તસવીરની આરપાર: મિત્રતાનું ઉત્તમ ઉદાહરણ: પોરબંદરનું સુદામા મંદિર…

-ભાટી એન.
ભાઈબંધી આજના યુગમાં તકલાદી ને સ્વાર્થી થઈ ગઈ છે…!?. સાવ સાચી વાત છે, પોતાનો સ્વાર્થ હોય તો મિત્રતા રાખે બાકી તું કોણ ને હું કોણ આવી મિત્રતા બની ગઈ છે, અગાઉ મિત્રતા માટે જાન આપી દે, મિત્ર માટે ઉઘાડા પગે મિત્રને મળવા દોડી આવે ને ભેટી પડે ને તેનું દુ:ખ સમજી જાય ને તેનો પ્રશ્ન સોલ પણ વગર કીધે થઈ જાય આવી મિત્રતાનું સર્વોપરી જીવતું જાગતું ઉદાહરણ શ્રીકૃષ્ણ ને સુદામા. તેની તોલે આવવું કપરું છે…!?. એક રાજા ને એક રંક તેમ છતાં પ્રેમ નિષ્ઠ મિત્રતાને ઉજાગર કરતી ઐતિહાસિક સત્ય વાત પર દ્રષ્ટિપાત કરીએ.
શ્રીકૃષ્ણ ભગવાનનાં ખાસ સખા સુદામાજીની ભૂમિ એટલે ‘સુદામાપુરી’ તે આજનું પોરબંદર ખૂબ જ પ્રચલિત છે… આ ભૂમિ પર મહાત્મા ગાંધી બાપુએ જન્મ લીધો જેમણે મહામૂલી આઝાદી અપાવી, આ નગરીને ફ્લેમિંગો સિટી પણ કહે છે. તો પોરબંદરનાં સર્જક બે નર રત્નો પોરબંદરનાં મહારાણા નટવરસિંહજી અને રાજ રત્ન દાનવીર શેઠ શ્રી નાનજી કાલિદાસ મહેતા હતા. મહારાજા નટવરસિંહજી વિવિધ લલિત કલા, સંગીત સાહિત્ય, ચિત્રકલાનાં જ્ઞાતા હતા, સૌંદર્ય સૂઝ ધરાવતા સુસંસ્કૃત માનવી હતા, તે સમયે પોરબંદર સૌરાષ્ટ્ર્રનું ગણાતું તેમજ શેઠ શ્રી નાનજી કાલિદાસ મહેતા એ મહારાણા સાહેબનાં સિટી ને અનેકવિધ આર્ય સંસ્કૃતિ શિક્ષણ તથા સાંસ્કૃતિક બાબતોથી શણગારી સજાવ્યું હતું.
આર્ય ક્ધયા ગુરુકુળ સંકુલ, કીર્તિ મંદિર તથા દયાનંદ વિજ્ઞાન કોલેજ, ના. કા. હોસ્પિટલ જેવી અનેક સંસ્થાઓ દ્વારા પોરબંદરનો આવિષ્કાર થયો. તેનાથી ભવ્યતા અપાવનાર આવા દાતાઓની નગરી ને વિશ્વ વિખ્યાત કથાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝા (ભાઈ શ્રી)ની સંસ્કૃત પાઠશાળાને ભવ્યાતિભવ્ય દિવ્ય સંકુલથી આ નગરી સંસ્કૃત નગરી બની ગઈ છે. આ અલોંકિક ઐતિહાસિક નગર સમુદ્ર કિનારે આવેલ છે. તેની મધ્યમાં આવેલ વિશાળ ચોગનની વચ્ચે આવેલ ‘સુદામાજીનું મંદિર’ ખૂબ જ પ્રાચીન છે. ભવ્ય મંદિર 50+30 ફૂટની લંબાઈ પહોળાઈ ધરાવતું મંદિરની શિખર સાથેની ઊંચાઈ 70 ફૂટ જેટલી છે. શિખરની ઊંચાઈ અતિ લાંબી છે, જેમાં અસંખ્ય નાના શિખરો છે…!, તેમાં બારીક નકશીકામ નિહાળવા મળે છે, શિખર પર રંગીન ધજા અભિવૃદ્ધિ કરે છે.
સુદામાજીનું મંદિર ચોતરફ ખુલ્લું છે, તેમાં ગોળાકાર કમાનો છે, પીલરમાં ફૂલ વેલની ડિઝાઇન નિહાળવા મળે છે, તેમાં 46 ક્લાત્મક પીલરો ક્લાત્મક છે, મંદિરમાં કાળા રંગની સુદામાજી અને ધર્મ પત્ની સુશીલાજીની મૂર્તિ છે. સુદામાજી શ્રીકૃષ્ણ ભગવાનનાં ખાસ મિત્ર (સખા) હતા અને ભગવાન શ્રીકૃષ્ણ પાસે આર્થિક મદદ માગવા ગયેલા અને સંગાથે તાંદુલ પોટલીમાં લેતા ગયેલ જયારે દ્વારકાનગરી ખાતે ગયા અને તેની ખબર ભગવાન શ્રીકૃષ્ણને પડી કે મારો બાળ પણનો ગોઠિયો (સખો) સુદામાજી આવ્યા છે, તે વાતની ખબર પડતા જ ઉઘાડા પગે મિત્રને આવકારવા સામેથી દોડી જાય છે, ને સુદામા મળતા જ ભેટી જાય છે ત્યારે રાજા-રંકનો તફાવત હતો જ નહીં. મિત્રતા જ ઉજાગર થતી હતી અને સુદામાજીએ કંઈ નહીં માગતા પોરબંદરમાં બધું આપી દીધું હતું. આવી મિત્રતા ને માન આપવા બધા દ્વારકા જાય પણ સુદામા મંદિરની મોહર ના લાગે ત્યાં સુધી યાત્રા અધૂરી ગણાય છે. આથી દ્વારકા આવતા યાત્રાળુઓ અચૂક પોરબંદર આવી સુદામા મંદિરે દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરે છે. તમે પણ સુદામાજી મંદિરે દર્શન કરવા પોરબંદર જજો.