
વોશિંગ્ટનઃ ટેકનોલોજી જગતની અગ્રણી કંપની માઇક્રોસોફ્ટે થોડા સમય પહેલો વર્ષની સૌથી મોટી છટણી કરી હતી. આ વર્ષમાં કંપનીએ લગભગ 9000 કર્મચારીની છટણી કરી છે, પરંતુ શરૂઆતમાં આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત નહોતી કરવામાં આવી. હવે માઈક્રોસોફ્ટ કંપનીના સીઈઓ સત્ય નડેલાએ કંપનીમાં કરેલી છટણી અંગે ખુલાસો કર્યો છે. કર્મચારીઓની ચિંતાઓને સંબોધતા કહ્યું હતું કે છટણી કરવાના નિર્ણયને મુશ્કેલ ગણાવ્યો હતો.
નડેલાએ તેમના સંદેશમાં જણાવ્યું કે છટણીનો નિર્ણય ખૂબ જ પીડાદાયક હતો, કારણ કે તેની અસર મારા સાથીઓ પર પડી શકે છે, જેમની સાથે ટીમે ઘણી યાદો અને અનુભવો શેર કર્યા હોય. જોકે તેમણે સ્પષ્ટ નથી કર્યું કે આ બાદ હવે છટણી નહીં થાય. તેમણે ઉમેર્યું કે છટણી છતાં કંપનીના કર્મચારીઓની સંખ્યા લગભગ અપરિવર્તિત રહી છે, અને માઇક્રોસોફ્ટના માર્કેટ પ્રદર્શન, વ્યૂહરચના અને વિકાસમાં સતત આગળ વધી રહી છે.
નડેલાએ કંપનીની ત્રણ મુખ્ય પ્રાથમિકતાઓ પર ભાર મૂક્યો હતો. જેમાં સુરક્ષા, ગુણવત્તા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પરિવર્તનનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે તાજેતરના સાયબર હુમલાઓ બાદ સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. સુરક્ષા અને ગુણવત્તા પર કોઈ સમજૂતી નહીં થાય, કારણ કે કંપનીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સેવાઓ વૈશ્વિક સ્તરે મહત્વની છે.
માઇક્રોસોફ્ટે 2025માં 9,000 કર્મચારીની છટણી કરી, જેમાંથી 2,000 નબળા પ્રદર્શનને કારણે અને બાકીના AI-સંબંધિત પુનર્ગઠનને કારણે હતા. આ દરમિયાન કંપનીનો શેર પ્રથમ વખત 500 ડોલરને પાર પહોંચ્યો હતો અને છેલ્લી ત્રણ ત્રિમાસિકમાં શુદ્ધ આવક 75 અબજ ડોલર સુધી પહોંચી. કંપનીએ AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 80 અબજ ડોલરનું રોકાણ કર્યું છે અને આગામી 30 જુલાઈના નાણાકીય વર્ષ 2025ની ચોથી ત્રિમાસિકના પરિણામો જાહેર કરવાની તૈયારીમાં છે.