ઈન્ટરવલ

આ તો સ્કેમ છેઃ ભારતનું પ્રથમ સત્તાવાર મોટું કૌભાંડ LIC થકી થયું હતું!

પ્રફુલ શાહ

આપણને આદત પડી ગઈ છે એ સ્વીકારવાની કે કરોડોના ગોટાળા થાય, તપાસનું નાટક થાય અને કોઈને સજા ન થાય, પરંતુ સાવ એવું નહોતું. આઝાદ ભારતમાં પહેલાં પર્દાફાશ થયેલો ભ્રષ્ટાચાર એટલે જીપ કૌભાંડ.એમાં મોટી રકમ સામેલ નહોતી. બીજું રામસ્વામીને સાઈકલ કૌભાંડ જેમાં એક કેન્દ્રીય સચિવને જેલ થઈ હતી, પરંતુ આજે વાત કરીએ ભારતના સત્તાવાર કૌભાંડ ગણાતા મુંદરા કૌભાંડની. એમાં એ સમયની ખૂબ મોટી રકમ ટલ્લે ચડી ગઈ હતી. રૂપિયા એક કરોડને વીસ લાખ આજે ભલે એ ચણા-મમરા લાગે પણ ત્યારે અધધ આંકડો ગણાતો હતો. એ સમયે સોનાનો ભાવ તોલાદીઠ રૂપિયા 95 હતો. હવે તમે જ ગુણાકાર ને સરવાળા કરી લો. કે ત્યારે 1.20 કરોડમાં કેટલું સોનું આવ્યું હોત અને આજે એટલું સોનું ખરીદવા માટે કેટલાં રૂપિયા જોઈએ.

એ સમય હતો ભારતમાં શાંતિનો. દેશની આઝાદીને 11 વર્ષ થઈ ગયા હતા. કૉંગ્રેસની સરકાર બે વાર લોકસભાની ચૂંટણી જીતી ચુકી હતી. જવાહરલાલ નહેરુ, સતત બીજીવાર વડા પ્રધાનના હોદ્દા પર બિરાજમાન હતા. સરકાર, પ્રધાનો, શાસક પક્ષના નેતાઓ નૈતિકતા અને સ્વચ્છતાની ભૂરપૂર વાતો અને દાવા કરતા હતા.

સામી છાવણીમાં વિરોધ પક્ષ એકદમ નબળો, નજીવો હતો: ઈતિહાસના પાનાં ફેરવીએ તો સામ્યવાદીઓ અલગ ફિરકામાં ગરકાવ હતા, તો સમાજવાદીઓની હાલત પણ સારી નહોતી જ. 1952ની સામાન્ય ચૂંટણી પછી લોકનાયક જયપ્રકાશ નારાયણ અને રામમનોહર લોહિયાના સમર્થકોથી બનેલી પ્રજા સોશ્યાલિસ્ટ પાર્ટી વિખેરાઈ ચુકી હતી. જનસંઘનો પ્રભાવ એકદમ સીમિત હતો. કહી શકાય કે વિપક્ષોમાં નહોતી એકતા, તાકાત કે નહોતા સરકાર વિરુદ્ધ કોઈ મુદ્દા.

આ શાંત જળમાં એકદમ અને અનપેક્ષિત ધડાકો થયો અને એ પણ લોકસભામાં. સંસદમાં રીતસર નહેરુ સરકારને માથે બૉમ્બ ફોડાયો અને એ પણ કૉંગ્રેસના જ સંસદસભ્ય દ્વારા, આ સભ્ય એટલે વડા પ્રધાન નહેરુના જમાઈ ફિરોઝ જહાંગીર ગાંધી (12 સપ્ટેમ્બર, 1912- 8 સપ્ટેમ્બર-1960) પત્રકારમાંથી રાજકારણી બનેલા ફિરોઝ ગાંધીએ શબ્દો ચોર્યા વગર આરોપ લગાવ્યો કે નહેરુ રાજમાં બહુ મોટો આર્થિક ગોટાળો થયો છે. આ સાથે જમીનથી ત્રણ વહેત ઊંચો ચાલતો સરકારી નૈતિકતાનો રથ ધડામ કરતા જમીન પર પછાડાયો. આમાં વિપક્ષોને તો એકદમ ગોળનો ગાંગડો મળી ગયો.

ખુદ શાસક પક્ષના સંસદસભ્ય અને વડા પ્રધાનના જમાઈ જ લોકસભાની અંદર આરોપ મૂકે પછી કંઈ વિપક્ષો ઝાલ્યા રહે? ફિરોઝ ગાંધીએ વિગતો પણ જાહેર કરી કે ભારતીય જીવન વીમા નિગમ (એલ.આઈ.સી.લાઈફ ઈન્સ્યુરન્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા) દ્વારા એવી અમુક કંપનીઓના શેર ખરીદવામાં આવ્યા છે કે જેની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ છે. આવી નબળી કંપનીના શેર એલ.આઈ.સી.એ શા માટે ખરીધ્યા? કોના કહેવા કે દબાણથી?

અહીં એ સમયની એલ.આઈ.સી. વિશે થોડું સમજવું જરૂરી છે. સ્વતંત્રતા પછી એલ.આઈ.સી. એવી સરકારી સંસ્થા હતી કે જેને શેર ખરીદવા અને વેચવાની સત્તા હતી. એ સમયે હજી યુ.ટી.આઈ. (યુનિટ ટ્રસ્ટ ઑફ ઈન્ડિયા), કે આઈ.સી.આઈ.સી.આઈ. (ઈન્ડસ્ટ્રિયલ ક્રેડિટ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કોપોરિશન ઑફ ઈન્ડિયા) કે આઈ.ડી.બીઆઈ. (ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બેન્ક ઑફ ઈન્ડિયા)ની સ્થાપના થઈ નહોતી. સ્વાભાવિકપણે આ સંજોગોમાં એલ.આઈ.સી.નું મહત્ત્વ ખૂબ હતું. કહો કે એને સ્વાયત સંસ્થા તરીકે કામગીરી બજાવવાની પૂરેપૂરી સ્વતંત્રતા હતી. એને મૂડીરોકાણ કરવાનો અધિકાર હતો અને એ સંબંધી અંતિમ નિર્ણય એની કાર્યકરી કારોબારી સમિતિ લેતી હતી. આ સમિતિમાં એલ.આઈ.સી.ના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર ઉપરાંત મુંબઈ કલકત્તાના શેરબજારના પ્રમુખ પણ સભ્ય તરીકે રહેતા હતા.

પહેલી નજરે આ વ્યવસ્થા જડબેસલાક અને કૌભાંડ-પ્રૂફ હતી, પરંતુ એમાં કોઈક મોરલો મોટી અને ખોટી કળા કરી ગયો. ખુદ શાસક પક્ષના મોટા સાંસદે આરોપ મૂક્યા હોવાથી ભારે હોબાળો મચી ગયો. આ કૌભાંડમાં એક નામ બહાર આવ્યું હરિદાસ મુંદડા. આ હરિદાસ મુંદડા, જે કાનપુરનો રહેવાસી હતો. એ કલકત્તા શેરબજારનો મોટો સટોડિયો હતો. એ સમયના મોટા અને સન્માનિય ઉદ્યોગપતિ પરિવાર બિરલા સાથે એને પારિવારિક સંબંધ હતા. હરિદાસના જમાઈનું નામ હતું માધોપ્રસાદ બિરલા.

આ હરિદાસ મુંદડા બલ્બ બનાવતી કંપનીમાં સેલ્સમેન હતો. ખાસ શિક્ષણ વગર એ શેરબજારમાં કામકાજ કરવા માંડ્યો હતો, પરંતુ પૈસા અને શૈક્ષણિક લાયકાત વગર એનામાં કમાણી માટે નીતનવા રસ્તા અજમાવવાની ભારે આવડત હતી. આ બાબતે ભારત સરકારને હચમચાવી હતી. એમાંથી ભારતના ફર્સ્ટ રિયલ સ્કૅમનો જન્મ થયો હતો. (ક્રમશ:)

આપણ વાંચો :આ તો સ્કેમ છેઃ આઈ.એન.એ.ના ખજાનામાંથી પાકિસ્તાને ભાગ માગ્યો હતો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button