ઈન્ટરવલ

ફોક્સ પ્લસ: ‘ઑપરેશન સિંદૂર’ દેશના દુશ્મન કઈ રીતે ધ્રૂજી ગયા…?

  • ભરત પંડ્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સાહસિક નેતૃત્વ સાથે જડબેસલાક યુદ્ધ આયોજન ને કુશાગ્ર કૂટનીતિથી સતત ધ્રૂજી રહ્યું છે પાકિસ્તાન!

સિંદૂર શોભનં રકતં સૌભાગ્યં સુખવર્ધમનમ્।
શુભદં કામદં ચૈવ સિંદૂરં પ્રતિગુહ્યાતામ્॥

લાલ રંગનું સિંદૂર શોભા, સૌભાગ્ય અને સુખ વધારનારું છે. શુભ અને તમામ ઈચ્છાઓ પૂરી કરનારું છે.. હે દેવ, તમે તેનો સ્વીકાર કરો….

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોની ઘાતકી હત્યાઓ દ્વારા મહિલાઓના સિંદૂર ભૂંસનાર પાકિસ્તાનના આતંકવાદીઓ સામે ભારતીય સૈન્યની વીરતા, મહિલા સ્વાભિમાન અને ધર્મો રક્ષતિ રક્ષિત:ને ચારિતાર્થ કરતું શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રેરક નેતૃત્વમાં ઑપરેશન સિંદૂરનું આયોજન માત્ર આપણા દેશની 140 કરોડની જનતાએ જ નહીં, વિશ્વના તમામ દેશોએ ‘સિંદૂર’નો અર્થ, ભાવ અને શક્તિ વિશેષ નોંધ લીધી છે. આ ઓપરેશને વિશ્વને આતંકવાદ સામે અને નારી સુરક્ષા માટેની અકલ્પનીય અને અદ્ભુત દિશાદર્શન તેમ જ શક્તિની પ્રેરણા આપી છે.

જેમ દેશનાં દરેક નાગરિકો માટે ‘તિરંગો’ એ ભારતની આન-બાન-શાન છે તેમ ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓ માટે ‘સિંદૂર’ આન-બાન-શાન છે. આ આન બાન શાન કેવી બળુકી છે એની પ્રતીતિ નરેન્દ્રભાઈ મોદીએ સૈન્યશક્તિના ઓપરેશન સિંદૂર દ્વારા કરાવી દીધી છે. વિશ્વભરના અખબારો ટીવી ચેનલ્સ અને સોશિયલ મીડિયામાં એની સૌથી વિશેષ નોંધ લેવાઈ છે.

આ પણ વાંચો: ફોક્સ પ્લસ : તમે શરદી-ઉધરસથી પરેશાન છો?

ગુજરાતમાં ચાર જગ્યાએ તિરંગાયાત્રામાં મારે પ્રત્યક્ષ જવાનું થયું. સતત દેશ-વિદેશની ચેનલો, સમાચારપત્રો જોયાં-જાણ્યાં પછી એટલું ચોક્કસ કહી શકાય કે..રામાયણમાં માતા સીતાજીને માથામાં સિંદૂર પૂરતા જોઈને હનુમાનજીએ સીતામાતાને પૂછયું હતું કે ‘મા, તમે કેમ સિંદૂર લગાવો છો ?

સીતાજીએ જવાબમાં કહ્યું : ‘હું મારા સ્વામી શ્રીરામના લાંબા આયુષ્ય અને મંગલકામના માટે આ સિંદૂર લગાવું છું…’

સીતાજીની આ વાત સાંભળીને હનુમાનજી એ પણ આખા શરીર ઉપર સિંદૂર ચોપડી દીધું. જે રીતે પ્રભુભક્તિ માટે સિંદૂરીયા હનુમાનજી પ્રચલિત થયાં. તે રીતે દેશભક્તિ અને નારીસુરક્ષા ગૌરવ માટે સિંદૂરીયા વડા પ્રધાન યુદ્ધના ઈતિહાસમાં સદા યાદગાર રહેશે.

આતંકવાદના જવાબમાં નરેન્દ્રભાઈ મોદીએ ઉચ્ચારેલાં આ ત્રણ વાક્યમાં રાષ્ટ્રની યુદ્ધનીતિ સ્પષ્ટ કરી દીધી હતી. એ ત્રણ વાકય છે:

1) આતંકવાદીઓને એવી સજા મળશે, જેની એ કલ્પના પણ નહીં કરી શકે…

2) લોહી અને પાણી એક સાથે વહી ન શકે…

3) ટેરર- ટ્રેડ અને ટોક એક સાથે નહીં થાય…

આ પણ વાંચો: ફોક્સ પ્લસ : રોજની કઈ ૮ આદત કિડનીને પહોંચાડે છે નુકસાન?

  • અને આ વાત આપણા સૈન્યએ માત્ર 22 મિનિટમાં પાકિસ્તાનના 9 સ્થાન ઉપર ત્રાટકીને 100 જેટલા આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો સાથે 12જેટલા એરબેઝને નુકસાન પહોંચાડ્યું.

અહીં ભારતીય સેનાએ પાકિસ્તાનની પ્રજા કે સૈન્યને ટાર્ગેટ કરી નથી. અત્યારે ભારતના તમામ રાજકીય પક્ષોના 59 જેટલાં નેતાઓ સાથે 85 રાજપૂતો સાથે સાત પ્રતિનિધિ મંડળો 32 જેટલાં દેશોમાં પ્રવાસ કરીને આતંકવાદી પાકિસ્તાનની કરતૂતોને વિશ્વ સમક્ષ ખુલ્લા પાડી રહ્યાં છે અને ભારતની આતંકવાદ સામેની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ સાથે ભારતનું ગૌરવ વધારી રહ્યાં છે. આતંકવાદ સામેની લડાઈમાં વિશ્વને એક કરવા માટેના સમર્થનમાં આજે ભારત નેતૃત્વ કરી રહ્યું છે.

ભારતના કોઇપણ આતંકવાદી દુશ્મનને પાકિસ્તાનમાં શોધી શોધીને મારવામાં આવે છે અને તેના અડ્ડાઓને પણ નાશ કરવામાં આવે છે અને વડા પ્રધાને પણ એ નિર્ધાર જાહેરમાં વ્યક્ત કરી દીધો છે કે ‘ગોળીની સામે અમે તોપ ગોળાથી જવાબ આપીશુ!’

એક તરફ આપણું રાષ્ટ્ર ના-પાક આતંકવાદના એરુને કચડી નાખવા તત્પર છે ત્યારે બીજી બાજુ, પાકિસ્તાનમાં ભયંકર રાજકીય અસ્થિરતા છે. બલુચિસ્તાનમાં બળવો છે. તેના લશ્કર સામે જનતાનો ભયંકર આક્રોશ છે અને તેનું અર્થતંત્ર ખલાસ થઈ રહ્યું છે. જીવન જરૂરીયાતની વસ્તુઓનો અભાવ છે. પાકિસ્તાનમાં ભયંકર મોંઘવારી અને બેરોજગારીમાં જનતાની હાલત કફોડી છે.

આ પણ વાંચો: ફોક્સ: ઉનાળામાં શું બનાવ્યું?

અત્યારે ચીનના પ્રેસિડેન્ટ શી ઝિનપિંગની ‘વિસ્તારવાદી’,

રશિયાના પ્રમુખ પુતિનની ‘યુદ્ધવાદી’, અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પની ‘ટેરીફવાદી’ અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ‘વિકાસવાદી’ની સજ્જડ છાપ ઊપસી છે.

જાપાનને પાછળ રાખીને ભારત વિશ્વની ચોથા નંબરની અર્થવ્યવસ્થા બની છે. વર્ષ 2014માં ભારતનું અર્થતંત્ર બે ટ્રિલિયન ડૉલર હતો. હવે, એપ્રિલ-25માં આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)ના વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂક રિપોર્ટ મુજબ અર્થતંત્રને ચાર ટ્રિલિયન પર પહોંચાડીને આત્મનિર્ભર ભારતે વિશ્વને વિરાટ શક્તિનું દર્શન કરાવી દીધું છે.

મીડિયા વોર અને માઈન્ડ વોરના જમાનામાં લોકોને યુદ્ધનો માહોલ ગમતો હોય છે, પરંતુ યુદ્ધ પછીની બેહાલી ગમતી નથી. અત્યારે વર્લ્ડવોર જેવી પરિસ્થિતિ છે. ઈઝરાયલ અને ગાઝા પટ્ટીમાં તેમ જ રશિયા અને યુક્રેન વચ્ચેના દૃશ્યો સતત ટીવી પર આવતાં જોઈને નિર્દોષ લોકોના જાનમાલની ખુવારી, ખંડેર થતાં બિલ્ડિંગો, ભાંગેલા-તૂટેલા ઘરો, રોટી માટેની રોક્કળ સાથે ફાંફા મારતા ટોળાઓ, મહિલા અને બાળકોના હૃદયદ્વાવક દૃશ્યોથી ભારતની માનવતાને પીડા થતી હોય છે. એટલે જ આ બધા વચ્ચે આપણા વડા પ્રધાને રશિયા સહિત દેશોને ‘આ સમય ‘યુદ્ધ’નો નહીં, પરંતુ ‘બુદ્ધ’નો છે’ તેમ કહીને વિશ્વ શાંતિ અને લોકકલ્યાણનો સંદેશ આપ્યો છે.

આ પણ વાંચો: આરોગ્ય એક્સપ્રેસ: ટેટૂ ને પિયર્સિંગનો શોખ: આરોગ્ય માટે કયારેક આફત પણ બની જાય !

વિશ્વના કેટલાંક દેશો ભારતના નેતૃત્વ, વિકાસ અને પ્રગતિની ઈર્ષ્યા કરી રહયાં છે. કેટલાંક દેશોને પોતાના શસ્ત્રો વેચવામાં રસ છે. એટલે યુદ્ધ થાય એમાં રસ છે, પરંતુ શ્રી મોદીજી કોઈનાં દબાણમાં કે યુદ્ધની ટ્રેપમાં આવે એવા નથી. પાકિસ્તાનની જનતા કે લશ્કરને નુકસાન પહોંચાડ્યાં વગર ભારતે માત્ર આતંકવાદીઓ, તેના અડ્ડાઓને અને એરબેઝનો ખાત્મો કરીને યુદ્ધની શુદ્ધતા દ્વારા પોતાની મજબૂત સૈન્યશક્તિના દર્શન કરાવી દીધાં છે. અને સાથે સાથે વડા પ્રધાને નયા ભારતની ચાણકયનીતિ અને યુદ્ધ નીતિ દ્વારા સ્પષ્ટ જણાવી દીધું છે કે પાકિસ્તાન કોઈપણ આતંકી કૃત્ય કરશે તો તે યુદ્ધ જ ગણાશે. અને ભારત યુદ્ધની જેમ જ તેનો જડબાતોડ જવાબ આપશે. એટલે કે ‘ઑપરેશન સિંદૂર’ હજુ પૂરું થયું નથી. એ ચાલુ જ રહેશે.

બીજા શબ્દોમાં વડા પ્રધાન નરેદ્ર મોદીએ ભારતની નીતિ એ યુદ્ધ – શુદ્ધ – બુદ્ધની નીતિ રહી છે. તે સમસ્ત વિશ્વને બતાવી દીધું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button