ઈન્ટરવલ

કચ્છી ચોવક: જન્મે જ કાળા હોય એ નાહવાથી ધોળા ન થાય!

-કિશોર વ્યાસ

ગુજરાતીમાં એક પ્રચલિત કહેવત છે: કાગડા કાળા જ રહે! એ ધોળા ન થાય! ધોળિયાઓના દેશમાં પણ કાગડા કાળા જ જોવા મળે! કારણ કે, એ તેનો જન્મજાત રંગ છે! જેમ જન્મજાત રંગ પણ બદલી નથી શકાતો તેમ જન્મજાત સંસ્કાર પણ (સારા કે ખરાબ) બદલાતા નથી! કચ્છીમાં તેના માટે પણ એક અતિ પ્રચલિત ચોવક છે કે, ‘જાય કારાવેં સે, નાય અચ્છા ન થીયેં’ લો, શબ્દાર્થ જોઈ લઈએં: ‘જાય’ એટલે જન્મથી, ‘કારા’ એટલે કાળા, ‘વેં’નો અર્થ થાય હોય અને ‘સે’ એટલે તે.. ‘નાય’નો અર્થ છે સ્નાન કરવાથી અને ‘અચ્છા’ એટલે ધોળા, ‘ન થીયેં’ એટલે ન થાય. હવે ચોવકનો અર્થ પણ સ્પષ્ટ થઈ ગયો. જે જન્મે જ કાળા હોય તે ન્હાય તો પણ ધોળા ન થાય! શું આટલું કહેવા જ આ ચોવક રચાઈ હશે? ના. ચોવકને કહેવું એમ છે કે, ‘જે સંસ્કાર જન્મથી મળ્યા છે, તે બદલી નથી શકાતા! પછી એ સારા હોય કે ખરાબ!’

બીજી પણ એક કહેવત ગુજરાતી ભાષામાં પ્રયોજાતી જોવા મળે છે કે, ‘જે થાય એ સારા માટે.’ પરિસ્થિતિ કે પરિણામનો આ રીતે સ્વીકાર કરી લેવો મુશ્કેલ હોય છે, પણ એ વિકલ્પહિન છે. કચ્છીમાં એ જ વાત ચોવક આ રીતે કહે છે: ‘જિકીં થીયે સે ખાસેલા’ ‘જિકી’ એટલે જે. ‘થીયે’નો અર્થ છે, થાય અને ‘ખાસેલા’ એટલે સારા માટે. ઈશ્ર્વર જે સ્થિતિ આપે તેનો એ રીતે સ્વીકાર કરી લેવો.

આ પણ વાંચો: કચ્છી ચોવક: કર્મ કરીએં તો જ સપનાં સાકાર થાય!

જોકે હંમેશાં એ સાચું જ હોય તેવું માનવાને કોઈ કારણ હોવા છતાં, આપણે ‘બહુમત’ હંમેશાં સાચો હોવાનું જ માનીએ છીએં! એવું જ એક ચોવક પણ કહે છે કે, ‘જિની ચેં તીં કરીજે’ મતલબ કે મોટા ભાગના લોકો જે કહે તેમ કરવું! એનો અર્થ એવો થયો કે, ઘણા જણા જે કહે એ સાચું હોય છે! અહીં ‘જિની’ શબ્દનો પ્રયોગ થયો છે, જેનો અર્થ છે: ઘણા. ‘ચેં’ એટલે કહે અને ‘તીં’ એટલે તેમ, ‘કરીજે’નો અર્થ થાય છે કરવું!

એટલે જ બીજી ચોવકમાં કહેવાયું છે કે: ‘જિજે જી નાં થીયે ઉ જ કરીજે’ સીધો અર્થ તો એ જ થાય છે કે, બહુમતી લોકો કહે તેમ કરવું. જો તેમની કોઈ કાર્ય માટે ના થતી હોય તો તે કામ ન કરવું જોઈએ. હવે ‘જિજે’નો અર્થ આપ સૌને અભિપ્રેત છે. ‘નાં થીયે’ એટલે કે, ના પાડે, ‘ઉ’ એટલે ‘તે’ (કામ) ‘ન કરીજે’નો અર્થ થાય છે, ન કરવું!

આ પણ વાંચો: કચ્છી ચોવક : બંધ મૂઠી લાખની, ઉઘાડી વા ખાય!

સંસ્કૃતમાં એક કહેવત આવે છે ‘અતિ સર્વત્ર વર્જયતે’. મતલબ કે કોઈ પણ બાબતનો અતિરેક કે અતિશયતા નુકસાનકારક સાબિત થાય છે. કોઈ પણ વાતની અતિશયતા નકામી છે. એજ ભાવાર્થ સાથે એક ચોવક છે: ‘જીજો ઓપા઼ડો થો઼ડેલા.’ ‘જિજો’નો અર્થ થાય છે: વધારે. ‘ઓપા઼ડો’નો મૂળ અર્થ થાય છે, અહંકાર પરંતુ અહીં ચોવકમાં અતિશયતા અર્થમાં મૂકવામાં આવ્યો છે. ‘થો઼ડેલા’ એટલે અલ્પ સમય માટે. ન ટકે તેવું. વધારે અહંકાર પણ આખરે ઓસરી જાય છે, વધારે ઉધામા પણ આખરે શાંત થઈ જાય છે. અતિરેક ક્યારેય ટકતો નથી. તેના ફળ કે પરિણામ પણ સારાં હોતાં નથી!

આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએં કે, ત્યાં! ઓહો! ત્યાંતો મારા ઘણા સગા-સંબંધી છે, ખાવા-પીવા કે રહેવાની કોઈ ચિંતા નથી.. પણ ચોવક કહે છે: સાવધાન! જેના સગાં ઘણાં હોય તે ઘણીવાર ભૂખે પણ મરે! ‘જિજે સગ઼ેં જો મેમાણ ભુખ મરે!’ ‘સગ઼ેંજો’ એટલે સગાંના અને ‘મેમણ’ એટલે મહેમાન. એ બધાને એમ જ હોય કે, એ ત્યાં જ રહેશે, એ ત્યાં જ જમશે! એમ કરતાં ના તો કોઈ આવવાનું કહે કે, ના કોઈ જમવાનું આમંત્રણ આપે! હોટલમાં રહેવું પડે અને ધાબા પર જમવું પડે!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button