ઈન્ટરવલ
રમૂજી સવાલના મનમોજી જવાબ

દર્શન ભાવસાર
મન હોય તો માળવે જવાય. મન ના હોય તો?
- ચૂપચાપ બેસી રહેવાનું. નહીં તો વાઈફ માળિયે ચઢાવી દેશે.
લગ્નમાં જાનૈયા આવે. તો છૂટાછેડામાં? - વકીલો અને સાક્ષીઓ આવે.
મારે એકપણ સાળો નથી. - તો ધરમનો સાળો શોધી લો.
પ્રકાશ સીધી લીટીમાં કેમ ગતિ કરે છે? - એ માણસ થોડો છે ? આડી લાઈનમાં જાય તો અધોગતિ થાય. !
વરસાદ મેઘધનુષી રંગનો પડે તો? - કવિઓને નવી કવિતા રચવાનો નવો વિષય મળે !
બસ – ટ્રેન સમયસર ના આવતી હોય ટાઈમટેબલ શા માટે? - કેટલી મોડી આવી એ જાણવા….
ગોળા ફેંક, ભાલા ફેંકની જેમ ફેંકમફેકની સ્પર્ધા થાય તો? - એમાં હારેલાં પણ જીતી ગયાની ફેંકવા માંડે !
કોનું મન કળી ના શકાય? - પત્ની અને બોસનું…
બફાટમાં શું ફાટે? - માથું….સામેવાળાનું !
કેલ્ક્યુલેટરમાં લેટર લખાય? - હા, પણ આંકડાબાજીમાં.
વાંદરાને નિસરણી આપો તો એ શું કરે ? - નેતાને માઈક આપો એવું …
ભૂત બંગલામાં રહે તો પ્રેત ક્યાં રહે? - વરંડામાં…
રાતા પાણીથી રડાય તો કયા પાણીથી હસવાનું આવે? - ભાંગવાળા પાણીથી !
કયા ભાવથી અભાવ આવે? - ભેદભાવથી.
રાજ કેવી રીતે લેવું સારું – લડીને કે રડીને? - આવડત મુજબ…
ચાના બદલે કિટલી ગરમ થઈ જાય તો? - ગેસ બંધ કરી દેવાનો….
વરસાદમાં પત્ની ભજિયા ના બનાવે તો શું થાય? - કજિયો !
સફળ એ કેવું ફળ છે? - પચાવવામાં અઘરું પડે એવું!
પત્નીને રાતરાણી કહેવાય? - કોની પત્નીને?!
આપણ વાંચો : રમૂજી સવાલના મનમોજી જવાબ