લાડકી

ભાભી, તમે થોડાં થોડાં થાવ વરણાગી…

  • કૌશિક મહેતા

ડિયર હની,

આપણે ત્યાં સંબંધોમાં જે વૈવિધ્ય અને સૌન્દર્ય છે એ અન્ય સંસ્કૃતિમાં ભાગ્યે જ જોવા મળે છે. એમાંય કુટુંબ પ્રથામાં કોઈ યુવતી સાસરે પરણીને આવે તો ઘણા બધા સંબધો પિયરમાં છોડીને આવે છે પણ સાસરિયામાં એને નવા સંબંધોનો પરિચય થાય છે. પરિવારમાં પતિ-પત્ની જ નહિ, પણ સાસુ-સસરા, જેઠ-જેઠાણી અને દિયર-નણંદનાં સંબંધ બંધાય છે. એમાં દિયરનો સંબંધ જરા વિશિષ્ટ છે. આ સંબંધનાં એકથી વધુ પરિમાણ છે. દિયર એ ભાભી માટે દોસ્ત છે-ભાઈ છે ને પુત્ર સમાન પણ છે.

યુવતી સાસરે આવે ત્યારે કોને શું ભાવે છે, કોનો સ્વભાવ કેવો છે…એ બધું કોને પૂછે? પતિ નોકરીએ કે વેપાર માટે જાય એટલે સાંજે ઘેર આવે અને સાસુને પૂછવામાં વહુને સંકોચ થતો હોય છે. એની પાસે બે જ વિકલ્પ રહે છે. દિયર કે પછી નણંદ. દિયર ભોજાઈનો સંબંધ બહુ વિશિષ્ટ છે. આપણે ત્યાં એક ગીત બહુ લોકપ્રિય છે:

હવે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી
ઓ ભાભી! તમે થોડા થોડા થાવ વરણાગી.

નવી ફેશનની ધૂન બધે લાગી,
ઓ ભાભી! તમે થોડા થોડા થાવ વરણાગી…

અવિનાશ વ્યાસનું આ ગીત રમતિયાળ છે અને એમાં દિયર ભોજાઈનાં સંબંધને બહુ હળવાશથી રજૂ કરવામાં આવ્યો છે.

ભાઈને કેમ ગમવું અને ઘરમાં કેમ બધાની સાથે હળીમળી જવું એ વિશે દિયર સલાહ આપે છે.

તને મજાની વાત કરું. ભાભી પરણીને ઘેર આવ્યાં ત્યારે એમનેય મૂંઝવણ રહેતી કે, ઘરના ક્યા સભ્યને શું ભાવે છે, પોતાની રસોઈ બધાને ફાવશે કે કેમ? એ મને પૂછતાં કે, મગનું શાક કઈ રીતે કરવું? આપણા ઘરમાં મગનું શાક કઈ રીતે થાય છે? એમાં કેવા મસાલા પડે છે. આવી કેટલીય વાત માટે એ મને પૂછતા રહેતાં. મેં તો એમને ભાઈ સાથે સગાઇ થઈ ગયા બાદ પિયર હતા ત્યારે અને લગ્ન થઇ ગયા બાદ પિયરે જતાં ત્યારે બહુબધા કાગળો લખ્યા છે. દિયર-ભોજાઈનો સંબંધ પરિવારના બંધનને મજબૂત બનાવવામાં મદદ કરે છે. ભાભી ઘરની નવી સભ્ય હોય છે અને દિયર એને પરિવારમાં ભળી જવા મદદ કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો નવી નવી ભાભી માટે દિયર નવા ઘરનો ભોમિયો હોય છે, માર્ગદર્શક હોય છે.

ઘણા પરિવારોમાં આ સંબંધમાં હળવાશ અને મજાક-મસ્તી જોવા મળે છે. દિયર પોતાની ભાભી સાથે નિર્દોષ મજાક કરી શકે છે અને ભાભી પણ એને વાત્સલ્ય આપે છે. જો પતિ બહાર હોય કે કોઈ કારણસર હાજર ન હોય, તો ભાભીને ઘરના કામકાજમાં કે અન્ય બાબતમાં દિયર મદદ કરી શકે છે. એ નાના ભાઈ તરીકે ભાભીનું રક્ષણ પણ કરી શકે છે. કેટલાક કિસ્સાઓમાં, જો દિયર ઉંમરમાં નાનો હોય, તો ભાભી એને પોતાના પુત્ર સમાન પ્રેમ પણ આપે છે.

મને ખબર છે કે, તારે કોઈ દિયર નથી. એટલે આ સંબંધનો લાભ તને મળ્યો નથી, પણ એ સંબંધ તે મારા દોસ્તો સાથે કે પછી અન્ય પિતરાઈ ભાઈઓ સાથે બાંધી ઉજવ્યો છે. જોકે, આ સંબંધમાં જ્યારે મર્યાદા ઓળંગી જવાય ત્યારે
અનર્થ થઇ બેસે છે. ઘણી ફિલ્મો, સિરિયલ કે નાટકોમાં આવા સંબંધોનાં કારણે પરિવારમાં કલેશ થતા જોયા છે. આપણી આસપાસ પણ આવા કિસ્સાઓ બનતા રહે છે.

આપણે ત્યાં તો દિયરવટાની પ્રથા પણ રહી છે. એ પ્રથા પાછળનો હેતુ ગમે તેટલો સારો હોય, આજના સમયમાં એ ઇચ્છનીય નથી. હા, એ ખરું કે, પતિનું અકાળે આવસાન થાય ત્યારે ઘરની વહુ ઘરમાં રહે અને એને જીવનસાથી મળી જાય એટલે દિયર સાથે પરણાવવામાં આવતી, પણ આ રીતે બંધાતા સંબંધમાં વિધવાની સંમતિ કેટલી એ પ્રશ્ન તો રહ્યો જ છે.

મેં તો એક પરિવારમાં આવી ઘટના બની એ વિશે એક સ્ટોરી પણ કરી હતી. એક સુખી પરિવારમાં પતિનું અકાળે અવસાન થાય છે. એને નાનું બાળક હોય છે. હવે શું? એ પ્રશ્ન પરિવારમાં થાય એ સ્વાભાવિક છે. પરિવારે બહુ વિચાર કર્યા પછી નક્કી થયું કે, વિધવા વહુને દિયર સાથે પરણાવવી. વહુને પૂછવામાં આવ્યું ત્યારે એણે સમય માગ્યો. દિયર પહેલા મૂંઝવણમાં હતો કે જેને ભાભી માનતો આવ્યો એની સાથે ઘરસંસાર કેમ માંડવો.

આપણ વાંચો:  ફેશન: ઓલ ટાઈમ ફેવરિટ શોર્ટ ડ્રેસ

પણ થોડા સમય બાદ દિયર ભોજાઈ બંને એકબીજા સાથે જીવન વિતાવવા તૈયાર થઇ ગયાં. ધામધૂમથી બંનેના લગ્ન થયા. વહુના મનમાં પણ વિચાર તો આવ્યો જ હશે કે, જેને નાનો ભાઈ માન્યો એની સાથે બાકીનું જીવન વિતાવવાનું? પણ લગ્ન થયા અને આજેય બંનેનો સંસાર એકદમ સુખી છે. વધુ સંતાનો પણ થયા છે. જોકે, આવા સુખદ અંત બધા કિસ્સામાં આવતા નથી અને કદાચ એટલે જ હવે દિયરવટાની પ્રથાનો લગભગ અંત આવી ગયો છે. હા, કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં ક્યારેક આવા કિસ્સા બને છે, જેમાં મોટાભાગના કિસ્સામાં વિધવાની પસંદગીને બહુ મહત્ત્વ અપાતું નથી. એ વખતે દલીલ તો એવી થતી જ હતી કે, પતિના મૃત્યુ પછી વિધવાને સામાજિક અને આર્થિક સુરક્ષા મળતી હતી. તેને બેઘર થવાનો કે ભટકવાનો ભય રહેતો નહોતો. બાળક હોય તો એ બાળકોને પિતાની છત્રછાયા અને પરિવારનો સહારો મળતો હતો. એમને પારકા ન થવું પડતું. પરિવારની જમીન-જાયદાદ કે સંપત્તિ બહાર ન જતાં પરિવારમાં જ રહેતી હતી… આ દલીલોમાં કેટલુક સત્ય જરૂર છે છતાં આ પ્રથાના કારણે વિધવા પોતાની ઇચ્છાથી વિરુદ્ધ પરિવારની ઇચ્છાને તાબે થવું પડતું હોય છે. એટલે આવી પ્રથા ઇચ્છનીય નથી અને આમેય હવે સયુંકત કુટુંબની પ્રથા પણ તૂટતી જાય છે. પરિણામે આવા સંબંધોની ગરિમા રહી નથી.

તારો બન્ની

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button