ઝાકિર નાઈકના મેલા મનસુબા: પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાના આતંકીઓ સાથે મુલાકાત... | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

ઝાકિર નાઈકના મેલા મનસુબા: પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાના આતંકીઓ સાથે મુલાકાત…

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના પ્રવાસે ગયેલા વિવાદિત ઈસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈકના મેલા મનસુબાઓ પ્રકાશમાં આવવા લાગ્યા છે. ભારતમાં વોન્ટેડ ઝાકિર નાઈક પાકિસ્તાનમાં આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા (LET)ના સભ્યોને મળતો જોવા મળ્યો છે. રાજકીય મહેમાન તરીકે પાકિસ્તાન પહોંચેલા ઝાકિર નાઈકે લશ્કરના કમાન્ડર મુઝમ્મિલ ઈકબાલ હાશ્મી, મોહમ્મદ હરિસ ધર અને ફૈસલ નદીમ સાથે મુલાકાત કરી હતી. આ ત્રણેયને 2008માં અમેરિકાએ આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કર્યા હતા.

ભારતના એક અંગ્રેજી અખબારના અહેવાલમાં જણાવ્યું છે કે ઝાકિર નાઈક લાહોરની બાદશાહી મસ્જિદમાં હાશમી અને લશ્કરના અન્ય આતંકવાદીઓ સાથે મુલાકાત કરતો જોવા મળ્યો છે. આ સ્થળે ઝાકિર નાઈકે દોઢ લાખથી વધુ લોકોની સભાને સંબોધિત કરી હતી. લાહોર પોલીસે કડક સુરક્ષા વચ્ચે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

પાકિસ્તાન સરકારના આમંત્રણ પર ઝાકિર નાઈકની આતંકવાદીઓ સાથેની બેઠકોએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા ઉભી કરી છે. ભારતે પહેલા જ ઝાકિર નાઈકની પાકિસ્તાન મુલાકાતની નિંદા કરી હતી. હવે નાઈકની લશ્કરના આતંકવાદીઓ સાથે મુલાકાત બાદ ફરી એકવાર સ્પષ્ટ થઈ ગયું છે કે તે કયા મનસૂબા સાથે પાકિસ્તાન ગયો છે.

2008 માં મુંબઈમાં થયેલા આતંકી હુમલા સહિત ભારતમાં અનેક આતંકવાદી હુમલાઓ માટે લશ્કર-એ-તૈયબા જવાબદાર છે. ઝાકિર 2016માં ભારતથી મલેશિયા ભાગી ગયો હતો જ્યારે NIAએ તેની વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. જુલાઈ 2016માં ઢાકામાં થયેલા આતંકવાદી હુમલા બાદ NIA દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. હુમલાખોરોમાંથી એકે કબૂલ્યું હતું કે તે નાઈકના ભાષણોથી પ્રભાવિત હતો.

સંબંધિત લેખો

Back to top button