ઈન્ટરવલ

કવર સ્ટોરી: ભારત એક ન્યુક્લિઅર પાવર કેમ ફફડે છે પાક અને ચીન

-નિલેશ વાઘેલા

એક તરફ રશિયા અને યુક્રેનનું યુદ્ધ સમાપ્ત થવાનું નામ લેતું નથી અને બીજી તરફ ઇઝરાયલ અને ઇરાન વચ્ચે મિસાઇલ યુદ્ધ વધુને વધુ ભીષણ બની રહ્યું છે. જોકે, આ તમામ ઘટનાઓમાં ગૌરવ લેવા જેવી બાબત એ છે કે, નાપાક પાકિસ્તાનને ગણતરીના દિવસોમાં ભારતે પરાસ્ત કરી પોતાનો લક્ષ્યાંક સાધી લીધો છે. આ તમામ મર્યાદિત પ્રમાણનાં યુદ્ધો કે લશ્કરી અથડામણોમાં સૌથી મોટો ખતરો અણુ યુદ્ધને લગતો છે. જગત આખું ન્યુક્લિઅર વોરની મહાભયાનક અસરોથી વાકેફ છે અને તેની કલ્પનામાત્ર પણ માનવસંહારનું એક બિહામણું ચિત્ર ઊભું કરે છે. નોંધવું રહ્યું કે, ઇઝરાયલે ઇરાનની ન્યુક્લિઅર ફેસિલિટી પર હુમલો કરવાની ચેતવણી આપી છે.

નાપાક પાકિસ્તાન ભારતને વાંરવાર અણુ હુમલાની ધમકી આપી ચૂક્યું છે. તેની સાથેની છેલ્લા લશ્કરી અથડામણ સમયે અમેરિકાએ ભારતને ગર્ભિત ધમકી આપી હતી કે પાકિસ્તાન જો અણુબોમ્બનો ઉપયોગ કરશે તો અડધું ભારત સાફ થઇ જશે, માટે અટકી જાઓ. આની સામે ભારતે એવો જવાબ આપ્યો હતો કે એવું બની શકે છે, પરંતુ એ પછી ભારત જવાબ આપશે ત્યારે પાકિસ્તાન બીજા દિવસનો સૂરજ નહીં જોઇ શકે. વિશ્વના નકશા પરથી પાકિસ્તાન નાબૂદ થઇ જશે. આ પછી અમેરિકાએ પાકિસ્તાનને જ અટકી જવા સમજાવવું પડ્યું હતું.

આ પછી પણ પાકિસ્તાને અણુંબોમ્બની ધમકીઓ આપવાનું ચાલુ રાખ્યું હતું. ઓપરેશન સિંદૂરમાં ભારતે નાપાક શત્રુ દેશની મિયા ફૂસકી જેવી ધમકીઓના પણ ચિથરા ઉડાવી દીધાં અને આખા જગત સામે તેનું પોકળ ખુલ્લું પડી ગયું કે તેની પાસે કોઇ અણુશસ્ત્રો છે જ નહીં અને છે તેનો ઉપયોગ કરવાની તેનામાં ત્રેવડ નથી. આપણે તેની ટેક્નિકલ બાબતમાં ઊંડા નથી ઊતરવું, પરંતુ હકીકત એ છે કે વાસ્તવમાં આ વખતે પણ પાકિસ્તાને સરેન્ડર જ કર્યું હતું, તેને સીઝફાયરનું નામ આપવાનું ભારતે શા માટે કબૂલ રાખ્યું એ જુદી ચર્ચાનો વિષય છે.

આ પણ વાંચો: કવર સ્ટોરી : અમદાવાદ વિમાન દુર્ઘટના: આંચકો,અવાક, આઘાત વે પછી આક્રંદ…

હવે મૂળ મુદ્દા પર આવીએ તો ભારતે પરમાણુ ઊર્જા મિશન માટે યુરેનિયમની આયાત ચાર ગણી વધારવાની તૈયારી કરી હોવાથી નાપાક પાકિસ્તાન અને ચીન જેવા શત્રુ રાષ્ટ્રોના પેટમાં ઉકળતું તેલ રેડાયું છે અને ફફડાટ પણ ઊભો થયો છે. અલબત્ત, ભારત અણુ બિનપ્રસારણ કરારથી બાધ્ય હોવાથી ક્યારેય અણુશસ્ત્રોનો પ્રથમ પ્રયોગ નહીં કરે, પરંતુ ભારતની વધતી તાકાતથી શત્રુ દેશોમાં ફડક પેસી ગઇ છે. ભારત આ યુરેનિયમનો ઉપયોગ વીજ નિર્મિતી માટે કરશે એવું જાહેર હોવા છતાં બદનિયત ધરાવતા દેશો અંદરથી ફફડાટ અનુભવી રહ્યા છે.

ભારતે દેશની ઊર્જા સુરક્ષા વ્યૂહરચનાના ભાગરૂપે તૈયાર થઇ રહેલા પરમાણુ રિએક્ટરોને ઇંધણ આપવા માટે 2033 સુધી યુરેનિયમની આયાત લગભગ ચાર ગણી વધારવાનો નિર્ણય લીધો છે. અલબત્ત ભારત અણુ ઊર્જાનો ઉપયોગ વીજનિર્માણના સકારાત્મક ઉદ્દેશ માટે જ કરવા માગે છે. આયાત કુદરતી યુરેનિયમ (યુરેનિયમ ઓર કોન્સન્ટ્રેટ)ની હશે અને સમૃદ્ધ યુરેનિયમની નહીં કારણ કે ટેક્નિકલ ભાષામાં ભારતના સ્વદેશી પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર લગભગ 0.7 ટકા યુ-235 સાથે પણ કાર્ય કરી શકે છે.

એક અહેવાલ અનુસાર 2025થી 2033 સુધી ભારત સરકાર રાષ્ટ્રીય પરમાણુ ઊર્જા મિશન હેઠળ આપણા નવા આવનારા રિએક્ટરોને ક્ષમતા આપવા માટે ઓછામાં ઓછા 9,000 મેટ્રિક ટન યુનિટ યુરેનિયમની આયાત કરશે. પરમાણુ ઊર્જા વિભાગના ડેટા દર્શાવે છે કે ભારતે પાછલા પાંચ વર્ષમાં 2,090 કરોડ રૂપિયાના ખર્ચે 2600.299 મેટ્રિક ટન યુનિટ યુરેનિયમની આયાત કરી છે.

આ પણ વાંચો: કવર સ્ટોરી : પ્રીતિ ઝિન્ટાની નવી ઈનિંગ્સ

ભારતમાં 4,25,570 ટન કુદરતી યુરેનિયમ ભંડાર છે, પરંતુ નબળી ગુણવત્તાને કારણે સ્થાનિક રીતે ખાણકામથી પ્રાપ્ત થતાં યુરેનિયમનો ખર્ચ વધુ પડે છે. રશિયા ભારત માટે એક મહત્ત્વપૂર્ણ આયાત ભાગીદાર બનવાની શક્યતા છે કારણ કે આ ક્ષેત્રમાં નવા સોદા થઈ શકે છે, જ્યારે ઓસ્ટ્રેલિયા પણ શોધખોળ કરી રહ્યું છે. ભારત પહેલાથી જ લાંબા ગાળાના કરાર હેઠળ ઉઝબેકિસ્તાન, કેનેડા અને કઝાકિસ્તાનથી આયાત કરી ચૂક્યું છે.

નાણાકીય વર્ષ 2021માં, ભારતે કેનેડા અને કઝાકિસ્તાનથી 2,000.299 મેટ્રિક ટન યુનિટ આયાત કરી છે. 2024 અને 2025માં, ઉઝબેકિસ્તાનથી અનુક્રમે 350 મેટ્રિક ટન યુનિટ અને 250 મેટ્રિક ટન યુનિટ આયાત કરવામાં આવી હતી. જ્યારે નાણાકીય વર્ષ 2022 અને 2023માં કોઈ આયાત થઈ ન હતી.

ભારતની વર્તમાન પરમાણુ ઊર્જા ક્ષમતા 8.88 ગીગાવોટ છે, જે 2031-32 સુધીમાં 22.48 ગીગાવોટ અને આખરે 2047 સુધીમાં 100 ગીગાવોટ થવાનો અંદાજ છે. આ હાંસલ કરવા માટે, ભારતે 20,000 કરોડ રૂપિયાના અંદાજપત્રીય ખર્ચ સાથે રાષ્ટ્રીય પરમાણુ ઊર્જા મિશનની જાહેરાત કરી છે, જેના માટે ખાનગી ભાગીદારીને સક્ષમ બનાવવા માટે એટોમિક એનર્જી એક્ટ, 1962 અને સિવિલ લાએબિલિટી ફોર ન્યુક્લિઅર ડેમેજ એક્ટ, 2010 (સીએલએનડીએ)માં સુધારો કરવામાં આવશે.

આ પણ વાંચો: કવર સ્ટોરી : રેર અર્થ મેગ્નેટ: મેટલ બેટલ

નાણાકીય વર્ષ 2032-2033 સુધીમાં, ભારત ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (એનપીસીઆઇએલ) અને એનટીપીસી લિમિટેડ જેવા તેના જાહેર ક્ષેત્રના ઉપક્રમો (પીએસયુ) મારફત પરમાણુ ક્ષમતાને ઊંચા સ્તરે લઇ જવાની દિશામાં આગળ વધી રહ્યું છે. નાણાકીય વર્ષ 2032 સુધીમાં 22.48 ગીગા વોટની ક્ષમતા મુખ્યત્વે સ્વદેશી પ્રેશરાઇસ હેવી વોટર રિએક્ટર મારફત પ્રાપ્ત કરવામાં આવશે.

હાલમાં, 6.6 ગીગાવોટની કુલ ક્ષમતાવાળા આઠ રિએક્ટર બાંધકામ હેઠળ છે અને સાત ગીગાવોટની કુલ ક્ષમતાવાળા 10 રિએક્ટર પ્રોજેક્ટ પ્રાથમિક તબક્કામાં છે. ભારત મુખ્યત્વે યુરેનિયમ ઓર કોન્સન્ટ્રેટ (યુઓસી)ના રૂપમાં કુદરતી યુરેનિયમની આયાત કરે છે, જેને સામાન્ય રીતે તેના પ્રેશરાઇસ હેવી વોટર રિએક્ટર માટે યલોકેક તરીકે ઓળખવામાં આવે છે.

એકવાર આયાત કર્યા પછી, યલોકેકને યુરેનિયમ ડાયોક્સાઇડમાં રૂપાંતરિત કરવામાં આવે છે અને ત્યારબાદ તેને દેશની ન્યુક્લિઅર ફ્યુઅલ ફેબ્રિકેશન ફેસિલિટીઝ ખાતે ફ્યુઅલ બંડલમાં પરિવર્તિત કરવામાં આવે છે. આપણા સ્વદેશી પ્રેશરાઇસ હેવી વોટર રિએક્ટરને સમૃદ્ધ યુરેનિયમની જરૂર હોતી નથી. કુદરતી યુરેનિયમમાં મોટે ભાગે યુ-238 હોય છે, જેમાં લગભગ 0.7 ટકા યુ-235 હોય છે, જે આ રિએક્ટર્સ માટે પર્યાપ્ત છે કારણ કે આપણે ભારે પાણીનો ઉપયોગ મોડરેટર અને કુલન્ટ તરીકે કરીએ છીએ, જે ન્યુટ્રોનને ધીમું કરવામાં કાર્યક્ષમ છે.

આ પણ વાંચો: કવર સ્ટોરી: પાકિસ્તાની આતંક વિરુદ્ધ વિસ્મયજનક વિકાસથી જડબાતોડ જવાબ

વીજળીની માગ ઝડપથી વધી રહી છે, ફક્ત હળવા ઉદ્યોગ અથવા એર કન્ડિશનિંગ જેવા પરંપરાગત ઉપયોગો માટે જ નહીં, પરંતુ ઇલેક્ટ્રિક વાહનો, ડેટા સેન્ટરો અને આર્ટિફિશિઅલ ઇન્ટેલિજેન્ટ્સ જેવાં નવાં ક્ષેત્રોમાં પણ. વીજ માગ વધી રહી છે. સરકારના રાષ્ટ્રીય વીજળી યોજના મુજબ, ભારતની ટોચની વીજળીની માગ નાણાકીય વર્ષ 2025માં નોંધાયેલી 250 ગીગાવોટની ટોચથી 2032સુધીમાં 458 ગીગા વોટ સુધી પહોંચી શકે છે. 2047 સુધીમાં, ભારતનું લક્ષ્ય કુલ વીજળી ઉત્પાદન ક્ષમતા લગભગ 1,000 ગીગા વોટ સુધી પહોંચાડવાની અને તેના 10 ટકા પરમાણુ આધારિત બનાવવાની છે.

દરેક રાજ્યમાં એક પરમાણુ ઊર્જા પ્લાન્ટ સ્થપાશે

સરકાર દરેક રાજ્યમાં એકપરમાણુ ઉર્જા પ્લાન્ટ સ્થાપશે. સરકાર સેસ્મિક ઝોન ફાઇવ હેઠળ ના આવનારા દરેક રાજ્યમાં પણ એક પરમાણુ ઊર્જા પ્લાન્ટ સ્થાપવાની યોજના બનાવી રહી છે અને ક્ષમતા વધારાને વધારવા માટે ફ્લીટ મોડ પર વિચારણાં કરી રહી છે.

સરકાર પરમાણુ વીજપ્લાન્ટ સ્થાપવા માટેનો ટર્નઅરાઉન્ડ સમય વર્તમાન 13 વર્ષના સરેરાશથી ઘટાડીને આઠ વર્ષ કરવાનો વિચાર કરી રહી છે. વૈશ્ર્વિક સ્તરે, પરમાણુ વીજપ્લાન્ટ બનાવવા માટે લાગતો સરેરાશ સમય છથી આઠ વર્ષનો હોય છે, જોકે બાંધકામનો સમયગાળો નોંધપાત્ર રીતે બદલાઈ શકે છે.

ભારતમાં આઠ પરમાણુ વીજપ્લાન્ટમાં 25 પરમાણુ રિએક્ટર કાર્યરત છે, જેની કુલ સ્થાપિત ક્ષમતા 8,880 મેગાવોટ (8.8 ગીગાવોટ) છે, જેને કેન્દ્ર 2047 સુધીમાં 100 ગીગાવોટ સુધી વધારવા માગે છે. હાલમાં, ફક્ત 15 ગીગાવોટની વધારાની ક્ષમતાને મંજૂરી આપવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Nilesh Waghela

વાણિજ્ય પત્રકારત્વ ક્ષેત્રમાં ૩૫ વર્ષથી કાર્યરત વરિષ્ઠ પત્રકાર, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં મુંબઇથી પ્રકાશિત થનારા ટોચના અખબારોમાં નિયમિત કોલમ, ટીવી, રેડિયો, ડિજિટલ અને સર્વ પ્રકારના માધ્યમોમાં વાણિજ્ય ક્ષેત્રના તમામ વિભાગોમાં લેખન.
Back to top button