ઈન્ટરવલ

આ તો સ્કેમ છેઃ સાઈકલ કૌભાંડમાં થઈ પહેલી વાર દોષિતને સજા

પ્રફુલ શાહ

ભારતે આઝાદી મેળવી એ સાથે જ એકાએક કૌભાંડો બિલાડીના ટોપની જેમ ફૂટવા માંડ્યા હતા. નેતાઓ અને અમલદાર લોગ આટલી બધી લુચ્ચાઈ, લાલચ, દેશની લૂંટ અને પ્રજા સાથે છેતરપિંડીનો કમબખ્ત કસબ રાતોરાત ક્યાં જઈને શીખી આવ્યા હશે?

આઝાદીની પૂર્વ સંધ્યાએ નેતાજી સુભાષચંદ્ર બૉઝની ઈન્ડિયન નેશનલ આર્મીના ખજાનાને પગ આવી ગયા, પછી જીપ કૌભાંડ આઝાદ ભારતનું પ્રથમ કૌભાંડ બની ગયું. ત્યારબાદ તાજામાજા ભ્રષ્ટ રાજકારણી અને અમલદારોએ આમ આદમીના વાહન સાઈકલને પણ ન મૂકી. આજે સાઈકલ કૌભાંડ સાંભળીને ભલે હસવું આવે પણ ત્યારે સાઈકલનું ખૂબ મહત્ત્વ હતું. આ મૂલ્યવાન વાહન આમ આદમીની અવરજવર માટે અનિવાર્ય હતું. ઘરેથી ઑફિસે જવા-આવવા, નાની-મોટી ખરીદી કરવા સહિતના વ્યવહારું કામકાજ અને બાળકોને સ્કૂલ મૂકવા – લાવવા અને નાના વેપારીઓ માટે માલની અવરજવરનું સાધન હતું. આના સિવાય ઘણી મુશ્કેલી વધી જતી એ દિવસોમાં.

આ પણ વાંચો: આ તો સ્કેમ છેઃ અસ્તિત્વ ન ધરાવતું એરપોર્ટ વેચ્યું 2.42 કરોડ ડૉલરમાં!

ભારત નવોનવો આઝાદ થયેલો દેશ હતો. પોતીકા ઉદ્યોગ સ્થપાવાની શરૂઆત થઈ હતી. વિકાસનો રેડમેપ હજુ પૂરેપૂરો તૈયાર નહોતો. આ કારણસર સાઈકલની આયાત માટે કવૉટા નક્કી કરાયો હતો. વિદેશી કંપનીઓ પાસેથી આ કવૉટા મુજબ ભારત સાઈકલ આયાત કરી શકે. એક જ કંપની પાસેથી બધી સાઈકલ લઈને મોનોપોલી ન આપવી હોય કે સ્પર્ધાત્મક ભાવ માટે આ વ્યવસ્થા થઈ હોઈ શકે. સાથોસાથ વધુ કંપનીઓ પાસેથી આયાત કરવાથી ગુણવત્તામાંય વિવિધતા અને સ્પર્ધાનો લાભ મળી શકે.

આ નીતિ કે આયોજનમાં કંઈ જ ખોટું નહોતું. પરંતુ 1951માં આ વ્યવસ્થામાં ભ્રષ્ટાચારે પંકચર પાડી દીધું હતું. કેન્દ્રના વાણિજય અને ઉદ્યોગ ખાતાના સચિવે મોટી અને ખોટી કળા કરી હોવાનો ઘટસ્ફોટ થયો. કોઈ કંપનીને ઈમ્પોર્ટ કવૉટા ફાળવવા સામે તેમણે લાંચ લીધી હોવાનું બહાર આવ્યું.

આ પણ વાંચો: આ તો સ્કેમ છેઃ ખજાનો લૂંટાયા વિશેના અનેક સવાલ કેમ રહ્યા અનુત્તર?

આઝાદ ભારતમાં અમલદારશાહીને ભ્રષ્ટાચારની ઉધઈ આભડી ગયાનો બહાર આવેલો આ પહેલોવહેલો કિસ્સો હતો. કેટલી લાંચ લીધી હતી આ સચિવ એસ. એ. વેંકટરમણે? રૂપિયા દસ હજારની. આજની તારીખે આ રકમ ચણામમરાથી તુચ્છ લાગે કારણ કે આપણા નેતાઓ અને અમલદારોમાં ભ્રષ્ટાચાર એવરેસ્ટથી ય ઊંચો થઈ ગયો છે. પરંતુ એ સમયે આ રકમ ઘણી ઘણી મોટી ગણાતી હતી. કંઈ રીતે એ જરા સમજીએ. ત્યારે સોનાનો ભાવ તોલા દીઠ રૂપિયા 98 હતો. એટલે રૂા. દસ હજારમાં 102 તોલા સોનું મળી શકે. આજે એટલું સોનું ખરીદવા માટે દસ કરોડ વીસ લાખથી વધુ રૂપિયાની જરૂર પડે.

એસ. એ. વેંકટરમણે કરેલા ભ્રષ્ટાચારના પુરાવા હતા. એટલે એ સાબિત કરવામાં મુશ્કેલી પડી નહોતી. અલબત્ત, આમાં એકલા સેક્રેટરી જ સંડોવાયેલા નહોતા પણ એની પાછળ મોટા રાજકીય માથાઓ હોવાનો પણ હોબાળો મચ્યો હતો. વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ સંસદમાં પોતાના સાથીઓનો બચાવ કર્યો, કરવો પડ્યો. પરંતુ હોબાળા અને વિવાદને શાંત પાડવાનું અનિવાર્ય હતું. આને લીધે વાણિજય અને ઉદ્યોગ મંત્રાલયના સચિવ એસ. એ. વેંકટરમણને જેલની સજા થઈ હતી. ભ્રષ્ટાચાર બદલ કોઈને સજા થયાનો આઝાદ ભારતનો આ પેહલોવહેલો કિસ્સો હતો. આમાંય એક નાના ખેલાડી કે મુખવટાને સજા થઈ હતી પણ પડદા પાછળના મુખ્ય કલાકારો એટલે કે રાજકારણીઓને ઊની આંચેય આવતી નહોતી.

આ પણ વાંચો: આ તો સ્કેમ છેઃ ચેટ્ટુરને ગંભીરતાથી લેવાયા હોત તો ખજાનો મળ્યો હોત?

આજે ઈન્ટરનેટ યુગમાં સંશોધન, મહેનત કરવાની આળસ અને ઉતાવળે છાપી મારવાની – અપલોડ કરી દેવાનું હોડમાં આ કેસમાં એક ભયંકર ભગો થયાનું બહાર આવ્યું. અમુક વેબસાઈટ્સ પર એસ. એ. વેંકટરમણના કિસ્સા સામે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ (1980થી 1992) સ્વ. રામસ્વામી વેંકટરમણ (4 ડિસેમ્બર, 1910-27 જાન્યુઆરી, 2009)નો ફોટો છપાય છે! આજે બોદ્ધિક ભ્રષ્ટાચાર કરીશું કે બૌદ્ધિક દેવાળું?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button