પાકિસ્તાનમાં હિંદુઓ ‘અસુરક્ષિત’: હિંદુ મંત્રી પર હુમલો, જાણો શું કહ્યું વડા પ્રધાને?

ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં હિન્દુ મંત્રી પર હુમલો કરવામાં આવ્યો હોવાની વિગતો છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક હિન્દુ મંત્રી પર હુમલો થયો હોવાના અહેવાલ છે. નવા નહેર પ્રોજેક્ટ સામે રેલી કાઢી રહેલા હિંદુ મંત્રી પર હુમલો એ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ) ના સાંસદ અને ધાર્મિક બાબતોના રાજ્યમંત્રી ખૈલ દાસ કોહિસ્તાની થટ્ટા જિલ્લામાંથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન તેમના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો.
કાફલા પર ટામેટાં અને બટાકા ફેંક્યા
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં શનિવારે એક નહેર પ્રોજેક્ટ વિરુદ્ધ રેલી દરમિયાન વિરોધીઓ દ્વારા એક હિન્દુ મંત્રી પર હુમલો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ) ના સાંસદ અને ધાર્મિક બાબતોના રાજ્યમંત્રી ખૈલ દાસ કોહિસ્તાની થટ્ટા જિલ્લામાંથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન વિરોધીઓએ તેમના કાફલા પર ટામેટાં અને બટાકા ફેંક્યા હતા. આ ઉપરાંત સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ હુમલામાં કોહિસ્તાનીને કોઈ નુકસાન થયું નથી.
આ પણ વાંચો: ‘આપણે હિન્દુઓથી બિલકુલ અલગ છીએ…..’, પાકિસ્તાનના આર્મી ચીફે આપ્યું વિવાદાસ્પદ નિવેદન
વડા પ્રધાન શરીફે આપ્યા તપાસના આદેશ
મીડિયા અહેવાલ અનુસાર વડા પ્રધાન શાહબાઝ શરીફે કોહિસ્તાનીને ફોન કર્યો હતો અને ઘટનાની સંપૂર્ણ તપાસનું આશ્વાસન આપ્યું હતું. શાહબાઝે કહ્યું કે જનપ્રતિનિધિઓ પર હુમલો અસ્વીકાર્ય છે. આ ઘટનામાં સામેલ લોકોને કડક સજા આપવામાં આવશે. માહિતી મંત્રી અતા તરારે સિંધના પોલીસ IGP ગુલામ નબી મેમણ પાસેથી ઘટનાની વિગતો અને સંઘીય ગૃહ સચિવ પાસેથી રિપોર્ટ માંગ્યો છે. સિંધના મુખ્ય પ્રધાન સૈયદ મુરાદ અલી શાહે પણ આ કૃત્યની કડક નિંદા કરી છે.