ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કર્યા પછી ઈરાન પર હુમલો કરતા પાકિસ્તાને અમેરિકાની કાઢી ઝાટકણી

ઈસ્લામાબાદઃ ઈઝરાયલ-ઈરાન વચ્ચેના સંઘર્ષમાં અમેરિકાની સીધી દખલથી પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો છે. અમેરિકાએ ઈરાનના ત્રણ મુખ્ય પરમાણુ ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા, જેની પાકિસ્તાને સખત નિંદા કરી છે. પાકિસ્તાને આ હુમલાઓને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું અને ઈરાનના આત્મરક્ષણના અધિકારનું સમર્થન કર્યું. પાકિસ્તાનનું આ નિવેદન દેશની રાજકીય ભૂમિકાને લઈને ચર્ચામાં આવ્યું છે.
પાકિસ્તાને અમેરિકાની ટીકા કરી
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પર નિવેદન જાહેર કરીને કહ્યું કે અમેરિકાના હવાઈ હુમલાઓએ સંયુક્ત રાષ્ટ્રસંઘના ચાર્ટરનું ઉલ્લંઘન કર્યું છે. આ નિવેદનમાં તેમણે ઉમેર્યું કે આ હુમલાઓથી પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો છે, જેની ગંભીર અસરો આખા વિશ્વ પર પડી શકે છે. પાકિસ્તાને ઈરાન અને ઈઝરાયલને આ સંઘર્ષને તાત્કાલિક રોકવાની અપીલ કરી છે.
પાકિસ્તાન-ઈરાનની સરહદ નજીક
પાકિસ્તાન અને ઈરાન 900 કિલોમીટર લાંબી સરહદ ધરાવે છે, જે આ ઘટનાને પાકિસ્તાન માટે વધુ સંવેદનશીલ બનાવે છે. પાકિસ્તાને પશ્ચિમ એશિયામાં વધતા તણાવ પર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે સૈન્ય સંઘર્ષના બદલે વાતચીત જ શાંતિનો એકમાત્ર રસ્તો છે. આ નિવેદન દર્શાવે છે કે પાકિસ્તાન પ્રાદેશિક સ્થિરતા જાળવવા માટે કૂટનીતિ પર ભાર મૂકે છે.
આ પણ વાંચો - અમેરિકાની યુદ્ધમાં એન્ટ્રી બાદ શું હવે રશિયા પણ યુદ્ધમાં ઝંપલાવશે?
ટ્રમ્પ માટે નોબેલની ભલામણ
આ ઘટનાના એક દિવસ પહેલા પાકિસ્તાને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નામની 2026ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે ભલામણ કરી હતી. પાકિસ્તાને જણાવ્યું કે ટ્રમ્પે 2025માં ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવને કૂટનીતિ અને નેતૃત્વ દ્વારા ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.