ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી: લક્ષ્ય કેળવવું મુશ્કેલ છે, છતાં…

- શ્ર્વેતા જોષી અંતાણી
ઋતા એટલે વસંત ઋતુ જેવી હસતી-ખેલતી, ખૂબસૂરત, ખુશમિજાજ તરુણી. આજકાલ જાણે મુરઝાય રહી છે. જીવનમાં હજુ હમણાં દસમા ધોરણે દસ્તક દીધા બાદ રમતગમતમાંથી ભણવા તરફ વળેલી ઋતાએ એકાગ્રતા કેળવવાના શક્ય એટલાં દરેક પ્રયત્ન કરી લીધા,
પણ સફળતા કોઈ રીતે હાથમાં આવતી નહોતી. વાંચવામાં, ભણવામાં એનું મન બિલ્કુલ નહોતું લાગતું. મન બહુ ચંચળ હોય છે એવું એણે આજ દિન સુધી માત્ર સાંભળેલું, પરંતુ હવે એ સાંગોપાંગ અનુભવાય રહ્યું હતું.
ઋતાની અકળામણનો કોઈ પાર નહોતો. કોની પાસે પોતાની સમસ્યાનું સમાધાન મળશે એની પણ કોઈ જાણકારી નહોતી. એવામાં ન્યૂઝપેપરમાં કેરીઅર ગાઈડન્સ માટેના એક ફ્રી સેમિનારની જાહેરાત જોઈ એનું મન હરકતમાં આવ્યું. પોતાના ચાર-પાંચ ફ્રેન્ડ્સ સાથે નક્કી કરી લીધું કે, જઈને એકવાર જોઈએ તો ખરા શું સમજાવે છે? પણ, ત્યાં પહોંચ્યા બાદ ઋતા સાથે એજ થયું જે દરરોજ ઘર, સ્કૂલ, કલાસીસમાં થતું આવતું. એ માંડ દસ મિનિટ જેટલું જ ધ્યાનથી સાંભળી શકી પછી ખલ્લાસ…. જો કયાંય મન ચોંટે તો એનું નામ ઋતા નહીં.
જેમ તરુણાવસ્થાનાં વર્ષો વિતતાં ચાલ્યાં તેમ કોઈ વાતે એક જગ્યાએ ઋતાનું મન શાંત ના રહેવાની સમસ્યા વધતી ગઈ. પરિણામસ્વરૂપ ધીરે ધીરે એને ઠપકો પડવાનું શરૂ થયું. સ્કૂલ ટેસ્ટના રિઝલ્ટ્સ ખરાબ આવવાં લાગ્યાં . પ્રોજેકટ્સ અધૂરા રહેવા લાગ્યા. અને એક સમયે જે લોકો ઋતાના વખાણ કરતાં થાકતાં નહોતા એમણે ઋતાને અળખામણી બનાવતાં સહેજપણ વાર લગાડી નહીં.
આખરે, હતાશાથી તદ્દન ભાંગી પડેલી ઋતાને ભણવામાંથી ડ્રોપ આઉટ લેવાની ફરજ પડી….
આ પણ વાંચો…ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી: કાલ્પનિક મૈત્રીની આભાસી દુનિયા…
ઋતાની જેમ જ હંમેશાં એકધારું, એક જગ્યાએ બેસી ના શકતાં કોઈ પ્લાન કે વર્કઆઉટ માટે સમયનો વ્યવસ્થિત ઉપયોગ ના કરી શકતા કે લગભગ દરેક બાબતમાં અતિ બેદરકાર સાબિત થતાં ટીનએજર્સની એકાગ્રતા છીનવાઈ જવાનું કારણ છે ન્યુરો બાયોલોજી. એક અભ્યાસ મુજબ તરુણો શારીરિક રીતે વિકાસ પામી એડલ્ટ જેવા દેખાવા તો લાગે છે, પરંતુ એની માનસિક ઉંમર ક્યારેક વીસ વર્ષ કે તેથી વધુ ઉંમરે પણ બાળક જેવી હોઈ શકે છે. એટલાં માટે જ ટીનએજ બ્રેન ઘણું ભજ્ઞળાહશભફયિંમ ગણાતુ આવ્યું છે.
ઋતાને જે સમસ્યાનો સામનો કરવો પડ્યો એવી સમસ્યાના ઉકેલ માટે આપણું મન કયા સમયે સૌથી વધુ એકાગ્રતા કેળવી શકે છે તે પહેલાં સમજી લેવું આવશ્યક છે. કોઈને સવારના બે કલાક તો કોઈકને સાંજે કે રાત્રીના સમયે વાંચવા, ભણવા કે કંઈક નવું શીખવા- સમજવાની એકાગ્રતા કેળવી શકાતી હોય છે. અને એ પ્રમાણે જો સમયપત્રક ગોઠવવામાં આવે તો ઘણી મદદ મળી શકે છે. શક્ય હોય તો વીસ-ત્રીસ મિનિટના સ્ટડી બ્લોક બનાવો. તે માટે નાના-નાના સ્ટડી ગોલ રાખો, જેમકે, આ વીસ મિનીટમાં બ્રેક લેતાં પહેલા આટલું તો વાંચી જ લેવું. સમયાંતરે નાનો બ્રેક લો. અને ફરી વાંચવાનું કે અન્ય જે કાર્ય હાથ પર લીધું હોય તે પુરું કરવાનું શરૂ કરો.
Be here now – આ એક પ્રકારનું મેડિટેશન જેવું વાકય છે. એ કહે છે કે ‘તમે જ્યાં છો ત્યાં રહેવાની કોશિશ કરો…. તમારા વિચારોને જ્યાં છો, ત્યાં કેન્દ્રિત રાખવાના પ્રયત્ન કરો, જેથી કરીને સારું પરિણામ મેળવી શકાય. ’
આટલુંજ નહીં, ઘરમાં સ્ટડી કે કોઈ એક્ટિવીટી કરવાની અને આરામ કરવાની જગ્યાઓને અલગ અલગ રાખવી. જે જગ્યા પર વાંચવા બેસો, ત્યાં વોલ પ્લાનર બનાવો. આખા દિવસ દરમિયાન શું કરવાનું છે, કયા ટાસ્ક પૂરાં કરવાના છે એની નોંધ બનાવી રાખવી. મોબાઇલ, ટીવી, લેપટોપ જેવા ગેઝેટ્સનો વપરાશ મર્યાદિત કરો. શકય હોય તો અભ્યાસ સમયે તેને બંધ કરી દો. જાતથી એવી તમામ વસ્તુને દૂર રાખો જે અકારણ તમારું ધ્યાન ખેંચવા સક્ષમ હોય. જ્યારે એકાગ્રતા આવશ્યક હોય ત્યારે એ કાર્યને લગતી નાની-મોટી તમામ વસ્તુ પહેલેથી સાથે લઈને બેસવી., જેથી કરીને વારંવાર ઊઠ-બેસ કરવાનો કે આઘાપાછા થવાનો વખત ના આવે. આ ઉપરાંત ક્યારેક હેડફોન્સ પર કોઈ પ્રેરણાત્મક ઓડિયો સાંભળવાની આદત રાખવી. કોઈ એક એવો શોખ કેળવવો, જેમકે સ્પોર્ટ્સ, ડાન્સ, પેન્ટિંગ, મ્યુઝિક, ઈત્યાદિ કે જેના થકી તમે ખુશ રહી શકો.
આ પણ વાંચો…ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી: હકીકત ને કલ્પના વચ્ચે છે કેટલું અંતર?