ફોકસ : આ દુનિયામાં સૌથી શુદ્ધ પ્રેમ માતાનો

- ઝુબૈદા વલિયાણી
મેવાડના મહારાણા પ્રતાપની શૂરવીરતા જગમશહૂર છે. તેમનો ચેતક ઘોડો અને તેની તલવાર રાજસ્થાનમાં ઘેરઘેર જાણીતાં છે. પરંતુ એ મહારાણા પ્રતાપની એક વાત બહુ ઓછા લોકો જાણે છે તે એ છે કે પ્રતાપ સાવ નાનકડા દૂધ પીતા બાળક હતા ત્યારે તેમની માતાની કૂખે ધાવણ આવતું નહોતું.
એ જમાનામાં રાજા-મહારાજા અને સુખી લોકો આવી કોઈ શક્યતા વિચારીને એવી બીજી સ્ત્રીઓને પોતાને ત્યાં કર્મચારી તરીકે રાખતા હતા જેમને બાળક જન્મ્યા હોય તથા જેમની છાતીએ ધાવણ વછૂટતું હોય.
ઈતિહાસમાં આવી સ્ત્રીઓ ધાઈમાતા (બાળકને ધવડાવનારી) તરીકે ઓળખાતી. બાળકુંવર પ્રતાપને પન્ના નામની ધાઈમાતાએ સ્તનપાન કરાવેલું. આ પન્ના સંસ્કારી, પણ ગરીબ હતી. એણે પ્રતાપને નીડરતાના અને બહાદુરીના એવા પાઠ ભણાવ્યા કે ઈતિહાસમાં પ્રતાપ અમર થઈ ગયા.
શહેનશાહ અકબરના સમયમાં ‘આઈના-એ-અકબરી’નામે અકબરની જીવનકથાનો ગ્રંથ લખાયેલો. તેના લેખક હાજી અબુલ ફઝલે એક વાત સરસ નોંધી છે. તેમણે લખ્યું છે કે, ધાઈમાતા કોઈ સ્ત્રી જ હોય એ જરૂરી નથી.
તમને સંસ્કાર સિંચનાર, તમને તાલીમ, કેળવણી આપનાર, તમારી પરવરિશ કરનાર પણ ધાઈમાતા તરીકે સલામની અધિકારી છે.
અબુલ ફઝલની આ વાત ખરેખર વિચાર પ્રેરક છે. તમને સંસ્કાર સિંચનાર કે તમારી પરવરિશ કરનાર કોઈ પણ હોઈ શકે. એ પણ ધાઈમાતાની જેમ આદરને પાત્ર છે. તેની પણ કુર્નિશ બજાવવી જોઈએ.
સંત કબીરે પ્રેમના અઢી અક્ષરને સર્વ જ્ઞાન કે પાંડિત્યનો સાર ગણાવ્યો છે.
‘ઢાઈ અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોઈ.’
પરંતુ સૌથી શુદ્ધ, સૌથી નિર્મળ, સૌથી નિર્દોષ અને સૌ કરતાં ચઢિયાતો પ્રેમ કોનો?
એના જવાબમાં એક ચીની વિદ્વાને કહ્યું, આ દુનિયામાં સૌથી શુદ્ધ પ્રેમ માતાનો હોય છે. માતાને ભાષા, કોમ, દેશ, ઊંચનીચના સીમાડા નડતા નથી. પ્રેમ અઢી અક્ષરનો હોય તો પ્રેમ વરસાવનારી માનો ફક્ત દોઢ અક્ષર છે.
મવત્તા આકાર બરાબર મા.
અરે દોઢ અક્ષર ધરાવતી મા વિશ્વમાં સૌથી નિ:સ્વાર્થ પ્રેમની ઈર્ષા કરે છે. માતાના પ્રેમની તોલે કોઈનો પ્રેમ આવે નહીં. એક સ્ત્રી બહેન હોય છે, પત્ની કે પ્રિયતમા હોય છે, પરંતુ એનામાં રહેલી મા જ્યારે જાગૃત થાય ત્યારે સંબંધોના બીજાં બધાં રૂપ એની પાસે ફિક્કા પડી જાય છે.
આપણ વાંચો: લાફ્ટર આફ્ટર : કવિતા કરવાથી શું થાય?
અને એટલે જ પૃથ્વી પરના બીજા બધાં સંબંધોમાં સૌથી વધુ મહત્ત્વ મા-બાળકને આપ્યું છે. જગવિખ્યાત ચિત્રકાર પાબ્લો પિકાસોને એક વાર પૂછવામાં આવેલું: ‘સૌથી મુશ્કેલ ચિત્ર કર્યું?’ કયા દૃશ્યને ચિત્રમાં ઉતારવાનું તમે સૌથી વધુ પડકારરૂપ ગણો છો?
એક ક્ષણનાય વિલંબ વિના પિકાસોએ કહ્યું. ‘બાળકને સ્તનપાન કરાવતી માતા. એ મા-બાળક ચાહે માનવ હોય કે પશુ-પક્ષી હોય. આ દેશના હોય કે પરદેશના હોય. અત્યંત શાંતપણે માતાનું અમૃતપાન કરી રહેલું બાળક અને સંતાનની તૃપ્તિ જોઈને પરમતૃપ્તિ અનુભવતી માતા-આ દૃશ્યને ચિત્રકાર દ્વારા જીવંત કરવાનું સૌથી મુશ્કેલ છે.’