પાકિસ્તાની મીડિયાએ જ ખોલી વિદેશ પ્રધાન ઈશાક ડારના જુઠાણાની પોલ, જાણો વિગતો

નવી દિલ્હી : ભારતના ઓપરેશન સિંદૂરથી ગભરાયેલા પાકિસ્તાનનું વધુ એક જુઠાણું પ્રકાશમાં આવ્યું છે. જેમાં પાકિસ્તાનના પીએમથી લઈને તમામ મંત્રીઓ ખોટા દાવા કરી રહ્યા છે. ત્યારે હવે પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડારે સંસદમાં જણાવ્યું હતું કે ટેલિગ્રાફ અખબારે પાકિસ્તાની વાયુસેનાની તાકાતને સ્વીકારી છે અને તેની પ્રશંસા કરી હતી
જુઠ્ઠાણાને પાકિસ્તાની અખબાર ડૉને ખુલ્લું પાડ્યું
પાકિસ્તાની સંસદને સંબોધિત કરતી વખતે ઇશાક ડારે કહ્યું કે અમે આ નથી કહી રહ્યા. આંતરરાષ્ટ્રીય મીડિયા આ કહી રહ્યું છે. ધ ટેલિગ્રાફે લખ્યું છે કે પાકિસ્તાન એરફોર્સએ આકાશનો બેતાજ બાદશાહ છે. જયારે ડારના આ જુઠ્ઠાણાને પાકિસ્તાની અખબાર ડૉન દ્વારા જ ખુલ્લું પાડવામાં આવ્યું.
આ સમગ્ર મુદ્દે મળેલી માહિતી મુજબ ડારે બ્રિટિશ અખબાર ટેલિગ્રાફના નકલી AI તસવીરને ટાંકીને પાકિસ્તાની વાયુસેનાની પ્રશંસા કરી હતી. પરંતુ ધ ડોને તેમના દાવાની હકીકત તપાસી અને તેને સંપૂર્ણપણે ખોટો જાહેર કર્યો.
ટેલિગ્રાફની આ ખોટી તસવીર સોશિયલ મીડિયા પર પણ શેર
લોકોએ ટેલિગ્રાફની આ ખોટી તસવીર સોશિયલ મીડિયા પર પણ શેર કરી. ટેલિગ્રાફ અખબારનું આ પૃષ્ઠ એઆઈનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવ્યું છે. આ નકલી પેજ બ્રિટિશ અખબારની ડિઝાઇન અને શૈલીમાં તૈયાર કરવામાં આવ્યું હતું. પરંતુ ડોને તેના ફેક્ટ ચેકમાં અખબારના આ નકલી પેજમાં ઘણી અચોક્કસતાઓ દર્શાવી હતી.
આપણ વાંચો: પાકિસ્તાનને મદદ કરવી ભારે પડી! તુર્કી અને અઝરબૈજાન બહિષ્કારનો ટ્રેન્ડ વધ્યો, 250% બુકિંગ રદ
પાકિસ્તાનનું વિદેશ મંત્રાલય પણ આ અંગે મૌન
આ ખોટા દાવા સાથે ઇશાક ડારે એ સાબિત કરવાનો પ્રયાસ કર્યો કે આંતરરાષ્ટ્રીય મીડિયા પાકિસ્તાન એરફોર્સની શક્તિને સ્વીકારે છે. જોકે, સંસદમાં ઉભા રહીને આવા ખોટા દાવા કરવા બદલ ખુલ્લા પડ્યા પછી ડારે હજુ સુધી આ અંગે કોઈ સ્પષ્ટતા આપી નથી. પાકિસ્તાનનું વિદેશ મંત્રાલય પણ આ અંગે મૌન ધારણ કરી રહ્યું છે.
ભારતે ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું
ઉલ્લેખનીય છે કે, પહલગામ હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ 7-8 મેની રાત્રે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી કેમ્પો પર હુમલો કર્યો હતો. ભારતે પાકિસ્તાનના આ આતંકવાદી કેમ્પો પર બ્રહ્મોસ મિસાઇલથી હુમલો કર્યો હતો.