સ્પોટર્સ મેન: આઇપીએલ ડૉટબૉલકૉમ: ક્રિકેટ પણ પર્યાવરણની સેવામાં

-અજય મોતીવાલા
કૃણાલ પંડ્યા, મોહમ્મદ સિરાજ
‘ક્રિકેટની રમત આપણને બધાને બેહદ પ્રિય છે, પણ એ રમવાનું એન્જૉય કરવાની સાથે આપણે આપણી ધરતી માતાની સાચવણી કરવાની જવાબદારી પણ ન ભૂલવી જોઈએ.’ આ સુવાક્ય જયપુરની એક ક્રિકેટ ઍકેડેમીએ પોતાના મેમ્બર્સ માટે લખ્યું છે.
આ વાંચીને ઘણાને નવાઈ લાગતી હશે કે ક્રિકેટને વળી પર્યાવરણ સાથે શું લેવાદેવા? જોકે હકીકત એ છે કે પર્યાવરણની સાચવણી માટે કોઈ પણ ક્ષેત્રમાંથી કોઈ પણ રીતે (સીધી યા આડકતરી રીતે) કાર્ય થઈ શકે. રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (આરસીબી)નો સ્ટાર ઑલરાઉન્ડર કૃણાલ પંડ્યા અને ગુજરાત ટાઇટન્સ (જીટી)નો સ્ટાર પેસ બોલર મોહમ્મદ સિરાજ આઇપીએલ મારફત સીધા પર્યાવરણ સાથે જોડાઈ ગયા છે એમ કહીએ તો ખોટું નથી.
આજે ‘વિશ્ર્વ પર્યાવરણ દિન’ છે અને એ ભારતીય ક્રિકેટમાં પણ સેલિબ્રેટ કરવામાં આવી રહ્યો છે. ક્રિકેટ ‘જેન્ટલમૅન્સ ગેમ’ તરીકે ઓળખાય છે એટલે આ રમતના અભિગમ પરથી ઘણાને જીવનમાં કામ લાગે એવું ઘણું શીખવા મળતું હોય છે. ક્રિકેટ માત્ર બૅટ અને બૉલની ગેમ નથી. આ ટીમ ગેમ છે એટલે આ રમત એક્તાની ભાવના શીખવે છે, વિવિધ પ્રકારના અપ્રોચની પણ શીખ આપે છે, ધૈર્ય તેમ જ સંયમ અને નીડરતા પણ શીખવે છે અને મૅચ દરમ્યાન આવતા ટર્નિંગ પૉઇન્ટનો કેવી રીતે સફળતાથી સામનો કરવો એ પણ અંગત જીવનમાં શીખવી જાય છે.
કોઈ વિચારતું હશે કે આ બધુ તો બરાબર છે, પણ ક્રિકેટ અને પર્યાવરણ, આ બે ક્ષેત્રનું મિલન કઈ રીતે સંભવ છે? કૃણાલ પંડ્યા અને મોહમ્મદ સિરાજને પર્યાવરણ સાથે કેમ સાંકળી લેવામાં આવ્યા?
વાત એવી છે કે કૃણાલ પંડ્યાએ મંગળવારની પંજાબ કિંગ્સ સામેની ફાઇનલમાં જે ચાર ઓવર (24 બૉલ) બોલિંગ કરી એમાં 12 ડૉટબૉલ હતા. તેણે 26 રન બનાવનાર પંજાબના ઓપનર પ્રભસિમરન સિંહ (26 રન) અને વિકેટકીપર જૉશ ઇંગ્લિસ (39 રન)ની મહત્ત્વપૂર્ણ વિકેટ લેવા ઉપરાંત જે 12 ડૉટબૉલ ફેંક્યા એ પણ આરસીબીને ફાઇનલ જીતવા ખૂબ કામ લાગ્યા હતા. આ વખતની આખી આઇપીએલ સીઝનની વાત કરીએ તો સૌથી વધુ 151 ડૉટ બૉલ ગુજરાત ટાઇટન્સના મોહમ્મદ સિરાજે ફેંક્યા હતા અને એ બદલ કૃણાલ તથા સિરાજ, બન્નેને મંગળવારે ‘મોસ્ટ ગ્રીન ડૉટ બૉલ્સ અવૉર્ડ’ પણ અપાયો હતો. પ્રત્યેક ડૉટ બૉલ સામે આઇપીએલના આયોજકો દ્વારા દેશભરમાં 500 વૃક્ષ રોપાય છે.
આ પણ વાંચો….ઓલિમ્પિક્સનું લક્ષ્ય રાખો, ફડણવીસે પોલીસ એથ્લેટની રાજ્ય સ્તરીય પરિષદમાં કહ્યું, સરકારની સહાયની ખાતરી આપી
ભારતમાં ક્રિકેટ ખેલકૂદ કરતાં પણ વિશેષ છે. આ રમત દેશમાં ધર્મની જેમ પૂજાય છે. આઇપીએલ 18 વર્ષની થઈ અને એનું નામ ઘેર-ઘેર ચર્ચાય છે. 2008માં શરૂ કરવામાં આવેલી આ ટી-20 લીગ ટૂર્નામેન્ટ ફક્ત સિક્સર કે ફોર માટે એટલે કે ફટકાબાજી માટેની જ નથી. એમાં બોલર દ્વારા જે ડૉટ બૉલ ફેંકવામાં આવે છે એની સામે આઇપીએલ દ્વારા ઝાડ રોપવામાં આવે છે. પ્રત્યેક ડૉટ બૉલ સામે 500 વૃક્ષ રોપાય છે. આ અભિયાન ત્રણ વર્ષથી ચાલે છે અને હજારો ઝાડ રોપાઈ ચૂક્યા છે.
બોર્ડ ઑફ ક્ધટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)નું ટાટા ગ્રૂપ ઉપરાંત પર્યાવરણ વિશે જાગૃત કેટલીક સંસ્થાઓ સાથેના સહકારમાં ચાલી રહેલું અભિયાન ‘આઇપીએલ ડૉટ બૉલ ટ્રી પ્લાન્ટેશન’ તરીકે ઓળખાય છે.
આઇપીએલની પ્રત્યેક સીઝન બાદ ડૉટ બૉલને આધારે હજારો ઝાડ રોપવામાં આવે છે. આરસીબીની ટીમના ખેલાડીઓ વર્ષોથી દર વર્ષે આઇપીએલની એક મૅચમાં રાબેતામુજબના ડ્રેસને બદલે લીલા રંગના ટી-શર્ટ અને ટ્રાઉઝરમાં સજ્જ થઈને રમે છે અને એ રીતે ‘ગો ગ્રીન’ અભિયાનનો પ્રચાર કરે છે.
આઇપીએલ મારફત ઝાડ રોપવાના અભિયાનમાં ભાગ લેવા માટે ડૉટ બૉલને માધ્યમ બનાવવા પાછળનો હેતુ એ છે કે જે બૉલમાં રન નથી થતો એ બૉલ બોલર તથા તેના ચાહકો માટે એક પ્રકારનું શાંત સેલિબ્રેશન જેવું હોય છે. આવા પ્રકારની મૂક ઉજવણીને વૃક્ષ વાવવાના કાર્ય સાથે જોડી દેવામાં આવી છે.
ટોચના ક્રિકેટરોનો આ અભિયાનને શરૂઆતથી બહુ સારો ટેકો છે. રોહિત શર્મા આ અભિયાનને ‘ધ બેસ્ટ ડિલિવરી ઑફ ધ સીઝન’ તરીકે ઓળખાવે છે, જ્યારે વિરાટ કોહલીએ ‘હવામાનમાં બદલાવ લાવવા માટેની ખરી વિકેટ’ તરીકે ઓળખાવ્યું છે.
આઇપીએલ-2025માં કયા ક્રિકેટરના કેટલા ડૉટ બૉલ
1 મોહમ્મદ સિરાજ (ગુજરાત): 151 ડૉટ બૉલ
2 પ્રસિદ્ધ ક્રિષ્ના (ગુજરાત): 146 ડૉટ બૉલ
3 ખલીલ અહમદ (ચેન્નઈ): 137 ડૉટ બૉલ
4 અર્શદીપ સિંહ (પંજાબ): 137 ડૉટ બૉલ
5 જસપ્રીત બુમરાહ (મુંબઈ): 128 ડૉટ બૉલ
6 ટ્રેન્ટ બૉલ્ટ (મુંબઈ): 127 ડૉટ બૉલ
7 ભુવનેશ્ર્વર કુમાર (બેંગલૂરુ): 123 ડૉટ બૉલ
8 જૉશ હૅઝલવૂડ (બેંગલૂરુ): 120 ડૉટ બૉલ
9 પૅટ કમિન્સ (હૈદરાબાદ): 118 ડૉટ બૉલ
10 વરુણ ચક્રવર્તી (કોલકાતા): 117 ડૉટ બૉલ
આ પણ વાંચો….‘હવે SBIનું સપનું પૂરું કરો…’ વિજય માલ્યાએ RCBને અભિનંદન પાઠવ્યા, યુઝર્સે કર્યા ટ્રોલ…