ઇઝરાયલ-ઇરાન યુદ્ધનો ભોગ: બોમ્બ વિસ્ફોટથી ભારતીયનું હાર્ટ એટેકથી મૃત્યુ

તેલ અવીવ: ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ છેડાઈ ગયું છે. બંને દેશો એકબીજા પર હુમલાઓ કરી રહ્યા છે. બંને દેશોમાં સતત બોમ્બમારો થઈ રહ્યો છે. જેનાથી બંને દેશોમાં રહેતા લોકોમાં ભયનો માહોલ છે. ત્યારે ઇઝરાયલમાં બોંબ વિસ્ફોટના કારણે હાર્ટ એટેક આવતા એક ભારતીય વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે.
ઇઝરાયલમાં મૃત્યુ પામનાર ભારતીય કોણ છે?
તેલંગાણાના જગતિયાલ જિલ્લાનો રહેવાસી રવિન્દ્ર વિઝિટર વીઝા પર ઇઝરાયલમાં પાર્ટ-ટાઈમ નોકરી કરી રહ્યો હતો. યુદ્ધ શરૂ થયું ત્યારે રવિન્દ્રએ તેલંગાણા ખાતે રહેતી પોતાની પત્ની વિજયલક્ષ્મીને ફોન કરીને કહ્યું હતું કે, “અહીં સતત થઈ રહેલા બોમ્બમારાથી હું ગભરાયેલો છું. મારો જીવ પણ જઈ શકે છે.” પતિની આવો વાતો સાંભળીને પત્ની વિજયલક્ષ્મીએ તેઓને દિલાસો આપ્યો હતો કે, “ચિંતા કરશો નહીં, તમને કશું થશે નહીં.”
આ પણ વાંચો: ઇરાન પર પરમાણુ હુમલાની તૈયારીમાં હતું ઇઝરાયલ…
યુદ્ધની ચિંતાને કારણે રવીન્દ્ર અસ્વસ્થ રહેવા લાગ્યો હતો. તે પોતાના વધારે સમય હૉસ્પિટલમાં જ વિતાવતો હતો. પરંતુ જ્યારે હૉસ્પિટલ પાસે બોમ્બ વિસ્ફોટ થયો ત્યારે તેને હાર્ટ એટેક આવ્યો હતો અને ત્યાં જ તેનું મૃત્યુ નિપજ્યું હતું. હૉસ્પિટલના અધિકારીઓએ ફોન કરીને રવિન્દ્રના મૃત્યુની પત્ની વિજયલક્ષ્મીને માહિતી આપી હતી. રવિન્દ્રની પત્ની વિજયાલક્ષ્મીએ તેલંગણા સરકારને પતિનો મૃતદેહને ભારત લાવવામાં આવે અને મારા બાળકોને નોકરી અપાવવામાં મદદ કરવામાં આવે તેવી અપીલ કરી છે.
તેલંગણા સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર
ઉલ્લેખનીય છે કે, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયાને એક અઠવાડિયા જેટલો સમય વિતી ગયો છે. 17 જૂનના રોજ તેલંગણા સરકારે નવી દિલ્હી ખાતે તેલંગણા ભવનમાં એક હેલ્પલાઈન શરૂ કરી છે. જેથી યુદ્ધથી પ્રભાવિત વિસ્તારોમાં રહેતા રાજ્યના લોકોની મદદ કરી શકાય.