વિશેષ પ્લસ : સામાન્ય લોકોને સાવ અજાણી લાગે તેવી બીમારીઓથી ગ્રસ્ત છે સલમાન ખાન…

રાજેશ યાજ્ઞિક
સલમાન ખાનનું નામ આવે એટલે રૂપાળો ચહેરો, કસરતથી કસાયેલી કાયા સૌથી પહેલા યાદ આવે. આધેડ વયે પણ સલમાન યુવાનોનો આઇકન ગણાય છે. ફિલ્મોમાં આવ્યો ત્યારે સલમાન દેખાવડો, પણ સાવ સુકલકડી હતો. એને પોતાને એમ લાગતું હતું કે મારા જેવાને ફિલ્મોમાં કોણ લેશે?! પણ પછી એણે પોતાના શારીરિક દેખાવ પર જબરજસ્ત કામ કર્યું. એનો દેખાવ 360 ડિગ્રી પલટાઈ ગયો. અત્યારે સલમાન આયુનું 59મું વર્ષ પૂરું કરી ચુક્યો છે. આ ઉંમરે પણ બોલિવૂડના ફિટેસ્ટ સ્ટારમાં એની ગણના થાય છે. પણ…….
… પણ તાજેતરમાં ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં પોતાના આરોગ્યને લઈને સલમાને જે ખુલાસો કર્યો તેનાથી એના ચાહકોને ભારે આંચકો લાગ્યો છે. બહારથી ફિટ દેખાતો સલમાન અંદરથી એકાદ નહીં, પણ ત્રણ ગંભીર બીમારીઓથી ઘેરાયેલો છે. કપિલ સાથે વાતવાતમાં સલમાને નિખાલસતા સાથે કહ્યું કે એ ટ્રાઇજેમિનલ ન્યુરલજીયા, મગજનો એન્યુરિઝમ અને એવી માલફોર્મેશન સામે લડી રહ્યો છે…
આ બીમારીઓનાં નામ સાંભળીને આપણને થાય :
હેં, જેના નામ પણ ન સાંભળ્યા હોય એ આ વળી કઈ જાતની બીમારીઓ?!
ચાલો જાણીએ, શું છે આ બીમારીઓ….
ટ્રાઇજેમિનલ ન્યુરલજીયા શું છે?
ટ્રાઇજેમિનલ નર્વ, જેને ક્રેનિયલ નર્વ 5 અથવા સીએન ટ (રોમન 5 નો અંક) તરીકે પણ ઓળખવામાં આવે છે તે આપણા માથામાં એક મોટી, ત્રણ ભાગની ચેતા (સરળ શબ્દોમાં જ્ઞાનતંતુ) છે જે તમારા મગજમાંથી ચહેરાના ભાગોમાં અને ચહેરાથી મગજ તરફ સંકેતો મોકલે છે. ચહેરાની દરેક બાજુએ એક, એમ બે ટ્રાઇજેમિનલ ચેતા હોય છે.
ટ્રાઇજેમિનલ ન્યુરલજીયા (ટીએન)નો અર્થ છે કે તમારા ચહેરાના જ્ઞાનતંતુ ચહેરા પર અસહ્ય દુખાવો પેદા કરે છે. તે સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે રક્ત વાહિની તમારા મગજના સ્ટેમ નજીક તમારી ટ્રાઇજેમિનલ નર્વ પર દબાણ ઊભું કરે.
આ બીમારીનો ખુલાસો સલમાને પહેલીવાર દુબઈની એક ઇવેન્ટમાં 2017માં કર્યો હતો. આ રોગ ઘાતક નથી, પણ શારીરિક અને માનસિક રીતે વ્યક્તિને ભાંગી નાખે છે. તેથી, ટ્રાઇજેમિનલ ન્યુરલજીયાને ‘આત્મહત્યાનો રોગ’ પણ કહેવાય છે, કારણ કે તેમાં એવો ભયંકર દુખાવો થાય છે કે સહન ન થઇ શકે. મુસીબતની વાત એ છે કે સાવ રોજિંદી ક્રિયા જેવી કે બ્રશ કરવું કે મોઢામાં ખોરાક ચાવવા જેવી ક્રિયાથી પણ આ દુખાવો થઇ શકે છે. અરે, સાધારણ સ્મિત કરવું કે બોલવાથી પણ દુખાવો થઇ શકે. આ રોગ દુર્લભની કક્ષામાં આવે છે, કેમકે લગભગ દોઢ લાખ લોકોમાં એકને આ રોગ થાય છે.!
મગજનો એન્યુરિઝમ શું છે?
તબીબી પરિભાષા મુજબ, મગજનો એન્યુરિઝમ અથવા સેરેબ્રલ એન્યુરિઝમ એટલે મગજમાં અથવા તેની આસપાસની રક્ત વાહિનીના નબળા વિસ્તારમાં એક ફૂલેલું સ્થાન છે. લોહીના સતત દબાણના કારણે આ વિસ્તાર ફુગ્ગાની જેમ સોજી જાય છે, જે રીતે ફુગ્ગા પર એકાદ પાતળો ડાઘ દેખાતો હોય તેવી રીતે. અને આ જગ્યા જ મોટાભાગે ફુગ્ગાના ફૂટી જવાનું કારણ બને છે. તેવી જ રીતે મગજની ધમની પર આવેલો સોજો પણ તે જગ્યા લીક થવા અથવા ફાટવાનું જોખમ વધારે છે. જો મગજનો એન્યુરિઝમ લીક થાય અથવા ફાટી જાય તો મગજમાં રક્તસ્ત્રાવનું કારણ બને છે, જેને ‘હેમરેજિક સ્ટ્રોક’ તરીકે ઓળખવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે, મોટાભાગના મગજના એન્યુરિઝમ ગંભીર નથી હોતા, ખાસ કરીને જો તે નાના હોય. મોટાભાગના મગજના એન્યુરિઝમ ફાટતા નથી. તે સામાન્ય રીતે કોઈ લક્ષણો પણ પેદા કરતા નથી અથવા સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ પણ બનતા નથી, છતાં જો તે ફાટી જાય તો ચોક્કસ મગજને નુકસાન થાય અને વ્યક્તિ કોમામાં ચાલ્યો જાય અથવા જીવનું જોખમ ઊભું થાય છે.
આર્ટેરીઓવેનોસ માલફોર્મેશન શું છે?
સલમાનને જે ત્રીજો રોગ છે તે છે આર્ટેરીઓવેનોસ માલફોર્મેશન (ધમની ખોડ), જેને ‘એવીએમ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
સરળ શબ્દોમાં કહીએ તો જેમ દોરાઓ ગૂંચવાઈ જાય તેમ રક્તવાહિનીઓની ગૂંચને લીધે ઊભી થતી સમસ્યા એ આ રોગ છે.
પાણીનો પાઇપ જો ગૂંચાઈ ગયેલો હોય તો પાણી વહેવામાં કેવો અવરોધ ઊભો થાય? તેવી જ સમસ્યા અહીંયા રક્ત પ્રવાહમાં ઊભી થાય છે અને પેશીઓને ઓક્સિજન મળતો અટકે છે. આ ‘એવીએમ’ શરીરમાં મગજ સહિત, ગમે ત્યાં થઈ શકે છે.
ધમનીઓ ઓક્સિજનયુક્ત લોહીને હૃદયમાંથી મગજ અને અન્ય અવયવો સુધી પહોંચાડે છે. નસો ઓક્સિજન રહિત લોહીને ફેફસાં અને હૃદયમાં પાછું ખેંચે છે. જો આ પ્રક્રિયા ખોરવાઈ જાય તો મગજ સહિત, શરીરનાં અવયવોને ઓક્સિજન પહોંચતો નથી, જે તેમની કામગીરીને અસર કરે છે. ‘એવીએમ’માં ગૂંચવાયેલી રક્તવાહિનીઓ યોગ્ય રીતે આકાર લેતી નથી, તે નબળી પડી શકે છે અને ફાટી શકે છે. તેને કારણે આંતરિક રક્તસ્ત્રાવ થઇ શકે છે. આ સ્થિતિમાં મગજને ગંભીર નુકસાન થઇ શકે છે.
આપણ વાંચો :આરોગ્ય પ્લસ : રોગ દર્દ ને દર્દીનું વલણ…