લાડકી

ભારતની વીરાંગનાઓ : સત્તર ભૂમિકા એક ફિલ્મમાં ભજવનારાં લલિતા પવાર

  • ટીના દોશી

એક એવી અભિનેત્રી જેણે મૂક ફિલ્મો સહિત સાતસો કરતાં પણ વધુ ફિલ્મોમાં કામ કર્યું હોય, સૌથી લાંબી ફિલ્મી કારકિર્દી બદલ જેનું નામ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું હોય, જેણે એક ફિલ્મમાં સત્તર પાત્ર ભજવીને વિક્રમ સર્જ્યો હોય, જેણે રૂપેરી પરદે પહેલી વાર બિકિની પહેરીને વિવાદ સર્જ્યો હોય અને જેણે કોઈ છોછ વિના ચુંબનનું દ્રશ્ય આપ્યું હોય અને છતાં એ ‘મંથરા’ તરીકે જ ઓળખાતી હોય…..

હા. વાત છે લલિતા પવારની…. ભારતીય સિનેમાની પહેલી ખલનાયિકાની… માત્ર બાર વર્ષની ઉંમરે ફિલ્મી કારકિર્દીનો આરંભ કરીને સાતસો કરતાંય વધુ ફિલ્મોમાં અભિનય કરનાર લલિતા પવાર. મૂક ફિલ્મોની મૌન ભાષાથી માંડીને બોલકી ફિલ્મોની વાચાળતાના જાદુઈ દોરને નિહાળનાર લલિતા પવાર. સૌથી લાંબી ફિલ્મી કારકિર્દી બદલ ગિનેસ બુકમાં જેનું નામ નોંધાયું છે એ લલિતા પવાર. 1935માં પ્રદર્શિત થયેલી હિમ્મત-એ-મર્દા ફિલ્મમાં લલિતા પવારે બિકિની પહેરવાની હિંમત કરેલી. એ પછી પતિભક્તિ ફિલ્મમાં ચુંબનનાં દ્રશ્યો આપેલાં. પોતે નિર્માણ કરેલી કૈલાશ નામની ફિલ્મમાં લલિતા પવારે ટ્રીપલ રોલ કરેલો. નાયિકા, ખલનાયિકા અને માતાનું પાત્ર ભજવેલું. એ પછી ચતુર સુંદરી ફિલ્મમાં સત્તર ભૂમિકા ભજવીને વિક્રમ સર્જેલો…અને છતાં, લલિતા પવારનું નામ પડે એટલે વઢકણી સાસુ યાદ આવે અથવા તો સ્મરણ થાય રામાયણની મંથરાનું… રૂપેરી પરદાની એ પહેલી ખલનાયિકા બની.

લલિતા પવારનું જીવન પણ ફિલ્મી કથા જેવું જ હતું. શૂન્યથી શિખરે અને શિખરેથી ખીણમાં ગબડવાની કથા. ફરી તળિયેથી ટોચ પર પહોંચવાની કથા…. લલિતા પવારનો જન્મ જ કોઈ ફિલ્મી દ્રશ્ય જેવો થયેલો. એ દિવસ હતો 18 એપ્રિલ 1916. લલિતાની માતા અનસૂયા મંદિરે ગયેલી. મંદિરના દ્વારે પહોંચતાં એને પ્રસૂતિપીડા થવા લાગી. એને હોસ્પિટલ સુધી લઈ જવાનો સમય નહોતો. એણે મંદિરની બહાર દીકરીને જન્મ આપ્યો. એ દીકરી એ લલિતા. જોકે લલિતાનો જન્મ થયો ત્યારે એનું નામ અંબા રખાયેલું. એ નાનપણથી જ સ્વરૂપવતી હતી. એની આંખો બેહદ ખૂબસૂરત હતી.

શ્રીમંત પરિવારની અંબાને ફિલ્મો પ્રત્યે ગજબનું ખેંચાણ હતું. એક વાર અંબા એક ફિલ્મ સ્ટુડિયોમાં ગઈ. પોતે ફોટામાં કેવી દેખાય છે એ જોવા ત્યાંના નિર્માતા પાસે પોતાની તસવીર લેવડાવી. નિર્માતા એનો ફોટોજેનિક ચહેરો જોઈને એટલા પ્રભાવિત થયા કે તરત જ એને પોતાની નવી ફિલ્મ માટે સાઈન કરી લીધી. 1928માં મૂક ફિલ્મ પતિતોદ્ધાર આવી. પછી મસ્તીખોર માશૂક, ભવાની તલવાર,પ્યારી કટાર, જલતા જિગર… અંબા અંબૂ તરીકે જાણીતી થઈ ગયેલી. દરમિયાન ગણપતરાવ પવાર નામના ફિલ્મ દિગ્દર્શક સાથે અંબાના લગ્ન થયા. એમણે દિલેર જિગર નામે મૂક સ્ટંટ ફિલ્મ બનાવી. ફિલ્મમાં અંબૂએ મુખ્ય ભૂમિકા અદા કરવા ઉપરાંત સ્ટંટનાં દ્રશ્યો પણ ભજવેલાં.

મૂક ફિલ્મો પછી બોલપટનો જમાનો આવ્યો. 1935માં અંબૂની પહેલી બોલતી ફિલ્મ આવી. નામ હિમ્મત-એ-મર્દા. આ અરસામાં એણે બે ફિલ્મનું નિર્માણ કર્યું. લિયો ટોલ્સટોયના ઉપન્યાસ ‘રિસરેકશન’ પર આધારિત દુનિયા ક્યા હૈ અને બીજી ફિલ્મ કૈલાશ. દરમિયાન, 1942માં જંગ-એ-આઝાદી નામની ફિલ્મમાં અંબૂ અને ભગવાનદાદા કામ કરી રહેલાં. એક દ્રશ્યમાં એમણે અંબૂને થપ્પડ મારવાની હતી. ભગવાનદાદાએ એટલી જોરથી થપ્પડ જડી દીધી કે અંબૂના કાનમાંથી લોહી વહેવા માંડ્યું. એની જમણી આંખની નસ ફાટી ગઈ. અંબૂને તરત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. પણ અયોગ્ય સારવારને પગલે અંબૂનું જમણું અંગ લકવાગ્રસ્ત થઈ ગયું. ધીમે ધીમે તબિયત સુધરી પણ જમણી આંખ સંકોચાઈ ગઈ. અભિનયની ટોચે પહોંચેલી અંબૂ સીધી જ ખીણમાં ગબડી પડી. એને ફિલ્મો મળતી બંધ થઈ ગઈ. એવામાં એક દિવસ પોતાના ગુરુ સાથે મુલાકાત થઈ. અંબૂએ પોતાની મૂંઝવણ જણાવી. ગુરુએ કહ્યું, હવે તારે નવા નામ અને નવી ઓળખ સાથે સિનેજગતમાં પ્રવેશ કરવો પડશે.

આ નવું નામ એ લલિતા પવાર અને નવી ઓળખ એ નાયિકામાંથી ખલનાયિકા અને ચરિત્ર નાયિકાની ભૂમિકા. 1944માં રામશાસ્ત્રી ફિલ્મમાં લલિતાએ વઢકણી સાસુનું પાત્ર ભજવ્યું. એ પછી 1948માં ગૃહસ્થી અને પછી વી. શાંતારામની દહેજ. આ ફિલ્મોથી લલિતા ક્રૂર, કપટી ને કાવતરાખોર સાસુ તરીકે પ્રસ્થાપિત થઈ ગઈ. ભારતીય સિનેમાની પ્રથમ ખલનાયિકા બની ગઈ.

લલિતાના અભિનયમાં પૂનમના ચંદ્રની જેમ ચડતી થઈ રહેલી. પણ અંગત જીવનમાં અમાસના ચાંદની પેઠે પડતી થઈ રહેલી. બન્યું એવું કે ખલનાયિકાનું પાત્ર ભજવતી લલિતાને ખબર પડી કે એના પતિ ગણપતરાવના જીવનમાં કોઈ બીજી સ્ત્રી આવી છે. થોડીક તપાસ પછી જ ખબર પડી ગઈ કે એ સ્ત્રી બીજું કોઈ નહીં, પણ લલિતાની સગ્ગી નાની બહેન જ હતી. પોતાની બહેન જ પોતાના જીવનની ખલનાયિકા બનેલી, એથી લલિતાએ છૂટાછેડા માટેની અદાલતી કાર્યવાહી શરૂ કરી દીધી. ગણપતરાવથી અલગ થઈને એણે ફિલ્મનિર્માતા રાજપ્રકાશ ગુપ્તા સાથે લગ્ન કર્યાં.

આપણ વાંચો:  બ્યુટી પ્લસ -ઓલ ટાઈમ ફેવરિટ અંબોડો

દરમિયાન ફિલ્મી સફર ચાલતી રહી. ટચૂકડે પરદે કામ કરવાની પણ તક મળી. નેવુંના દાયકામાં રામાનંદ સાગરે રામાયણ ધારાવાહિકમાં મંથરાના પાત્રમાં લલિતા પવારને લીધી. લલિતાએ મંથરાને જીવંત કરવામાં કોઈ મણા ન રાખી. રામાયણ પછી લલિતાએ ભાગ્યે જ કોઈ ફિલ્મમાં કામ કર્યું હશે. ઢળતી ઉંમરે લલિતાનું શરીર રોગનું ઘર બન્યું. જડબાના કેન્સરે અજગરી ભરડો લીધો. લલિતા પુણે જઈ વસી. એ કહેતી, મેં દુષ્ટ પાત્રોની ભૂમિકા ભજવી છે, એની સજા ભોગવી રહી છું… 24 ફેબ્રુઆરી 1998ના જીવનની અંતિમ ક્ષણે લલિતા પાસે પોતાનું કહેવાય એવું કોઈ નહોતું. પુત્રએ ફોન કર્યો ત્યારે ઘંટડી વાગતી રહી. ઘેર પહોંચ્યો ત્યારે ખબર પડી કે લલિતાના મૃત્યુને ત્રણ દિવસ થઈ ગયેલા. કેવી કમનસીબી… લલિતાને જીવન નામી મળ્યું અને મૃત્યુ ગુમનામ..!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button