ઈરાન-અમેરિકા સંઘર્ષ: પાકિસ્તાને અમેરિકાનો પક્ષ લીધો, શાંતિ અને કૂટનીતિનું આહ્વાન

ઇસ્લામાબાદ: અમેરિકાએ ઈરાનના ત્રણ ન્યુક્લિયર ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો જેનો વળતા જવાબમાં ગઈકાલે રાતના ઈરાને કતારમાં આવેલા અમેરિકન એરબેઝ પર હુમલો કર્યો હતો. ઈરાનના આ હુમલાની પાકિસ્તાને ટીકા કરી હતી, ત્યારે જાણીએ પાકિસ્તાને ઈરાનના હુમલા અંગે શું કહ્યું.
કતારના ભાઈ-બહેનો સલામત રહે
પાકિસ્તાની મીડિયા પાસેથી મળતી માહિતી મુજબ પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાજ શરીફે કતાર સાથે રાજદ્વારી મુલાકાત કરી હતી. મુલાકાત બાદ શાહબાજ શરીફે કહ્યું હતું કે, “અમે પ્રાર્થના કરીએ છીએ કે કતારના ભાઈ-બહેને અને સમગ્ર મધ્ય-પૂર્વ વિસ્તાર સલામત રહે. પાકિસ્તાને હંમેશા મધ્ય-પૂર્વ વિસ્તારમાં શાંતિ સ્થાપવાનું અને તમામ સમસ્યાઓનો વાતચીત અને કૂટનીતિ દ્વારા ઉકેલ લાવવાની વાતનું સમર્થન કર્યું છે.”
વાતચીત અને કૂટનીતિ દ્વારા ઉકેલ લાવો
પાકિસ્તાની વિદેશ મંત્રાલયે પણ પોતાના વડા પ્રધાનનો જ રાગ આલાપ્યો છે. પોતાના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર પાકિસ્તાની વિદેશ મંત્રાલયે લખ્યું કે, “કતારમાં અમેરિકન વાયુસેનાના ઉદીદ એરબેઝ પર થયેલા હુમલાને પાકિસ્તાન વખોડે છે. આ હુમલાના પરિણામસ્વરૂપે વિસ્તારમાં ઊભી થયેલી સુરક્ષાની ગંભીર પરિસ્થિતિને લઈને ચિંતત છે.”
સાર્વભૌમત્વના સિદ્ધાંતનું ઉલ્લંઘન યોગ્ય નહીં
વિદેશ મંત્રાલયે આગળ જણાવ્યું કે, “તમામ દેશોની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરનારી તાજેતરની ઘટનાની અમે નિંદા કરીએ છીએ. અમે દરેક પક્ષોને આગ્રહ કરીએ છીએ કે, તેઓ આંતરરાષ્ટ્રીય કાયદાના મૌલિક અધિકારોનું પાલન કરે અને સંયમ રાખે. તમામ મુદ્દાઓનો વાતચીત અને કૂટનીતિ દ્વારા ઉકેલ લાવવા માટે પાકિસ્તાન આહ્વાન કરે છે અને સંઘર્ષ ઓછો કરવા માટે તરત પગલા લેવાનો આગ્રહ કરે છે.”
અમને કોઈ નુકસાન નથી થયું: ડૉનાલ્ડ ટ્રમ્પ
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન અત્યારસુધી ઈરાનના હક માટે અવાજ ઉઠાવવાની વાત કરી રહ્યું હતું. હવે તેણે પોતાની વાતનને લઈને યુ-ટર્ન લેતા અમેરિકાની તરફેણમાં વાત કરી છે. જોકે ડૉનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે, ઈરાનના હુમલાથી તેઓને કોઈ નુકસાન થયું નથી. સાથોસાથ તેમણે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યો હોવાની પણ વાત કરી છે.