નેપાળની વચ્ચગાળાની સરકારનું નેતૃત્વ કરનાર કોણ છે સુશીલા કાર્કી? ભારતને લઈ શું છે તેની વિચારધારા...
Top Newsઇન્ટરનેશનલ

નેપાળની વચ્ચગાળાની સરકારનું નેતૃત્વ કરનાર કોણ છે સુશીલા કાર્કી? ભારતને લઈ શું છે તેની વિચારધારા…

નેપાળમાં પાછલા ચાર દિવસથી વિદ્રોહના સૂર ગુંજી રહ્યા છે. આ વિદ્રોહ વચ્ચે જનરેશન ઝેડના આંદોલનકારીઓએ નેપાળના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશન રહી ચૂકેલા સુશીલા કાર્કીને વચ્ચગાળાના સરકારના નેતૃત્વ માટે પસંદ કર્યા છે.

આ નિર્ણય નેપાળના વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો અને રાજકીય કટોકટીના પગલે લેવામાં આવ્યો છે. કાર્કીની પસંદગીથી નેપાળના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે, અને આ ઘટના આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચામાં છે.

બુધવારે યુવા આંદોલનકારીઓની વર્ચ્યુઅલ બેઠકમાં 73 વર્ષીય સુશીલા કાર્કીનું નામ વચગાળાના વડાપ્રધાન તરીકે નક્કી કરવામાં આવ્યું. આ બેઠકમાં કાઠમંડુના મેયર બલેન્દ્ર શાહ અને નેપાળ વીજ બોર્ડના ભૂતપૂર્વ અધિકારી કુલમાન ઘિસિંગના નામો પર પણ વિચારણા કરવામાં આવી હતી.

નેપાળના સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના સેક્રેટરીએ જણાવ્યું કે વિદ્યાર્થીઓએ કાર્કીને તેમના નેતા તરીકે પસંદ કર્યા છે. આ નિર્ણય રાજધાનીમાં વિદ્યાર્થીઓના ઉગ્ર વિરોધ અને વડાપ્રધાન કેપી શર્મા ઓલીના રાજીનામા બાદ લેવાયો.

કોણ છે સુશીલા કાર્કી?
સુશીલા કાર્કીએ જુલાઈ 2016થી જૂન 2017 સુધી નેપાળના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપી, જે દરમિયાન તેમણે ભ્રષ્ટાચાર સામે કડક નીતિ અપનાવી. 1952માં બિરાટનગરમાં જન્મેલા કાર્કીએ 1979માં કાયદાકિય સફરની શરૂઆત કરી અને 2007માં સિનિયર એડવોકેટ બન્યા.

તેમણે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી રાજનીતિ શાસ્ત્રમાં એમ.એ. અને ત્રિભુવન યુનિવર્સિટીમાંથી કાયદામાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. 2009માં તેઓ સુપ્રીમ કોર્ટના અસ્થાયી ન્યાયાધીશ બન્યા અને 2010માં કાયમી ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

ભારત પ્રત્યે સુશીલા કાર્કીના વિચારો
મીડિયા રીપોર્ટ પ્રમાણે સુશીલા કાર્કીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે સકારાત્મક વિચારો ધરાવે છે. મીડિયા સાથે વાતચીત દરમિયાન તેણે જણાવ્યું ભારત અને નેપાળના લોકો વચ્ચે ગાઢ સંબંધો છે અને બંને દેશોના લોકો એકબીજાને ભાઈ-બહેનની જેમ માને છે.

કાર્કીએ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાનની યાદો શેર કરી, જેમાં તેમણે ગંગા નદી અને તેમના શિક્ષકો-મિત્રોનો ઉલ્લેખ કર્યો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતે હંમેશા નેપાળને મદદ કરી છે અને બંને દેશોના સંબંધો ખૂબ જ મજબૂત છે.

કાર્કીએ નેપાળમાં ભારતીયોની સુરક્ષા અંગે ખાતરી આપી અને જણાવ્યું કે નેપાળની સેનાએ કાયદો અને વ્યવસ્થા નિયંત્રણમાં લીધી છે. તેમણે કહ્યું કે હિંસામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને ન્યાય આપવામાં આવશે. નેપાળમાં હાલ કર્ફ્યૂ અને નિષેધાજ્ઞા લાગૂ છે, પરંતુ કાર્કીની પસંદગીથી દેશમાં રાજકીય સ્થિરતા લાવવાની આશા જાગી છે.

આ પણ વાંચો…સુશીલા કાર્કીના હાથમાં આવશે નેપાળની કમાન? જાણો કોણ છે આ મહિલા

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button