ઈન્ટરવલ

મગજ મંથન : અહંકાર માણસની દ્રષ્ટિને આંધળી બનાવી દે છે…

વિઠ્ઠલ વઘાસિયા

માનવ જીવનમાં અહમ્‌‍ એટલે કે અહંકાર એ એક એવો ગુણધર્મ છે, જે વ્યક્તિના વિકાસમાં અવરોધ રૂપ બને છે. જયારે માણસ પોતાને સર્વશ્રેષ્ઠ માનવા લાગે છે ત્યારે એનું પતન શરૂ થઈ જાય છે. જ્યાં અહંકાર હોય ત્યાં પતન નિશ્ચિત છે.

કામ-ક્રોધ -લોભની જેમ અહમ્‌‍ કે અહંકાર પણ માણસનો મોટો શત્રુ છે. અહમ્‌‍ ભરેલો માણસ એમ સમજે છે કે, હું જ મહાન છું. હું જ સર્વ શક્તિમાન છું. જે કંઈ થાય છે તે મારે લીધે થાય છે. અહમ્‌‍ એટલે હું પદ,ગર્વ, મગરૂરી. `તમો’ ગુણના વધારાને કારણે અહંકાર નામની સ્થૂળ શક્તિ ઉત્પન્ન થાય છે. મન,વાણી અને કર્મને સ્વાર્થ પરાયણ કરવામાં આવે એનું નામ અહમ્. અહંકારી માણસ એમ માનીને ચાલે છે કે, કર્તા- હર્તા ને સર્વસ્વ હું જ છું.

તું' એટલે કે પરમાત્માને યશ આપતો નથી એટલે જ નરસિંહ મહેતાએ ગાયું કે,હું કં હું કં એ જ અજ્ઞાનતા શકટનો ભાર જ્યમ શ્વાન તાણે.’ સર્વ ક્રિયાઓ કોઈ અજ્ઞાત શક્તિના બળે ચાલતી હોય છે, છતાં અહંકારી માણસ એમ માને છે કે આ બધું મારી શક્તિ અને યોગ્યતાના બળને લીધે જ ચાલે છે. અહંકારી બનવું એટલે શેતાનિયતના શિકાર બનવું. જ્યારે અહમ્‌‍ ત્યાગી બનવું એટલે દેવત્ત્વને માર્ગે પ્રસ્થાન કરવું.

ગર્વ કરનાર હંમેશાં પરાજિત થયો છે અને ગર્વ ત્યજનાર હંમેશાં સુખી થયો છે. અહંકાર માણસને અવિચારી, ઉદ્ધત અને હિંસક બનાવે છે. ઈતિહાસે આપણને અનેક ઉદાહરણો આપ્યાં છે. જ્યાં અહંકારને કારણે મહાન સામ્રાજ્ય પણ ધરાશાયી થયાં છે. રાવણ, દુર્યોધન, હિટલર, કંસ અને શિશુપાલ જેવા ત્રાસવાદીઓ અહમ્ના ઈશારે ચાલીને જ બરબાદ થઈ ગયા. રાવણ પાસે મહાન શક્તિ હતી, પરંતુ એનો અહંકાર એને વિનાશ તરફ લઈ ગયો. તેવી જ રીતે દુર્યોધનનો અહંકાર એને મહાભારતના યુદ્ધ સુધી લઈ ગયો.

અહંકાર વિહીન માણસ નમ્ર હોય છે આપણી દુનિયા જેવી અન્ય અસંખ્ય દુનિયા હોઈ શકે. વિશ્વના મહાસાગરમાં માણસ તરીકે હું એક નાનકડું બિંદુ છું એવો ખ્યાલ જ માણસને અહંકાર મુક્ત બનાવી શકે. માણસમાં રહેલી લઘુતા એને અહંકાર તરફ દોરી જાય છે. મહાત્મા ગાંધીએ ઉચિત કહ્યું છે કે, હું જે કરી શકું છું તે બીજો પણ કરી શકે છે એમ માનવું જોઈએ….એવું ન માનીએ તો અહંકારી કહેવાઈએ.

અહંકારી મનુષ્ય અભિમાની હોય છે. એને પોતાના કુળ, ધન, જ્ઞાન, રૂપ,પરાક્રમ, દાન શક્તિ અને તપનું અભિમાન હોય છે. વિશ્વામિત્ર એ પણ અભિમાન ત્યજીને વશિષ્ઠની યોગ્યતા આગળ નમતું જોખ્યું હતું. આથી જ તે રાજર્ષિ'ને બદલેબ્રહ્મર્ષિ’ બની શક્યા હતા. અહંકારી માણસ હઠીલો હોય છે. તે પોતાની જીદ છોડવા તૈયાર નથી હોતો. એ માને છે કે હું અહમ્ને ત્યજીશ તો મારી ક્ષુદ્રતાનો અને લઘુતાનો લોકોને ખ્યાલ આવી જશે. મારી આબરૂ અને ગૌરવ સમાપ્ત થઈ જશે. એવા ડરથી પણ માણસ પોતાનાં હૃદયમાં અહમ્ને વધુ ને વધુ સ્થાન આપવા લલચાય છે.

અહંકાર માણસની દૃષ્ટિને આંધળી બનાવી દે છે. અહંકાર, દયા, સહકાર અને સમજદારીને દૂર કરે છે. અહંકાર ધરાવતો માણસ બીજાની સફળતા પણ સહન કરી શકતો નથી. આવી વ્યક્તિની આજુબાજુથી લોકો પણ દૂર થવા લાગે છે. કારણ કે અહંકાર મિત્રતાને પણ નષ્ટ કરી નાખે છે.

આગેવાની, સફળતા કે શક્તિ મેળવવી ખરાબ વાત નથી, પણ એનો ઉપયોગ હકારાત્મક રીતે ન થાય અને તેને અહંકારનું રૂપ આપી દેવામાં આવે, તો એ પતન તરફ લઈ જાય છે. માનવ માત્ર જેટલો વધારે નમ્રતા અને નમ્ર ભાવ ધારણ કરે છે, તેટલો તે વધુ મજબૂત અને લોકપ્રિય બને છે.

સત્તા અને શક્તિ પચાવવા માટે માણસમાં સંયમ અને વિવેક જોઈએ. વાસુકિ નાગ હજાર ગણી શક્તિ ધરાવે છે, છતાં તે ગર્વ કરતો નથી.જ્યારે ઝેરનું નાનકડું બિંદુ ધારણ કરનાર વીંછી પોતાની પૂંછડી ઊંચી રાખીને ચાલે છે. અધૂરો ઘડો વધુ છલકાય છે. માણસ પોતાના દોષને ઢાંકવા માટે પણ અહંકારનો આધાર લેતો હોય છે. અસલી સોના કરતાં નકલી સોનામાં વધુ ચળકાટ હોય છે.

જીવનમાં સુખ,શાંતિ અને યશ મેળવવા માટે અહંકારનો ત્યાગ કરવો અનિવાર્ય છે. પોતાના ગુણોનો ગર્વ હોવો યોગ્ય છે પણ તેને અહંકારમાં બદલવો ન જોઈએ. સાચો વિજેતા તો એ જ હોય છે જે જીતે પછી પણ નમ્ર રહે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button