ઈરાન-ઇઝરાયલ તણાવ: ઈરાન NPTમાંથી બહાર નીકળશે?

મધ્ય પૂર્વમાં ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ઈરાનના વિદેશ મંત્રાલયે 16 જૂનના રોજ જણાવ્યું કે ઈરાનની સંસદ પરમાણુ અપ્રસાર સંધિ (NPT)માંથી બહાર નીકળવા માટે બિલ તૈયાર કરી રહી છે. જોકે, વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બાઘઈએ સ્પષ્ટ કર્યું કે ઈરાન પરમાણુ હથિયારો બનાવવાના પક્ષમાં નથી. આ ઘટનાક્રમ બંને દેશો વચ્ચે ચાલી રહેલા હુમલાઓ વચ્ચે યુદ્ધની આશંકાઓને વધારે છે.
ઈરાનનું મોટું પગલું
સૂત્રઓની માહિતી પ્રમાણે ઈરાનની સંસદ NPTમાંથી બહાર નીકળવા માટે કાયદાકીય પ્રક્રિયા પર કામ કરી રહી છે, પરંતુ હજુ કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. રોયટર્સના અહેવાલ મુજબ, એક સાંસદે જણાવ્યું કે આ પ્રસ્તાવ હજુ પ્રારંભિક તબક્કામાં છે. ગયા સપ્તાહે ઈરાને દાવો કર્યો હતો કે તે પરમાણુ બોમ્બ બનાવવાની નજીક છે, જોકે તેણે હંમેશા કહ્યું છે કે તેમનો પરમાણુ કાર્યક્રમ શાંતિપૂર્ણ હેતુઓ માટે છે. આંતરરાષ્ટ્રીય અણુ ઊર્જા એજન્સી (IAEA)એ ગયા સપ્તાહે ઈરાન પર NPTના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો હતો.
NPT શું છે?
પરમાણુ અપ્રસાર સંધિ (NPT) એ એક આંતરરાષ્ટ્રીય કરાર છે, જેનો ઉદ્દેશ પરમાણુ હથિયારો અને સંબંધિત ટેકનોલોજીના ફેલાવાને રોકવો, શાંતિપૂર્ણ પરમાણુ ઊર્જા ઉપયોગને પ્રોત્સાહન આપવું અને નિ:શસ્ત્રીકરણને આગળ વધારવો છે. ઈરાનનો આ નિર્ણય 2018 બાદ તેના પરમાણુ કાર્યક્રમમાં ઝડપી પ્રગતિ સાથે જોડાયેલો છે, જ્યારે અમેરિકાએ ઈરાનની યુરેનિયમ સંવર્ધન ક્ષમતાને મર્યાદિત કરતો કરાર તોડી નાખ્યો હતો.
ઇઝરાયેલની ચેતવણી
આ પગલું એવા સમયે આવે છે જ્યારે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેના હુમલાઓએ પ્રદેશમાં યુદ્ધની શક્યતાઓ વધારી છે. ઇઝરાયેલે ઈરાનના હથિયાર ઉત્પાદન સ્થળોની નજીક રહેતા લોકોને વિસ્તાર ખાલી કરવાની ચેતવણી આપી છે. ઇઝરાયેલના એક અધિકારીએ જણાવ્યું કે તેમની પાસે પરમાણુ હથિયારો બનાવવા માટેના સ્થળોની યાદી તૈયાર છે, જેના પર તેઓ નજર રાખી રહ્યા છે. આ ઘટનાઓથી મધ્ય પૂર્વમાં તણાવ વધુ ગંભીર બન્યો છે.
આ પણ વાંચો…ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ તીવ્ર બન્યું , ઈરાને યુદ્ધવિરામનો ઇનકાર કર્યો