ઇન્ટરનેશનલઈન્ટરવલ

ઈરાનમાં સતત હિંસક વિરોધ પ્રદર્શનો વધી રહ્યાં છે…

પ્રાસંગિકઃ અમૂલ દવે

ઈરાનના રસ્તાઓ અત્યારે લોહી, આંસુ વત્તા આક્રોશથી ખરડાયેલા છે. કેટલાંક અઠવાડિયાથી ચાલી રહેલા તીવ્ર વિરોધ પ્રદર્શનોએ હવે લોહિયાળ વળાંક લીધો છે. અત્યાર સુધીમાં 200થી વધુ દેખાવકારો સરકારી દમનનો ભોગ બનીને જીવ ગુમાવી ચૂક્યા છે. ઈરાની રિયાલના મૂલ્યમાં થયેલા ઐતિહાસિક ઘટાડા અને આકાશને આંબતી મોંઘવારીએ સામાન્ય જનતાને મરવા અથવા લડવા માટે મજબૂર કરી દીધી છે.

જોકે આ માત્ર એક આંતરિક બળવો નથી. તે તો એક મોટા વૈશ્વિક યુદ્ધની પ્રસ્તાવના જેવું જણાય છે. આ અસ્થિરતા પાછળ આર્થિક પીડા જેટલો જ મોટો ભાગ આંતરરાષ્ટ્રીય રાજનીતિ અને ઊર્જા સંસાધનો પરના વર્ચસ્વનો છે. ઇતિહાસ સાક્ષી છે કે જ્યાં તેલ છે, ત્યાં પશ્ચિમી દેશોના હિતો હંમેશાં ટકરાયા છે. પશ્ચિમી વિશ્લેષકો માને છે કે અમેરિકા ઈરાનમાં લોકશાહી સ્થાપવાના નામે હસ્તક્ષેપ કરીને ત્યાંના વિશાળ તેલના ભંડારો પર નિયંત્રણ મેળવવા માગે છે.

ઈરાન પાસે દુનિયાનો ચોથો સૌથી મોટો તેલનો ભંડાર છે. જે રીતે અમેરિકાએ ભૂતકાળમાં ઈરાકમાં સદ્દામ હુસૈન અને વેનેઝુએલામાં નિકોલસ માદુરો સામેની કાર્યવાહી પાછળ ઊર્જા સુરક્ષાનો છુપો એજન્ડા રાખ્યો હતો તેમ ઈરાનમાં પણ `શાસન પરિવર્તન’ દ્વારા પોતાના આર્થિક હિતો સાધવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાના આરોપો લાગી રહ્યા છે.

આપણામાં એક કહેવત છે: `લોભે લક્ષણ જાય’. અમેરિકાની આ ઊર્જા ભૂખ સમગ્ર પશ્ચિમ એશિયાને રાખમાં ફેરવી શકે છે. ઈરાન પર લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધોએ ત્યાંની જનતાની કમર તોડી નાખી છે, જેના કારણે બેરોજગારી અને ગરીબીમાં ભયાનક ઉછાળો આવ્યો છે.

ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનો સીધો મિસાઈલ જંગ હવે ખુલ્લેઆમ મેદાનમાં આવ્યો છે. ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ વારંવાર ચેતવણી આપી છે કે એ ઈરાનને કોઈપણ સંજોગોમાં પરમાણુ શક્તિ બનવા દેશે નહીં. આ તણાવ વચ્ચે ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનીના વરિષ્ઠ સલાહકાર કમાલ ખરાઝીએ આપેલું નિવેદન આખા વિશ્વ માટે ચિંતાનો વિષય બન્યું છે.

ખરાઝીએ સ્પષ્ટપણે દાવો કર્યો છે કે ઈરાન પાસે પરમાણુ બોમ્બ બનાવવાની તમામ ટેકનિકલ ક્ષમતા અને સામગ્રી ઉપલબ્ધ છે. જો ઈરાનની પ્રાદેશિક અખંડિતતા કે સાર્વભૌમત્વ પર કોઈ ખતરો આવશે તો ઈરાન પોતાની સંરક્ષણ નીતિ બદલીને પરમાણુ પરીક્ષણ કરતા પણ અચકાશે નહીં…!

આ પરિસ્થિતિમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પની આક્રમક નીતિએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે જો ઈરાની સૈન્ય પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરવાનું બંધ નહીં કરે, તો અમેરિકા ઈરાનના સૈન્ય અને તેલના મથકો પર સીધો હવાઈ હુમલો કરશે. ટ્રમ્પની આ `મેક્સિમમ પ્રેશર’ નીતિ ઈરાનને યુદ્ધ માટે ઉશ્કેરી રહી છે.

જોકે ઈરાનમાં પરિસ્થિતિ ઝડપથી બદલાતી જાય છે. હાલમાં તહેરાનમાં ખામેની તરફી મોટું પ્રદર્શન યોજાયું હતું. ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન અમારી જોડે વાત કરવા માગે છે અને અમે વાતચીત પહેલાં પણ ઈરાન પર હુમલો કરી શકીએ. જોકે હકીકત એ છે કે પેન્ટાગોન અને સંરક્ષણ નિષ્ણાતોએ ઈરાન પર તૈયારી વિના હુમલો કરવા સામે ટ્રમ્પને ચેતવણી આપી છે.

બીજી તરફ, રશિયા અને ચીન આ લડાઈમાં ઈરાનની પડખે ઉભા છે. રશિયા પોતે અમેરિકા દ્વારા તેનાં વહાણો અને સંપત્તિઓ જપ્ત કરવાથી ક્રોધિત છે. જવાબમાં રશિયાએ ઈરાનને અત્યાધુનિક હથિયારો, મિસાઈલ સિસ્ટમ્સ અને ફાઈટર જેટ્સ પૂરા પાડવા માટે અનેક કાર્ગો વિમાનો તેહરાન મોકલ્યા છે. આ વૈશ્વિક ધ્રુવીકરણ એ સંકેત આપે છે કે જો અમેરિકા ઈરાન પર હુમલો કરશે, તો તે માત્ર બે દેશ વચ્ચેનો જંગ નહીં રહે, પરંતુ ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત સાબિત થશે.

ઈરાની સત્તાવાળાનો દાવો છે કે આ વિરોધ પ્રદર્શનો કુદરતી નથી, પરંતુ મોસાદ અને સીઆઈએ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. અમેરિકામાં વસતા ઈરાનના ક્રાઉન પ્રિન્સ રેઝા પહલવી આ સમયે કેન્દ્રસ્થાને છે. પશ્ચિમી મીડિયા તેમને ઈરાનના મુક્તિદાતા તરીકે રજૂ કરી રહ્યું છે, જ્યારે ઈરાની શાસન તેમને અમેરિકાના `કઠપૂતળી’ તરીકે જુએ છે.

રેઝા પહલવીએ પ્રદર્શનકારીઓને સમર્થન આપીને ઈરાનમાં લોકશાહીના નવા સ્વરૂપ માટે હાકલ કરી છે, જેનાથી ઈરાનનું આંતરિક વાતાવરણ વધુ ગંભીર બન્યું છે. અહીં આપણી અન્ય એક ગુજરાતી કહેવત સાર્થક થાય છે: `ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આટો’. ઈરાનની સામાન્ય જનતા ભૂખમરો અને બેરોજગારીમાં પીસાઈ રહી છે, જ્યારે વિશ્વની મોટી સત્તાઓ તેમના દુ:ખનો ઉપયોગ પોતાના રાજકીય અને આર્થિક ફાયદા માટે કરી રહી છે.

પરિસ્થિતિનું ઊંડું વિશ્લેષણ કરતા જણાય છે કે જો યુદ્ધ ફાટી નીકળશે તો તેની અસર સૌથી વધુ સામાન્ય જનતા પર પડશે. ઈરાન પર હુમલો થવાની સ્થિતિમાં તે ઈઝરાયેલ પર હજારો મિસાઈલોનો મારો ચલાવી શકે છે, જે સમગ્ર મધ્ય પૂર્વને અસ્થિર કરી દેશે. આ સંઘર્ષને કારણે વૈશ્વિક તેલના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે, જે ભારત સહિતના વિકાસશીલ દેશોની અર્થવ્યવસ્થાને ખેદાન-મેદાન કરી નાખશે.

ત્રીજા વિશ્વ યુદ્ધની આશંકા હવે માત્ર કલ્પના નથી, પરંતુ બહુ ઝડપથી એક નરી વાસ્તવિકતા બની રહી છે. સંયુક્ત રાષ્ટ્રસંઘે હવે માત્ર નિવેદનો છોડીને સક્રિય રીતે મેદાનમાં આવવું પડશે. જો શાંતિપૂર્ણ વાટાઘાટો દ્વારા રસ્તો નહીં નીકળે, તો 21મી સદીનું સૌથી ભયાનક યુદ્ધ આપણી સામે હશે. તમામ પક્ષોએ અત્યારે સંયમ રાખવાની જરૂર છે, કારણ કે યુદ્ધમાં કોઈ જીતતું નથી, માત્ર માનવતા હારે છે.

અત્યારની પરિસ્થિતિ જો વધુ કથળે તો ભારત પર સંભવિત અસર…
મોંઘવારીનો માર: ભારત તેની જરૂરિયાતનું 80% થી વધુ તેલ આયાત કરે છે. જો હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) બ્લોક થાય, તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચશે, જેનાથી સામાન્ય મોંઘવારી વધશે.

ચાબહાર પોર્ટ પ્રોજેક્ટ: ભારત માટે વ્યૂહાત્મક રીતે મહત્ત્વનું `ચાબહાર બંદર’ જોખમમાં આવી શકે છે, જે અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સાથેના ભારતના વેપારનો મુખ્ય માર્ગ છે.

ભારતીય સમુદાય: ઈરાન અને પડોશી અખાતી દેશોમાં લાખો ભારતીયો વસે છે. યુદ્ધની સ્થિતિમાં તેમની સુરક્ષા અને વતન વાપસી ભારત માટે મોટો પડકાર બની જશે.

રાજદ્વારી સંતુલન: ભારત માટે અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન-રશિયા વચ્ચે સંતુલન જાળવવું મુશ્કેલ બનશે.

આપણ વાંચો:  “અમેરિકાથી મદદ આવી રહી છે, સંઘર્ષ ચાલુ રાખજો”: ઈરાની ક્રાઉન પ્રિંસ રઝા પહલવીએ સેનાને કરી ખાસ અપીલ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button