પાકિસ્તાનના આર્મી ચીફ આસીમ મુનીરે ભારત વિરુદ્ધ ઝેર ઓકયું, આતંકવાદને સંઘર્ષ ગણાવ્યો

કરાંચી: જમ્મુ કાશ્મીરના પહલગામમાં આંતકી હુમલા માટે ભારતે પાકિસ્તાનને જવાબદાર ગણાવ્યું છે. તેમજ તેનો તાજો પુરાવો પાકિસ્તાનના આર્મી ચીફ આસીમ મુનીરે આપ્યો છે. જેમાં પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ જનરલ આસીમ મુનીરે આતંકવાદને સંઘર્ષ ગણાવ્યો અને તેને સમર્થન આપવાની વાત કરી. તેમજ કાશ્મીર રાગ ફરીથી આલાપ્યો છે.
પાકિસ્તાનના આર્મી ચીફે કહ્યું, ‘અમે આતંકવાદને રાજકીય-રાજદ્વારી-નૈતિક સમર્થન ચાલુ રાખીશું. અમે કાશ્મીરી લોકોના અધિકારો અને લાંબા સમયથી ચાલતા વિવાદના ઉકેલ માટે તેમની સાથે મજબૂત રીતે ઉભા છીએ. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવ અને કાશ્મીરના લોકોની આકાંક્ષાઓ અનુસાર ભારત જેને આતંકવાદ કહે છે તે વાસ્તવમાં એક કાયદેસર સંઘર્ષ છે.
આ પણ વાંચો: કાશ્મીરનો પાકિસ્તાન સાથે માત્ર એક જ સંબંધઃ પાકિસ્તાનને ભારત સરકારે આપ્યો હવે આ જવાબ…
આસીમ મુનીરે કહ્યું, ‘દુનિયાએ સમજવું પડશે કે કાશ્મીર મુદ્દાના ન્યાયી અને શાંતિપૂર્ણ ઉકેલ વિના પ્રાદેશિક શાંતિ નહિ મળે. દક્ષિણ એશિયામાં હંમેશા ખતરો રહેશે. હું જે લોકો જમ્મુ-કાશ્મીરમાં સ્વ-નિર્ણયના અધિકાર માટે લડી રહ્યા છે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમની દ્રઢતા ક્યારેય ઓછી થશે નહીં.
ભારતે કાશ્મીર અંગે સ્પષ્ટ જવાબ આપ્યો છે
ભારતે વારંવાર સ્પષ્ટ કર્યું છે કે કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે. જેની બંધારણીય સ્થિતિ 5 ઓગસ્ટ 2019 ના રોજ વધુ સ્પષ્ટ કરવામાં આવી હતી. પાકિસ્તાન કાશ્મીરમાં સાંપ્રદાયિક નફરત અને આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતે પાકિસ્તાનને આતંકવાદનું કેન્દ્ર ગણાવ્યું છે. ખાસ કરીને લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને ટીઆરએફ જેવા સંગઠનો અંગે ભારતે જણાવ્યું છે કે પાકિસ્તાનનો ટેકો આપે છે. જેમાં લશ્કરી તાલીમ, ભંડોળ અને લોજિસ્ટિકલ સપોર્ટ આતંકવાદીઓને આપવામાં આવે છે.
આ પણ વાંચો: પાકિસ્તાન આર્મી ચીફના પ્રમોશન અંગે અદનાન સામીએ કટાક્ષ કરતા કરી આ પોસ્ટ
કાશ્મીર કાર્ડ રમવું એ પાકિસ્તાનની એક જૂની રણનીતિ
આસીમ મુનીરનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. વઝીરિસ્તાન, બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદી હુમલાઓ વધી રહ્યા છે. પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચો પર અલગ પડી રહ્યું છે. આ સંદર્ભમાં કાશ્મીર કાર્ડ રમવું એ પાકિસ્તાનની એક જૂની રણનીતિ છે જે તેના નાગરિકોનું ધ્યાન આંતરિક સમસ્યાઓ પરથી હટાવવા માટે છે.
સંયુક્ત રાષ્ટ્ર અને કાશ્મીર અંગેનો ઠરાવ
પાકિસ્તાન ઘણીવાર યુએનના ઠરાવો વિશે વાત કરે છે. પરંતુ સત્ય એ છે કે યુએનએસસીના ઠરાવ 47 (1948) માં સ્પષ્ટ શરત હતી કે પાકિસ્તાન પહેલા તેના પ્રદેશમાંથી તમામ આતંકવાદીઓ અને ગેરકાયદે તત્વોને દૂર કરશે. જે આજ સુધી થયું નથી. પાકિસ્તાને ક્યારેય શાંતિ પ્રક્રિયાને ગંભીરતાથી લીધી નથી અને ફક્ત આતંકવાદને પ્રોત્સાહન આપ્યું છે. કાશ્મીર મુદ્દો હવે સંયુક્ત રાષ્ટ્રમાં સુષુપ્ત માનવામાં આવે છે અને મોટાભાગના દેશોએ તેને ભારતનો આંતરિક મામલો માનીને સ્વીકારી લીધો છે.