ્ક્રીપ્ટ પણ એ જ પ્રમાણે હતી. હવે અમદાવાદમા કરણી સેના સેનાએ પત્રકાર પરિષદમાં રૂપાલા અને ભાજપ સામે ગંભીર આરોપો લગાવ્યા છે .
આ પણ વાંચો: ગુજરાતના ક્ષત્રિય આંદોલનની અસર અમેઠીમાં, કરણી સેનાએ સ્મૃતિ ઈરાનીનો કર્યો વિરોધ
રૂપાલાની જીત થઈ તો EVMને આભારી -ગીતા બા પરમાર
એક તરફ ક્ષત્રિય રાજપૂત સંકલન સમિતિના કન્વીનર કરણસિંહ ચાવડાએ કહ્યું હતું કે, અમોને લોકસભા ચૂંટણીમા તમામ બેઠકો પર રૂપાલા જ દેખાતા હતા. ક્ષત્રિય સમાજે લોકસભા બેઠક પર 80 ટકા મતદાન કર્યું છે. એટલે રૂપાલા તો હારશે જ. સાથોસાથ તેમણે એ પણ સ્વીકાર્યું કે અમારી લડાઈ કોઈ જય-પરાજય માટે નહોતી. હવે કરણી સેનાના મહિલાધ્યક્ષા ગીતા બા પરમારે એક નિવેદન આપી સનસનાટી મચાવી દીધી છે. ગીતા બા એ ઉમેર્યું કે, પદ્મિની બા વાળા વારંવાર વિરોધ કરી રહ્યા હતા. શુક્રવારે તેમણે ‘નારી શક્તિ રૂપાલાને માફ કરે છે,તેવા નિવેદનમાં અમે નથી.અમે પણ નારી શક્તિમાથી આવીએ છીએ પણ અમે માફી નથી આપતા.
જો રૂપાલા આ લોકસભાની રાજકોટ બેઠક જીતશે તો અમે રાજકોટમાં ધરણાં કરીશું. વધુમાં તેઓએ ઉમેર્યું કે આ ધરણાં,ક્ષત્રિય કરણીસેનાના નેજા હેઠળ થશે. અને જરૂરતના સમયે અમો દિલ્લીના જંતર-મંતર પીઆર પણ આવા જ ધરણાં કરીશું. રૂપાલા આ બેઠક જીતે તો કઈ કેટલાય કાવાદાવા કે EVMના સહારે જીતશે.ભલે, સંકલન સમિતિ અને અમારા વચ્ચે વિચાર ભેદ હોય પણ લક્ષ્ય હજુ પણ ( રૂપાલા અને ભાજપ જ) છે.
કરણી સેના રાષ્ટ્રીય મહામંત્રી પ્રજ્ઞા બા એ શું કહ્યું ?
કરણી સેના રાષ્ટ્રીય મહામંત્રી પ્રજ્ઞા બા એ પુછ્યું કે પદમીની બા માફી આપનાર કોણ ? તેમણે આ પ્રકારનો કોઈ અધિકાર જ નથી.અમો પોતે જ પદ્મિની બા વાળાનો બહિસ્કાર કરી રહ્યા છીએ અને ઠેર-ઠેર તેઓનો વિરોધ થઈ રહ્યો છે. રૂપાલાને કોઈ કાળે માફી આપવામાં નહીં આવે. કોઈ એક વ્યક્તિને શો અધિકાર ,માફી આપવાનો ?
આમ હવે ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ અને કરણી સેના વચ્ચે પણ ફાંટા દેખાય છે. ત્યારે પદ્મિની બા ના રૂપાલાને માફ કર્યાના નિવેદન ફરિ એકવાર ક્ષત્રિય સમાજના આંદોલનની નવી કેડી કંડારવાનો પ્રયાસ કર્યો હોવાની ચર્ચા જોરમાં છે.