
- સંજય છેલ
ભારત સિવાય બીજા દેશોમાં ગંભીર ઘટનાઓને સમસ્યા તરીકે લેવામાં આવે છે. એના વિશે કારણો શોધવામાં આવે છે અને ભવિષ્યમાં એ ઘટના પાછી ન બને એ માટેનાં જરૂરી પગલાં લઈ એને ખતમ કરવા માટે તૈયારીઓ કરવામાં આવે છે, પણ ભારત દેશની એક કલ્ચરલ ક્યુટનેસ એ છે કે આપણે મોટી સમસ્યાઓને ખાલી ઘટના તરીકે જોઈએ છીએ. આમાં શું છે કે સરકારને આરામ રહે છે અને જેના પર આ દુ:ખ વિતે છે એ પણ ભગવાનની ઈચ્છા માનીને અંતે થોડા દુ:ખી થઈને પણ સહન કરી લે છે. ઉદાહરણ તરીકે પૂર આવે ત્યારે એમાં લોકોનું ડૂબી જવું કે ઘરબાર બધું પાણીમાં તણાઈ જવું, એ કંઈ ગંભીર સમસ્યા નથી! એ તો દર વર્ષે બનતી ઘટના છે. એમાં શું? હા, એ ઘટના પર સમાચાર જરૂરથી બને છે. એમાં પણ જ્યારે એ ઘટનામાં વધારે લોકોની મોત થઈ હોય ત્યારે જ એ સમાચાર પર થોડી ઘણી સહાનુભૂતિ મળી શકે છે, નહિતર આ એક માત્ર સામાન્ય સમાચાર બનીને રહી જાય છે!
આ દેશમાં રોજ આવી ઘટનાઓ અને આવા સમાચારો તો બનતા જ રહે છે. જેવી રીતે એક હોડીનું નદીમાં પલટી જવું, એક જીપનું ઝાડ સાથે અથડાવવું, સ્કૂટરને ટ્રકની ટક્કર લાગવી, કોઈ મકાનની છત અચાનક ધસી પડવી, તળાવમાં નહાવા જતાં છોકરાઓનું ડૂબી જવું, મહામારીમાં એક સાથે ઘણા લોકોનાં મોત થવાં, રેલવેના ડબ્બાઓનું પાટા પરથી ઊતરી જવું, અચાનક કંપનીમાંથી ઝેરી ગેસ લીક થઈ જવો, બેંકમાં લૂંટફાટ, ઘરમાં એકલી સ્ત્રી જોઈને એના પર બળાત્કાર કરવો, છોકરીઓને લાલચ આપી એને વેશ્યા બનાવવા માટે વેચી મારવી, અંધશ્રદ્ધા માટે સંતાનોની બલિ ચઢાવવી, વીમા માટે પોતાના જ ઘર કે ફેક્ટરીમાં આગ લગાડી સંપત્તિનો નાશ કરવો, સાસરામાં વહુઓનું અચાનક સળગી જવું, વગેરે, વગેરે આપણા દેશની સમસ્યાઓ નથી.
આ પણ વાંચો: શરદ જોશી સ્પીકિંગ: તૌબા…તૌબા… યે બંબઇ કી બારિશ!
પણ આ બધી ઘટનાઓ છે. અખબારમાં આ વાતો છપાય છે એ જ બહુ મોટી વાત છે. સરકાર પણ આ ઘટનાઓ વિશે વાંચતી તો જરૂર હશે, પણ એવી રીતે જેમ આખો દેશ વાંચે છે!
સરકાર સમસ્યાઓ સામે લડી રહી છે તો પછી ઘટનાઓની તરફ ધ્યાન કેવી રીતે આપી શકે? એમને સમસ્યાઓમાંથી ફુરસદ જ નથી મળતી….આથી કેટલાક લોકો કહે છે કે,
આપણે લોકો ઘટનાઓ જેમ કે- પૂરમાં લોકોનું ડૂબી જવું, વહુઓ સળગી જવું અથવા મકાન પડી જવું વગેરેને સમસ્યા બનાવીને રજૂ કરીએ છીએ, પણ સરકાર આ બધાને ઘટનાથી વધારે માનતું જ નથી! સમસ્યાઓ તો કાયમ ચાલતી જ રહે છે, પણ ઘટનાઓને ભૂલાવી દેવાય છે. એટલે જ સરકાર ક્યારેય ઘટનાને સમસ્યા નથી બનવા દેતી! દર વર્ષે પૂરમાં લોકો ડૂબતા રહે છે, બળાત્કાર થતા રહે છે, જુનાં અથવા નવાં મકાનો ધરાશાયી થતાં રહે છે અને આપણી સરકાર વ્યવસ્થા એને ભૂલીને પાછી એવી જ ઘટનાના સમાચાર વાંચવાની રાહ જુએ છે. એરપોર્ટના રસ્તે મુસાફરોને લૂંટવા, ચાકુ વડે હુમલા થવા, આ બધી ઘટના છે જે રોજ બનતી રહે છે.
આ પણ વાંચો: શરદ જોશી સ્પીકિંગ: એક જીપ સરકારી ને ત્રણ ઇયળની સવારી…
અને વર્ષો સુધી પણ એને ઘટના તરીકે જ યાદ કરવામાં આવશે. આવી ઘટનાઓને સમસ્યાનો રાષ્ટ્રીય દરજ્જો ક્યારેય મેળવી શકશે નહીં. આવી બધી ઘટનાઓ પ્રત્યે આપણું વલણ હંમેશાં તટસ્થ હોય છે અને સરકારનું પણ એવું જ છે!
સમસ્યાઓને લઈને સરકાર કાયમ ચિંતામાં રહે છે, પણ જ્યારે એ સમસ્યા શબ્દનો ઉપયોગ કરે છે ત્યારે એનો મતલબ ક્યારેય આ પ્રકારની ઘટનાઓની સાથે નથી હોતો, જે રોજ રોજ બનતી હોય છે. શું થયું? પૂરમાં લોકો ડૂબી ગયા? એવું તો ચાલ્યા કરે…ગયા વર્ષે પણ તો ડૂબ્યા હતા ને!