ઔર યે મૌસમ હંસીં…: ઇતિહાસને જીવંત કરે છે… કઠપૂતળીની વિસ્મય કળા…

દેવલ શાસ્ત્રી
કઠપૂતળીના ખેલ વિશ્વભરમાં પ્રચલિત છે. દુનિયાભરમાં અલગ અલગ કથાઓ આ કળા સાથે જોડાયેલી છે. આપણે ત્યાં કઠપૂતળીઓ માટે અત્યંત રસપ્રદ કથા લખવામાં આવી છે. ભગવાન શિવથી કોઈક કારણોસર પાર્વતીજી નારાજ થયા હતાં. ભગવાન શિવે પત્નીને ખુશ કરવા લાકડાની કઠપૂતળીમાં પ્રવેશ કર્યો અને પત્નીને મનોરંજન કરાવીને ખુશ કર્યા. ભારતમાં કઠપૂતળીના ખેલનો જન્મ ભગવાન મહાદેવના હાથે થયો. આ ખેલને તેના ખેલૈયાઓ પવિત્ર ગણે છે.
નવી જનરેશનનાં બાળકો પાસે મોબાઈલ હાથવગો છે. બાળકોનું મનોરંજન જમાના મુજબ બદલાઈ ગયું છે. આજની પેઢીએ વિક્રમાદિત્યની બત્રીસ પૂતળીઓની વાર્તા વાંચતી હશે કે કેમ એ ખબર નથી , પણ આપણે નાના હતાં ત્યારે બત્રીસ પૂતળીઓની વાર્તા લગભગ બધા વાંચતા. આ વાર્તાઓ એક પડદો લગાવીને કાપડના પૂતળા દ્વારા કોમેન્ટ્રી સાથે ભજવવામાં આવતો હતો. પેઢીઓથી મનોરંજન આપતી કઠપૂતળીનો ઇતિહાસ આશરે પચ્ચીસસો વર્ષ પ્રાચીન છે, પાણિનીના નટસૂત્રમાં કઠપૂતળીના ઉલ્લેખો છે. બે હજાર વર્ષ પહેલાં પણ નાટકો વિવિધ પ્રકારની કઠપૂતળીના માધ્યમથી ભજવાતાં હતાં.
એક અભ્યાસ મુજબ એવું માનવામાં આવે છે કે ભારતથી પડોશી દેશો થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા, શ્રીલંકા, ફિલિપાઇન્સ, વિયેટનામ,કોરિયા વગેરેમાં કઠપૂતળી પહોંચી. આ દેશોમાંથી ચીન થઈ રશિયા અને યુરોપ સુધી ફેલાતી ગઇ. કઠપૂતળીનો ખેલ દેશવિદેશમાં ફરતો ગયો તેમ તેમ લોકપ્રિય થતો ગયો. આ ખેલમાં જે તે દેશનું કલ્ચર ઉમેરાતું ગયું. દેશ-વિદેશના પરિભ્રમણ દરમિયાન કઠપૂતળીના સ્વરૂપ બદલાતા ગયા.
દુનિયાભરમાં કઠપૂતળીની કળાનો આધુનિક જ્ઞાન સાથે વિકાસ થયો અને આજે તેને જાળવવા સુંદર પ્રયાસો પણ થાય છે. કઠપૂતળીના ખેલ પરથી અનેક પોપ્યુલર ટીવી શોઝ પણ થાય છે. ડિસેમ્બરમાં થતાં કાર્નિવલમાં પ્રાણીઓની પ્રતિકૃતિ પર કઠપૂતળી કળા પર આધારિત છે. આજકાલ ભારતમાં શેડોનો ઉપયોગ કરીને આ કળાનો ઉપયોગ કમર્શિયલ એડમાં પણ જોવા મળે છે.
કઠપૂતળીના ખેલ વિષે એવું પણ માનવામાં આવે છે કે ગ્રીસથી કઠપૂતળી કળા વિકાસ પામી હતી. ઇજિપ્તમાં આ કળા પૌરાણિક યુગથી વિકસી હતી. આપણે બંને ઇતિહાસ સાથે વાંધો નથી. આપણો વાંધો તો એ છે કે ભગવાન શિવે આપેલી આ કળાને બચાવવા પ્રયત્નો ઘણા ઓછા છે.
યુરોપિયન દાર્શનિક એરિસ્ટોટલ અને પ્લટોએ કઠપૂતળી વિશે લખ્યું છે. હોમરનાં પૌરાણિક નાટકો ઇલિયાડ અને ઓડીસી કઠપૂતળી દ્વારા રજૂ થયાં હતાં. કેટલાય દાયકાઓથી વિદેશોના અનેક સ્ટુડિયોમાં સ્વતંત્ર પપેટ ડિઝાઇન ડિપાર્ટમેન્ટ કામ કરતું હોય છે, જે પપેટની ડિઝાઇન, ડાયલોગ, ડે્રસ, નામકરણ, એન્ટરટેઇનમેન્ટ, સ્ટોરીલાઇન, ડાયલોગ ડિલિવરી મેથડ જેવા વિષયો પર ડિટેઇલમાં કામ કરે છે. ક્લાસિક પપેટ એનિમેશન ફિલ્મો આમ જ થોડી બને…
ઇન્ડોનેશિયાના વાયાંગ કુલીટમાં એક જ કલાકાર આખી વાર્તા, અવાજ અને સંગીતનું નિર્દેશન કરે છે. જાપાનના બુનરાકુમાં તો પપેટની કળાએ મનોરંજનનું ઉચ્ચતમ શિખર પ્રાપ્ત કર્યું છે. દરેક કઠપૂતળીને ત્રણ કલાકાર ચલાવતા હોય છે. જેમાં એક કલાકાર માથું, બીજો હાથ અને ત્રીજો પગને ચલાવતા સમન્વય એટલો સરસ કરે છે કે કઠપૂતળીનું હલનચલન અદ્દલ માનવ જેવું લાગે છે.
આધુનિક યુગમાં શેડો પપેટ્સમાં પડદા પાછળ પ્રકાશનો ઉપયોગ કરીને વાર્તાઓનું રહસ્યમય ચિત્રણ થાય છે, જે દર્શકોને એક અલગ દુનિયામાં લઈ જાય છે. ઇન્ડોનેશિયાની લોકપ્રિય પપેટ આર્ટ વાયાંગ કુલીટમાં શેડો પપેટ પરંપરામાં રામાયણ અને મહાભારતની કથાઓ કહેવામાં આવે છે.
ચીનની શેડો પપેટ આર્ટમાં સ્થાનિક જર્ની ટુ ધ વેસ્ટ નામની વાર્તાઓ અત્યંત લોકપ્રિય છે, જેમાં મંકી કિગની જાદુઈ લડાઈઓ બતાવવામાં આવે છે. બ્રિટનમાં લોકપ્રિય એવા પંચ એન્ડ જૂડીના પપેટ શોમાં પંચ અને જૂડીના ઝગડાઓને હાસ્ય સાથે પંચનો વિચિત્ર અવાજ સ્વાઝલ નામના સાધનથી બનાવવામાં આવે છે. જયારે માણસજાત પાસે લખવાની કળા વિષે માહિતી હતી નહીં એ સમયે પપેટ શો મનોરંજન સાથે સામાજિક મેસેજ આપતા હતા.
કઠપૂતળી એ માત્ર એક કળા નથી, પરંતુ એવું માધ્યમ છે જે વાર્તાઓ, સંસ્કૃતિ અને લાગણીઓને જીવંત કરે છે. ભારતના ગામડાઓથી લઈને જાપાનના થિયેટરો સુધી આ કળા વિશ્વભરમાં પોતાનો જાદુ ફેલાવીને ચાહકો ઊભા કર્યા છે. ભારત સહિત વિશ્વમાં અનેક સ્થળો પર પપેટ મ્યુઝિયમ બન્યા છે. આ પપેટ આપણે વણલખ્યો ઇતિહાસ છે.
આપણા દેશની વાત કરીએ તો સ્થાનિક લોકકથાઓને જીવંત રાખવા માટે કઠપૂતળીઓના ખેલ અને કલાકારોનો આભાર માનવો જોઈએ. અમરસિંહ રાઠોડ, પૃથ્વીરાજ ચૌહાણ, લૈલા મજનુ, શીરી ફરહાદ કે હીર રાંઝા જેવા કથાનકો સાથે અનેક સામાયિક વિષયોની વાતો કહીને સમાજના ઉત્થાન માટે મોટો ફાળો આપ્યો છે. કઠપૂતળીનાં વસ્ત્રો, રંગો, ચિત્રો અને ગીતો પરથી જે તે સ્થળની સંસ્કૃતિનો અભ્યાસ કરવા મદદ મળે છે.
જો કે સમયની માંગ મુજબ આધુનિક વાર્તાઓ આવશે તો નવી જનરેશન આકર્ષાશે, બાકી હેરિટેજ થઈને રહી જશે. આપણે ગુજરાતીઓએ રાજસ્થાની કઠપૂતળીના ખેલ વધારે જોયા છે, કપડાની કઠપૂતળીને દોરા વડે બાંધી આંગળીઓથી નચાવતા બજાણિયા જોયા છે. આ શૈલીની વિશેષતા એ છે કે કઠપૂતળીના પહેરવેશ પરથી ખબર પડી જાય કે કોણ રાજા છે અને કોણ પ્રજા…
ઓરિસ્સામાં કુંદેઈ, મહારાષ્ટ્રમાં માલાસૂત્રી કે તમિળનાડુમાં બોમલટ્ટમ શૈલી જાણિતી છે. કેરાલામાં કઠપૂતળી નચાવતા નચાવતા પ્રેક્ષકોને પણ નચાવવામાં આવે છે. દક્ષિણ ભારતમાં કઠપૂતળી જાનવરોના ચામડામાંથી બને છે પણ બંગાળમાં ડંડા સાથે કઠપૂતળી બાંધી નાચ નચાવવામાં આવે છે. પ્રાચીન કાળમાં કઠપૂતળીઓ દેવતાઓના પ્રતીક તરીકે વપરાતી હતી અને જાદુઈ વિધિઓમાં ભૂમિકા ભજવતી હતી.
પપેટ આર્ટ એક એવી કળા છે જે સદીઓથી લોકોના હૃદયને જીતતી આવી છે. લાકડું, કપડું કે ચામડાંના બનેલાં નાનકડાં પાત્રો દોરીઓ, હાથ કે લાકડીઓની મદદથી જીવંત થાય છે. વાર્તાઓ કહેવાની શૈલી એટલી સરસ છે કે દર્શકો મંત્રમુગ્ધ થઈ જાય છે. આ કળા માત્ર મનોરંજન નથી, પરંતુ સંસ્કૃતિ, ઇતિહાસ અને શિક્ષણનું સશક્ત માધ્યમ બન્યું છે.
નવી શિક્ષણનીતિની વાતમાં કળાઓને મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. આપણે એનિમેશન ફિલ્મ થકી બાળકોને વિજ્ઞાન અને ગણિત જેવા અઘરા વિષયો ભણાવી શકીએ છીએ. કઠપૂતળી પ્રકારના મનોરંજક કળાના માધ્યમથી બાળકોમાં શિક્ષણ સાથે સાહસ, શૌર્ય, સહકાર, સમાનતા, સદવિચાર જેવા આઉટડેટેડ સબ્જેક્ટ શીખવી શકાય?
ધ એન્ડ:
‘बाबुमोशाय, जिन्दगी और मौत उपरवाले के हाथ है जहाँपनाह उससे न तो आप बदल सकते है न मै, हम सब तो रंगमंच की कठपुतलियाँ है जिनकी डोर उपरवाले की उंगलियों में बंधी है…कब, कौन, कैसे उठेगा यह कोई नहीं बता सकता ह़ै!’ (ફિલ્મ `આનંદ’નો યાદગાર સંવાદ)