ઔર યે મૌસમ હંસીં… : ‘Mayday’ -‘મેડે’….‘મેડે’: એ શબ્દ નથી પણ વિશાળ ચિંતન છે

-દેવલ શાી
તાજેતરમાં અમદાવાદ એરપોર્ટ પર ‘એરઇન્ડિયા’નું એક પ્લેન તૂટી પડ્યું અને લગભગ ત્રણસોનાં ક્-મોત થયા એવું માનવામાં આવે છે. આ દુર્ઘટના બની રહી હતી ત્યારે વિમાનના પાઇલટે એર ટ્રાવેલ ક્ધટ્રોલને એક મેસેજ આપ્યો હતો, જેની ખૂબ ચર્ચા છે.
એ શબ્દ “Mayday’ હાલમાં દુનિયાભરમાં સંકટ સમયના મેસેજ સંકેત તરીકે ઓળખાય છે, તેનો ઉદ્ભવ ફ્રેન્ચ શબ્દ m’aider (મદદ કરો) પરથી થયો છે. “Mayday’ એ આંતરરાષ્ટ્રીય ધોરણે આફત સમયનો સંકેત છે, જેનો ઉપયોગ મુખ્યત્વે નૌકા અને વિમાન ચાલકો દ્વારા કટોકટીની સ્થિતિમાં સહાય માટે કરવામાં આવે છે.
1920ના દાયકામાં રેડિયો સંદેશાવ્યવહારમાં સ્થાપિત થયેલો આ શબ્દ નેવી અને પ્લેનની ઇમર્જન્સીમાં તત્કાલ સહાયની જરૂરિયાત છે તેના સંદર્ભે વપરાતો હતો અને તેનો ઉપયોગ આજના સમયમાં પણ ચાલતો રહ્યો છે. ફ્રેડરિક સ્ટેનલી મોકફોર્ડે આ શબ્દનો ઉપયોગ સરળ અને સ્પષ્ટ સંકેત તરીકે પ્રસ્તાવિત કર્યો.
ઈમરજન્સી મેસેજ આપવાનો હોય ત્યારે ‘મેડે’નું ત્રણ વખત પુનરાવર્તન કરવામાં આવે છે જે Mayday…Mayday…Mayday… જેથી સંદેશ સ્પષ્ટ રીતે સંભળાય. દરેક શબ્દને ધીમે અને સ્પષ્ટ રીતે ઉચ્ચારવામાં આવે છે.
જો આ શબ્દને વ્યાપક રીતે વિચારવામાં આવે તો પૌરાણિક વૈશ્વિક સાહિત્યથી માંડીને સોશિયલ મીડિયા પર સુખ શોધવા નીકળેલાઓ મેડેના વિદ્યાર્થીઓ જ છે. આપણા રામાયણમાં સીતાજીને છળકપટ કરીને રાવણ લઇ જતો હતો ત્યારે સીતામાતાએ પણ ભારતીય ભાષામાં મેડે જેવો શબ્દ ઉચ્ચાર્યો હશે પછી જટાયુની મદદ મળી હશે. એ રીતે સીતામાતા રાવણની ભવ્ય અશોક વાટિકામાં કેદ જેવી પરિસ્થિતિમાં હતાં ત્યારે એ શ્રી રામને યાદ કરીને પોકાર કરતાં હતાં એવા ઉલ્લેખ લગભગ બધી રામાયણમાં છે. સીતાજીને અનેક નિરાશાઓ વચ્ચે આશાનું કિરણ હતું કે ભગવાન રામ આવશે. સંજોગોવસાત જયારે ભગવાન રામને પોકાર્યા હશે ત્યારે દૂત તરીકે હનુમાનજી પ્રગટ થયા હતા. આપણી ભાષામાં પણ જો મેડે શબ્દની ભાવના સમજીએ તો ખ્યાલ આવે છે કે એક નારીને કેવી પીડા હશે. જ્યારે સીતાજીને અશોકવાટિકામાં હનુમાનજી મળે છે, ત્યારે તે ભગવાન રામનો સંદેશ આપે છે. એ સમયે સીતાની પીડા વ્યક્ત કરતાં બોલ્યા હતા કે, ‘હે રામ, મને આ દુ:ખમાંથી બચાવો!’ આ પોકાર મેડે ના આધુનિક સ્વરૂપ સાથે સામ્ય ધરાવે છે, જે કટોકટીની ક્ષણે મદદની અપેક્ષાની વાત કરે છે.
આ પણ વાંચો…ઔર યે મૌસમ હંસીં… : વરસાદી રોમાન્સ: હે તેરા ઇન્તઝાર… હે તેરી હી ઉમ્મીદ!
આપણા મહાભારતનો જાણીતો પ્રસંગ ચીરહરણમાં દ્રૌપદી ભગવાન શ્રીકૃષ્ણ પાસે તત્કાલ સહાય માગે છે. દ્રૌપદી જે ક્ષણે નિરાશા અને અપમાનમાં ઘેરાયેલી હતી ત્યારે એ સમયના મેડેનો પોકાર ભગવાન શ્રીકૃષ્ણ પાસે તત્કાલ સહાયનો હતો. દ્રૌપદીનો પોકાર ફક્ત શારીરિક બચાવ માટે નથી, પરંતુ ધર્મ અને ન્યાયની પુન:સ્થાપના માટે હતો. આ ભારતીય પરંપરાના શરણાગતિ અને ઈશ્વર પરની શ્રદ્ધાના મૂળભૂત ખ્યાલને રજૂ કરે છે. ભગવદ્ ગીતાનો પ્રથમ અધ્યાય વિષાદયોગ”Mayday’ શબ્દનું આધ્યાત્મિક સ્વરૂપ રજૂ કરે છે. અર્જુન કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં નિરાશાઓ વચ્ચે ધર્મસંકટમાં ફસાયેલો છે. તે ભગવાન શ્રીકૃષ્ણને પોકારે છે કે મારા મનમાં ઊભી થયેલી તમામ શંકાનું નિવારણ કરો. અર્જુનનો વિષાદયોગ પાંડવો પક્ષનો અસ્તિત્વ માટે હતો. જે મેડેના આધુનિક અર્થ સાથે સામ્યતા ધરાવે છે. મેડે શબ્દનો અર્થ શોધવા પ્રયાસ કરીએ તો અનેક અર્થઘટન દુનિયાભરના સાહિત્ય અને કથાઓમાં મળી શકે છે.
મીરાંબાઈનાં ભજનો અને આપણા નરસિંહ મહેતાનો પદોમાં ઈશ્વરને જે પોકાર કરવામાં આવ્યો છે એ મેડેનું એક સ્વરૂપ છે. ઉપનિષદોમાં અંધકારમાંથી પ્રકાશ તરફ લઇ જવાની જે વાતો કહેવામાં આવી છે. ઉપનિષદના ઋષિ આજના યુગમાં હોત તો તેઓ શક્ય છે કે આપણી ભાષામાં બોલ્યા હોત કે Mayday!
હે બ્રહ્મ, આ અવિદ્યાના સમુદ્રમાંથી બચાવો! ઘણીવાર ટ્રાફિક જામમાં પણ આપણને આ મેડે શબ્દ પોકારવાની ઈચ્છા થતી હોય છે.
આ પણ વાંચો…ઔર યે મૌસમ હંસીં… ઃ બધાને પજવી રહ્યો છે `તમને શું લાગે છે…?’નો ચેપી રોગ
મેડે શબ્દ કેવળ ભારતીય ફિલોસોફીમાં જ નહીં, પણ દુનિયાભરમાં ઉપયોગી છે. આજે ત્રીજા વિશ્વયુદ્ધ તરફ દુનિયા દોડી રહી છે, ક્યારે શું થશે એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે એ સંજોગોમાં આપણે ય ઈશ્વરનો પોકાર કરવા સાથે તેને કહેવું જોઈએ કે માનવજાત અને આ ધરતીને તાત્કાલિક સહાયની જરૂર છે. વારંવાર એની કથાઓ થકી ચર્ચા કરી છે કે માનવ સ્વતંત્ર છે, પરંતુ આ સ્વતંત્રતા એક બોજારૂપ છે. “Mayday’ ને આ સંદર્ભમાં વ્યક્તિની નિરાશાની હાકલ તરીકે જોઈ શકાય. “Mayday’ એ વ્યક્તિની અસ્તિત્વની કટોકટી સામે દુનિયાને જગાડવાની હાકલ છે.
આ હિસાબે આપણી કથાઓ શીખવે છે કે તત્કાળ મદદ માટેનો પોકાર ફક્ત વિમાન કે શિપ પૂરતો નથી, ભારે વરસાદ અને તેનાથી સર્જાતી ગંભીર પૂર જેવી પરિસ્થિતિમાં તંત્ર કે ઇશ્વરને મદદ માટે પોકાર થતો રહ્યો છે. જીવનમાં આવતી અનિચ્છનીય ઘટનાઓમાં પણ ક્યાંક પોકાર કરવાનું મન થતું હોય છે. મનોવિજ્ઞાનમાં માણસને તણાવ દૂર કરવા પહાડો કે એકાંતમાં જોરજોરથી રડવા કે બૂમો પાડવાનું કહેવામાં આવતું હોય છે. આપણી યુદ્ધકથાઓથી માંડીને માણસ આત્મહત્યા કરવા તૈયાર થાય ત્યાં સુધીની વાસ્તવિક કથામાં મેડેનો અનિવાર્ય ભાવ વણાયેલો હોય છે.
આપણી વિમાન સંદર્ભે ત્રાસવાદી ઘટના હોય કે વિમાનમાં સર્જાયેલી ગંભીર ખામી અંગે ફિલ્મ હોય તો આપણને અચૂક મે ડે સાંભળવા મળે છે, પણ ચાર્લી ચેપ્લિન પ્રકારની કોમેડી ફિલ્મોમાં પણ વિમાનની ઘટનાઓમાં હાસ્ય સર્જવા મેડે વિના ચાલતું નથી. આમ તો કહી શકાય કે જીવનમાં સર્જાતી તમામ ગંભીર પરિસ્થિતિમાં કોઈ પણ સ્વરૂપે મેડે મનમાં આવતું હોય છે.
આપણી સનાતન સંસ્કૃતિ મુજબ વિચારીએ તો માણસને જ્યારે પોતાના અસ્તિત્વ સામે સવાલો ઊભા થતા હોય છે, શક્ય છે કે એ પોતાના જીવનમાં નિરાશા અનુભવતો હોય કે રાજકીય આર્થિક સંઘર્ષ અનુભવે ત્યારે એની પાસે પ્રકૃતિને પોકારવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. ભલે મેડે શબ્દ ફ્રેન્ચ ભાષામાંથી આવ્યો પણ આ ફક્ત એક શબ્દ નથી, ભારત અને યુરોપના સાહિત્યમાં વિશાળ ફિલોસોફી છે. આપણે તો એટલી જ પ્રાર્થના કરી શકીએ કે જ્યારે કોઈ મેડેનો પોકાર કરે તો પ્રકૃતિ મદદ કરે, વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધ માટે આપણે ય એક મદદનો પોકાર કરીએ કે જગતમાં શાંતિ સર્જાય.
ધ એન્ડ :
ૐ શાંતિ શાંતિ શાંતિ પહેલી શાંતિ મારા પરિવાર માટે, બીજી શાંતિ મારા વગર અને દેશ માટે અને અંતે સમગ્ર દુનિયા અને બ્રહ્માંડમાં શાંતિ ફેલાય.
આ પણ વાંચો…ઔર યે મૌસમ હંસીં… : ખાલીપો માણસને શા માટે પરેશાન કરે છે?