ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે પીએમ મોદીની મોટી પહેલ, ઇરાનના રાષ્ટ્રપતિ સાથે કરી વાતચીત
![PM Modiji](https://bombaysamachar.com/wp-content/uploads/2023/11/Yogesh-2023-11-06T201537.326.jpg)
નવી દિલ્હી: પીએમ મોદીએ ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ રઇસી સાથે સોમવારે ઇઝરાયલ અને હમાસના જંગને મુદ્દે ચર્ચા કરી હતી. તેમણે મિડલ ઇસ્ટમાં કપરા સંજોગો, યુદ્ધને કારણે પેદા થયેલી સ્થિતિ પર ચર્ચા કરી. સોશિયલ મીડિયા સાઇટ X પર પીએમ મોદીએ આ અંગે માહિતી આપતી પોસ્ટ પણ મુકી છે.
![](https://bombaysamachar.com/wp-content/uploads/2023/11/namo-iran.png)
પીએમ મોદીએ પોસ્ટમાં જણાવ્યું હતું કે આતંકવાદ, આતંકવાદને લગતી ઘટનાઓ, હિંસા અને નાગરિકોના મોત પર તેમણે ચિંતા જતાવી હતી. બંને નેતાઓએ ઇઝરાયલ-હમાસ વચ્ચેના યુદ્ધને પગલે સતત વધતા તણાવને રોકવા માટે સતત સહાય મોકલવી અને શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા અંગે વાતચીત કરી હતી. પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ ચાબહાર પોર્ટ સહિત દ્વિપક્ષીય સહયોગમાં થયેલી પ્રગતિનું સ્વાગત કરે છે.
પીએમ મોદી આ પહેલા ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મોહમ્મદ અબ્બાસ સાથે પણ વાતચીત કરી ચુક્યા છે. વિદેશ પ્રધાન એસ. જયશંકરે રવિવારે ઈરાનના વિદેશ પ્રધાન હુસૈન અમીર-અબ્દુલ્લાહિયન સાથે ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ અંગે ટેલિફોનિક વાતચીત કરી હતી. એસ.જયશંકરે જણાવ્યું હતું કે , “આમીર-અબ્દુલ્લાહિયનને સંઘર્ષને રોકવા અને માનવતાવાદી સહાય પૂરી પાડવાના મહત્વથી વાકેફ કરવામાં આવ્યા હતા.”
હમાસના આ હુમલામાં 1400 ઈઝરાયેલના લોકોએ જીવ ગુમાવ્યા હતા. હમાસે 200થી વધુ લોકોને બંધક પણ બનાવ્યા છે. તે જ સમયે, સમાચાર એજન્સી એપીએ ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયને ટાંકીને કહ્યું કે ઇઝરાયેલના હુમલામાં પેલેસ્ટાઇનના 10 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.