ભારત બાદ આ દેશમાં થયો મોટો આતંકવાદી હુમલો, બે વિસ્ફોટમાં 26 લોકોના મોત

નવી દિલ્હી : ભારત સહિત દુનિયાના અનેક દેશો આતંકવાદી હુમલાઓનો સામનો કરી રહ્યા છે. ભારતમાં હાલમાં જમ્મુ કાશ્મીરના પહેલગામ થયેલા આતંકી હુમલામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે હવે આફ્રિકાના નાઇજીરિયામાં પણ આતંકવાદીઓ બે મોટા વિસ્ફોટ કર્યા છે. જેમાં 26 લોકો માર્યા ગયા છે. તેમજ અનેક લોકો ઘાયલ થયા છે.
બોર્નો રાજ્ય ઇસ્લામિક ઉગ્રવાદનો ગઢ
આ વિસ્ફોટની મળતી માહિતી મુજબ સોમવારે નાઇજીરીયાના ઉત્તરપૂર્વીય બોર્નો રાજ્યમાં આતંકવાદીઓએ બે ભયંકર બોમ્બ વિસ્ફોટ કર્યા હતા. આ બે વિસ્ફોટમાં અત્યાર સુધી 26 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે તેમજ અનેક લોકો ઘાયલ પણ થયા છે. ઉલ્લેખનીય છે કે, બોર્નો રાજ્ય ઇસ્લામિક ઉગ્રવાદનો ગઢ છે.
બે દિવસ પૂર્વે બંદૂકધારીઓએ 20 લોકોની હત્યા કરી
આ ઉપરાંત નાઇજીરિયામાં સતત આતંકવાદી હુમલાઓ વધી રહ્યા છે. જેમાં બે દિવસ પૂર્વે નાઇજીરીયાના ઝામફારા રાજ્યના એક ગામમાં બંદૂકધારીઓએ 20 લોકોની હત્યા કરી હતી અને 12 લોકો ઘાયલ થયા હતા. આ બંદૂકધારીઓએ પહેલા સોનાની ખાણને નિશાન બનાવી હતી. જેમાં 14 લોકો માર્યા ગયા હતા. ત્યારબાદ તેઓએ ઘરો અને મસ્જિદમાં લોકોના ઘરો પર હુમલો કર્યો.
ખ્રિસ્તી ખેડૂત સમુદાય પર મુસ્લિમ બંદૂકધારીઓનો હુમલો
ઉલ્લેખનીય છે કે, બે અઠવાડિયા પૂર્વે નાઇજીરીયાના રાષ્ટ્રપતિએ જાહેરાત કરી હતી કે દેશના ઉત્તર-મધ્ય ક્ષેત્રમાં એક ખ્રિસ્તી ખેડૂત સમુદાય પર મુસ્લિમ બંદૂકધારીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 40 લોકો માર્યા ગયા છે. માનવાધિકાર સંગઠન એમ્નેસ્ટી ઇન્ટરનેશનલના જણાવ્યા અનુસાર બંદૂકધારીઓએ અચાનક હુમલો કર્યો જેના કારણે લોકો ભાગી શક્યા ન હતા. આ હુમલાના મૃતકોમાં બાળકો અને વૃદ્ધોનો પણ સમાવેશ થાય છે. આફ્રિકાના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશના આ વિસ્તારમાં આવા હુમલા સામાન્ય બન્યા છે.
આ પણ વાંચો…પાકિસ્તાનમાં ફફડાટઃ પીઓકેમાં કટોકટી, ડોક્ટર્સ – પેરામેડિકલ સ્ટાફની રજા રદ્દ