
ઇસ્લામાબાદ: ‘ઑપરેશન સિંદૂર’માં ભારતના શસ્ત્રોની પરીક્ષણ કર્યા બાદ પાકિસ્તાને પણ પોતાના શસ્ત્રાગારમાં અત્યાધુનિક હથિયારો વધારવાની શરૂઆત કરી છે, પરંતુ નાપાક ઈરાદા ધરાવતા પાકિસ્તાનને નિષ્ફળતા હાથ લાગી રહી છે, કારણ કે તાજેતરમાં પાકિસ્તાને પોતાની એક મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. પરંતુ તે નજીકના અંતરે જ તૂટી પડી હતી.
પાકિસ્તાને કર્યું શાહીન મિસાઈલનું પરીક્ષણ
22 જુલાઈ, 2025ના પાકિસ્તાને પોતાની શાહીન-3 ન્યુક્લિયર મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. પરંતુ તેનું ટેસ્ટિંગ કરવામાં નિષ્ફળતા મળી હતી. એટલું જ નહીં, પાકિસ્તાનના ડેરા ગાઝીખાન વિસ્તારમાંથી શાહીન-3 મિસાઈલને છોડવામાં આવી હતી, જે ગ્રાપન ખીણના લેવી સ્ટેશનથી માત્ર 500 મીટર દૂર પડી હતી, જે બલુચિસ્તાન પ્રાંતના માનવ વસ્તીવાળો વિસ્તાર છે.
બલુચિસ્તાનના લોકોમાં ભારે રોષ
પાકિસ્તાનના મિસાઈલ પરીક્ષણથી બલુચિસ્તાનના લોકો ભડક્યા હતા. કારણ કે જો મિસાઈલ માનવ વસ્તી ધરાવતા વિસ્તારમાં પડી હોત તો મોટું નુકસાન થવાની શક્યતા હતી. બલુચ નેતા મીર યાર બલોચે પાકિસ્તાનના આ પરીક્ષણની કઠોર શબ્દોમાં નિંદા કરી છે. તેમણે એક્સ પર પોસ્ટ લખીને જણાવ્યું કે પાકિસ્તાન દ્વારા વારંવાર કરવામાં આવતા નિષ્ફળ મિસાઈલ પરીક્ષણોની બલુચિસ્તારન ઘોર નિંદા કરે છે, જે ન માત્ર બલૂચિસ્તાનની પ્રાંતીય સંપ્રભુતાનું ઉલ્લંઘન છે, પરંતુ તે સ્થાનિક નાગરિકોના જીવને જોખમમાં મૂકે છે.
ભૂતકાળના પરીક્ષણોનું ગંભીર પરિણામ
મીર યાર બલોચે આગળ જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં પાકિસ્તાને બલૂચિસ્તાનને સૈન્ય પરીક્ષણ વિસ્તારમાં ફેરવી દીધું છે. અહીં અવારનવાર વિદેશી સહકારથી બૈલિએસ્ટિક મિસાઈલ અને અન્ય ઘાતક હથિયારોનું પરીક્ષણ કરવામાં આવે છે. 28 મે 1998માં પાકિસ્તાને ચગાઈ જિલ્લામાં 6 પરમાણુ પરીક્ષણ કર્યા હતા. જેના કારણે આજે પણ સ્થાનિક રહેવાસીઓ રેડિએશન અને સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.”
આંતરરાષ્ટ્રીય સમુદાયો પાસે હસ્તક્ષેપની માંગ
ઉલ્લેખનીય છે કે, બલોચ નેતા મીર યાર બલોચે પાકિસ્તાનના મિસાઈલ અને પરમાણુ પરીક્ષણ જેવા કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવાય એવી સંયુક્ત રાષ્ટ્ર, સંયુક્ત પરિષદ અને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંસ્થાઓ પાસે માંગ કરી છે. બલુચિસ્તાન પ્રશાસને ન્યાય અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય સમુદાયો પાસે હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે.