આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

મહારાષ્ટ્રની આઠ બેઠક પરના પ્રચાર પડઘમ શાંતઃ શુક્રવારે 1.49 કરોડ મતદાર કરશે મતદાન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
લોકસભાની ચૂંટણીના બીજા તબક્કામાં મહારાષ્ટ્રની આઠ બેઠક પર મતદાન થવાનું છે ત્યાં બુધવારે સાંજે પ્રચારના પડઘમ શાંત થયા હતા. શુક્રવારે જે આઠ બેઠક પર મતદાન થવાનું છે તેને માટે કુલ 204 ઉમેદવાર મેદાનમાં છે, જ્યારે મહારાષ્ટ્રમાં લગભગ 1.49 કરોડ જેટલા મતદાર મતદાન કરશે.

પશ્ચિમ વિદર્ભની બુલઢાણા, અકોલા, અમરાવતી, વર્ધા, યવતમાળ-વાશિમ અને મરાઠવાડાની હિંગોલી, નાંદેડ અને પરભણી લોકસભા બેઠકો પર 26 તારીખે 16,589 પોલિંગ સેન્ટર પર સવારે સાત વાગ્યાથી લઈને સાંજે છ વાગ્યા સુધી મતદાન થશે. કુલ 1,49,25,912 મતદારોમાં 77,21,374 પુરુષ અને 72,04,106 મહિલા અને 432 થર્ડ જેન્ડરના મતદારો 204 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.

અમરાવતીમાં સૌથી વધુ 37 ઉમેદવાર છે. ત્યાર પછી પરભણીમાં 34, હિંગોલીમાં 33, વર્ધામાં 24, નાંદેડમાં 23, બુલઢાણામાં 21, યવતમાળ-વાશિમમાં 17 અને અકોલામાં 15 ઉમેદવાર મેદાનમાં છે. બીજા તબક્કામાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના વચ્ચે બુલઢાણા, યવતમાળ-વાશિમ અને હિંગોલી બેઠક પર સીધી લડાઈ છે. બુલઢાણામાં શિવસેનાના વર્તમાન સાંસદ પ્રતાપરાવ જાધવ સામે શિવસેના (યુબીટી)ના નરેન્દ્ર ખેડેકર મેદાનમાં છે.

આપણ વાંચો: મહારાષ્ટ્રના કદાવર નેતાએ મોદીની તુલના પુતિન સાથે કરી

યવતમાળ-વાશિમમાં શિવસેનાએ વર્તમાન સાંસદ ભાવના ગવળીના સ્થાને રાજશ્રી પાટીલને ઉમેદવારી આપી છે, જ્યારે તેની સામે શિવસેના (યુબીટી)ના સંજય દેશમુખની સીધી લડાઈ છે. હિંગોલી બેઠક પરથી વર્તમાન સાંસદ હેમંત પાટીલને પડતા મુકીને શિવસેનાએ બાબુરાવ કોહલીકરને ઉમેદવારી આપી છે. પરભણી બેઠક પર રાષ્ટ્રીય સમાજ પક્ષના મહાદેવ જાનકર રાજ્યની મહાયુતિના ઘટક પક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે, તેમની સામે શિવસેના (યુબીટી)ના વર્તમાન સાંસદ સંજય જાધવનો પડકાર છે.

ડૉ. બાબાસાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરના નેતૃત્વ હેઠળની વંચિત બહુજન આઘાડીએ આ આઠમાંથી સાત બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા હોવાથી રસાકસી જામવાની શક્યતા જોવાઈ રહી છે. પ્રકાશ આંબેડકર પોતે અકોલા બેઠક પરથી લડી રહ્યા છે. તેના ભાઈ આનંદરાજ આંબેડકર રિપબ્લિક સેનાના પ્રતિનિધિ તરીકે અમરાવતીથી ચૂંટણી લડી રહ્યા છે. અકોલામાં ભાજપના અનુપ ધોત્રે, કૉંગ્રેસના અભય પાટીલ અને પ્રકાશ આંબેડકર વચ્ચે ત્રિપાંખીયો જંગ થશે. અમરાવતીમાં અપક્ષ સંસદસભ્ય નવનીત રાણા હવે ભાજપના ઉમેદવાર તરીકે મેદાનમાં છે અને તેમની સામે કૉંગ્રેસના બળવંત વાનખેડે, પ્રહાર જનશક્તિ પાર્ટીના દિનેશ બુબ મેદાનમાં છે.

વર્ધામાં વર્તમાન સાંસદ ભાજપના રામદાસ તડસની સામે એનસીપી (એસપી)ના ઉમેદવાર અમર કાળે વચ્ચે મુકાબલો થશે. નાંદેડમાં વર્તમાન સંસદસભ્ય ભાજપના પ્રતાપ ચીખલીકર સામે કૉંગ્રેસના ઉમેદવાર વસંત ચવ્હાણ મેદાનમાં છે. બીજા તબક્કાના મતદાન બાદ વિદર્ભની બધી જ બેઠકો પરની ચૂંટણી પૂરી થઈ જશે. 19 એપ્રિલે વિદર્ભની પાંચ બેઠકો નાગપુર, રામટેક, ચંદ્રપુર, ભંડારા-ગોંદિયા અને ગઢચિરોલી-ચિમુર પર મતદાન થયું હતું અને 63.70 ટકા મતદાન નોંધાયું હતું. આ વખતે મતદાન વધારવાનો ચૂંટણી પંચનો પ્રયાસ રહેશે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker