તસવીરની આરપાર: અષાઢી બીજે ભગવાન જગન્નાથની મનો રથયાત્રા

-ભાટી એન.
અમદાવાદમાં વિમાન ક્રેશ થતા તેમાં માજી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને અસંખ્ય પેસેન્જરના મૃત્યું થતા અષાઢી બીજ સાદાઈથી ઉજવવામાં આવશે, પણ કર્ણાવતી જગન્નાથ પ્રેમી હોય એટલે આ યાત્રા તો હરિ નામ સુમિરન હોય કદાચ એટલે જગન્નાથ નામોજપથી શ્રદ્ધાંજલિ આપશે…!
એટલે આ સાથે જયારે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે તેમના વરદ્ હસ્તે યાત્રાનો પ્રારંભ કરેલ તે વેળા અંજલીબેન રૂપાણી, આનંદીબેન પટેલે હાજરી આપી હતી તે તસવીર એક યાદી છે.
અષાઢી બીજ. બાર મહિનામાં આવતી બધી બીજમાં સૌથી વધારે મહત્ત્વ હોય તો આ બીજનું છે? આ શુભ દિવસે ખેડૂતો વાડી-ખેતરોમાં વાવણી કરીને બીજ વાવતા. અગાઉ પણ વરસાદ નિયમિત રીતે પડતો, જેથી વાવણી માટે ખૂબ જ ઉપયોગી સમયે વરસાદ થતો. ગ્લોબલ વોર્મિંગના સમયમાં વરસાદ પણ પોતાની મોજ પડે ત્યારે પડે છે! ભારતની વિરાટ રથયાત્રા પુરીની ‘જગન્નાથજીનીયાત્રા’ છે. એ યાત્રામાં મોટા રથો જોડાય છે. જગન્નથજીની યાત્રાની રથયાત્રાની જેમ અમદાવાદમાં પણ અષાઢ સુદ બીજના દિવસે રથયાત્રા નીકળે છે. આજે આપણે અમદાવાદના 400 વર્ષ જૂના જગન્નાથજી મંદિરની અલૌકિક રથયાત્રા વિશે જાણીએ.
અષાઢી બીજના દિવસે ગુજરાતની ભવ્યાતિભવ્ય રથયાત્રા અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથજી મંદિરેથી નીકળે છે. આ રથયાત્રા નીકળતાં પહેલાં થોડા દિવસ મોસાળ પક્ષે જગન્નાથજી રહેવા જાય છે. અમદાવાદની અષાઢી બીજની રથયાત્રાનું માહાત્મ્ય હિન્દુઓમાં અપાર છે. કાષ્ઠકળાના ઉત્તમ નમૂનારૂપ સુંદર મજાના ત્રણ રથ બનાવી, રંગરોગાન કરી અશ્વોનાં પ્રતીક લગાવવામાં આવે છે. રથયાત્રાના આગલા દિવસે ત્રણેય રથને સપ્તરંગી સુમનો (પુષ્પો)થી સુશોભિત કરવામાં આવે છે ને મંદિરના પટાંગણમાં ક્રમશ: રાખવામાં આવે છે.
પ્રથમ ક્રમે ભગવાન જગન્નાથજીનો રથ રાખવામાં આવે છે. એમાં શ્યામ વર્ણવાળા જગન્નાથજી બિરાજે છે. બીજા ક્રમે સુભદ્રાજીનો રથ અને ત્રીજા ક્રમે બળદેવજીનો રથ રાખવામાં આવે છે.
આ પણ વાંચો…તસવીરની આરપાર : કંથકોટનો કિલ્લો કચ્છનો અતુલ્ય વારસો છે
અષાઢી બીજની પ્રભાતે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા જગન્નાથજી મંદિરે પ્રથમ પહિંદવિધિ થાય છે. ત્યાર પછી આરતી, શંખનાદ અને જગન્નાથજીના જયઘોષ પછી ત્રણેય મૂર્તિઓને ક્રમશ: રથમાં બિરાજમાન કરવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાંથી આવેલા જગન્નાથજીના ભક્તોની ભીડ લાગી જાય છે. માનવમહેરામણનો સમંદર ઊમટી પડે છે. લાખો ભક્તો સંગાથ રથયાત્રાનું પ્રસ્થાન થાય છે. કર્ણાવતીનગરીના રાજમાર્ગો પર જાણે સાચે જ ભગવાન જગન્નાથજી નીકળ્યા હોય તેવી પ્રતીતિ ઉરેઉરમાં થાય છે.
જગન્નાથજીની 148મી રથયાત્રા 27 મી જૂન, 2025 નાં રોજ નીકળશે. જગન્નાથજીની રથયાત્રાની આગવી ઓળખ ગજરાજ હોય છે. 15 જેટલા ગજરાજના સુવર્ણ આભૂષણો કળાત્મક હોય છે. ગજરાજનાં મુખારવિંદ ચિત્રકારો વડે ચિત્રોથી સુશોભિત કરાય છે, હાથીની અંબાડી પર બેઠેલા અસવાર પણ સુસજ્જહોય છે, હારબંધ નીકળતા ગજરાજ ધર્મની ધજા લઈ જતા હોય તેવો અહેસાસ થાય છે. 100 થી વધારે શણગારેલી ટ્રકો રથયાત્રામાં સામેલ થાય છે તથા અખાડિયાનો અંગકસરતના દાવો પ્રદર્શિત કરતા હોય છે. ભજનમંડળીઓ, ગરબામંડળીઓ રાસ-ગરબાની રમઝટ બોલાવે છે. બેન્ડવાજાંઓની પાર્ટી સંગીતના સૂરો રેલાવતી હોય છે. આગળ આ બધો રસાલો ને પછી ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી, બળદેવજીના રથને સ્વયંભૂ ખેંચવા ધર્મપ્રેમી લોકો કેસરી સાફા પહેરી ખેંચતા હોય છે. કર્ણાવતી નગરીના રાજમાર્ગો હકડેઠઠ માનવમેદનીનું અંતરચક્ષુથી વિઝ્યુઅલ ડોક્યુમેન્ટેશન કરતા જગન્નાથજી પ્રત્યે કૃતજ્ઞતાની અનુભૂતિ થાય છે. લાખો લોકોના જયઘોષથી આકાશમાં બેઠેલા શ્રીહરિ રથયાત્રાની નોંધ લેતા હશે!.
જગન્નાથજીની રથયાત્રા અગાઉ ત્રણેય મૂર્તિઓની આંખે પાટા બાંધેલા હોય છે. મૂર્તિઓ પરનાં સોનાના આભૂષણો, કળાત્મક મુગટો ને વેષભૂષા મનને મોહિત કરતાં હોય છે. જગન્નાથજીની પ્રતીકાત્મક મૂર્તિ શ્યામ મુખડાવાળી હોય છે. વચ્ચેની મૂર્તિ સુભદ્રાજીની છે. મૂર્તિનો રંગ આછો ગુલાબી ને મુખડુ નાનું હોય છે. ને બળદેવજીની મૂર્તિ શ્વેત (સફેદ) રંગની હોય છે. ત્રણેય મૂર્તિઓની આંખો, નાક, મુખડું જરા જુદી તરેહનાં છે, પણ તેની ભવ્યતા તન, મનને પ્રફુલ્લિત કરે છે.
અમદાવાદના જમાલપુર ચાર રસ્તાની પાછળના ભાગે આવેલ જગન્નાથજી મંદિરનો ર્જીણોદ્ધાર બે દશકા અગાઉ કરવામાં આવેલો. ત્યારે સાવ નવેસરથી મંદિરનું બાંધકામ કરી ભવ્ય 85+65 ફૂટનું ત્રણ શિખરવાળું મંદિર બનાવ્યું હતું. નવું મંદિર અદ્ભુત નમૂનારૂૂપ છે. હિન્દુ વાસ્તુશા અને પુરીના જગન્નાથ મંદિરની કળાનો સમન્વય આ મંદિરની રચનામાં કર્યો છે. આ સાથે આધુનિક સુવિધાઓ વિકસાવી છે. આ મંદિરમાં વિશાળ જનમેદની સરળતાથી દર્શન થાય તેવી રચના કરવામાં આવી છે. પાંચ હજાર ફૂટના વિશાળ હોલમાં ફક્ત ચાર કોલમ આવે છે. કોઈ પણ ખૂણેથી ભગવાનનાં દર્શન થાય આ મંદિર બનાવવા રામેશ્વરદાસજી મહારાજે ખાસ્સી જહેમત ઉઠાવી હતી. જગન્નાથજીના આ ભવ્ય મંદિર અમદાવાદની આન, બાન, શાન છે, પણ પ્રતિ વર્ષ આવતી અષાઢી બીજની રથયાત્રાએ જગન્નાથજી, સુભદ્રાજી, બળદેવજીની કૃપાદૃષ્ટિનો મનોરથ સદા રહે તે માટે શ્રીકૃષ્ણપ્રેમી લોકો અમદાવાદની ‘અષાઢી બીજ’ની રથયાત્રાનો લહાવો લેશે તો તેમના મનોરથ પૂર્ણ થશે.
આ પણ વાંચો…તસવીરની આરપારઃ શિહોર શહેરમાં…ઐતિહાસિક લડાઈનાં કમાંગરી શૈલીનાં ભીંતચિત્રો…