ઇન્ટરનેશનલ

આઇ લવ પાકિસ્તાન…’: ટ્રમ્પે ફરી સીઝફાયરનો રાગ આલાપ્યો, બોલ્યા – ‘મેં યુદ્ધ રોક્યું’, PM મોદી વિશે કહી મોટી વાત

વોશિંગ્ટન: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ શબ્દો સાંભળ્યા બાદ પણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત-પાકિસ્તાન સંઘર્ષવિરામ અંગેની જશ ખાટવાની ટેવ જવાનું નામ નથી લઈ રહી અને ફરી આ જ મુદ્દે નિવેદનબાજી કરી રહ્યા છે. તેમણે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ રોકવાનો દાવો કર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે તેમને પાકિસ્તાન પ્રત્યે પ્રેમ છે. જોકે, ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ પણ કર્યા અને તેમને “શાનદાર વ્યક્તિ” ગણાવ્યા.

ટ્રમ્પે ભારત-પાકિસ્તાન યુદ્ધ રોકવાનો દાવો કર્યો
વોશિંગ્ટનમાં પાકિસ્તાની આર્મી ચીફ જનરલ આસીમ મુનીર સાથે લંચ અંગે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં ટ્રમ્પે આ દાવો કર્યો હતો. ટ્રમ્પે કહ્યું, “મેં પાકિસ્તાન વચ્ચે યુદ્ધ રોકી દીધું. મને પાકિસ્તાનથી પ્રેમ છે. મને લાગે છે કે મોદી એક શાનદાર વ્યક્તિ છે. મેં ગઈકાલે રાત્રે તેમની સાથે વાત કરી. અમે ભારતના મોદી સાથે એક ટ્રેડ ડીલ કરવા જઈ રહ્યા છીએ. પરંતુ મેં પાકિસ્તાન અને ભારત વચ્ચે યુદ્ધ રોકી દીધું. આ વ્યક્તિ પાકિસ્તાન તરફથી તેને રોકવામાં અત્યંત પ્રભાવશાળી હતો. ભારત તરફથી મોદી અને અન્ય.”

G-7 શિખર સંમેલન માટે કેનેડા ગયેલા વડાપ્રધાન મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ સાથે ફોન પર વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે પાકિસ્તાન સાથે યુદ્ધ રોકવામાં મધ્યસ્થીની ભૂમિકા ભજવવાના ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને સ્પષ્ટપણે નકારી કાઢ્યો હતો. પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાને કોઈ પણ મધ્યસ્થી વિના પોતાની સેનાઓ વચ્ચે સીધી વાતચીત બાદ ગયા મહિને સૈન્ય કાર્યવાહી રોકી હતી.

ટ્રમ્પે આલાપ્યો જૂનો રાગ

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત સૌથી પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 10 મે 2025ના રોજ કરી હતી. ત્યારથી ટ્રમ્પ દાવો કરતા આવ્યા છે કે તેમણે યુદ્ધ રોકવા માટે સહમત ન થવા પર બંને દેશો સાથે વેપાર રોકવાની ધમકી આપીને સંઘર્ષવિરામ કરારમાં મધ્યસ્થી કરી હતી. મોદી અને ટ્રમ્પની G7 શિખર સંમેલન સિવાય મુલાકાતનો કાર્યક્રમ હતો, પરંતુ અમેરિકી રાષ્ટ્રપતિ શિખર સંમેલન પૂર્ણ થતાં પહેલા જ પરત ફરતા આ બેઠક થઈ શકી ન હતી. આ જ કારણોસર બંને નેતાઓએ ફોન પર વાતચીત કરી, જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 7 થી 10 મેની વચ્ચે થયેલા સૈન્ય સંઘર્ષ પર મુખ્યત્વે વાત કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button