ઈઝરાયલનો ગાઝામાં ભીષણ હવાઇ હુમલોઃ 81 જણનાં મોત, 400થી વધુ ઘાયલ

ગાઝા: ઈઝરાયલે ગાઝા પર ભયાનક હુમલો કર્યો છે. ઈઝરાયલની સેનાએ ફરી એકવાર ગાઝા પટ્ટી પર ભીષણ હવાઈ હુમલો કર્યો હતો. ઈઝરાયલના હુમલામાં ઓછામાં ઓછા 81 પેલેસ્ટિનિયનોના મોત થયા છે, જ્યારે 400થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. માર્યા ગયેલા લોકોમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયે આ મોતની પુષ્ટી કરી હતી.
એક રિપોર્ટ અનુસાર, ઈઝરાયલના સંરક્ષણ દળોએ ગાઝાના ગીચ રહેણાંક વિસ્તારો, એક એપાર્ટમેન્ટ, શાળા, સ્ટેડિયમ અને શરણાર્થી ટેન્ટને નિશાન બનાવ્યા હતા. બોમ્બમારા પછી સમગ્ર વિસ્તારમાં મૃતદેહો જ દેખાતા હતા. વિસ્થાપિત પેલેસ્ટિનિયન યુસુફ અબુ નાસેરે આ હુમલાની ભયાનકતા વર્ણવી હતી.
આપણ વાંચો: ઈઝરાયલે ગાઝા પર ફરી કર્યો હુમલોઃ અત્યાર સુધીમાં 56,000થી વધુ લોકોના મૃત્યુ
યુસુફ અબુ નાસેરે કહ્યું હતું કે “હુમલા પછી બધું ધૂળ અને આગમાં ફેરવાઈ ગયું. ટેન્ટ નીચે દટાઇ ગયેલા મે મારા પિતાને બહાર કાઢ્યા હતા. મારી બહેન પણ તંબુ નીચે દટાઇ ગઇ હતી. તે શ્વાસ લઈ શકતી નહોતી. તે ખરાબ રીતે ઘાયલ થઈ ગઈ હતી. મારા પિતાને પગ પર ગંભીર ઇજા પહોંચી હતી. મેં કોઈક રીતે તેમને ત્યાંથી બહાર કાઢ્યા હતા.
નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે આવતા અઠવાડિયે ઈઝરાયલ અને પેલેન્સ્ટાઇન વચ્ચે યુદ્ધવિરામ પર સહમતિ થઈ શકે છે. પરંતુ ઇઝરાયલી હુમલાએ આ આશાઓ પર પાણી ફેરવી દીધું હતું.
આ પહેલા શનિવારે ગાઝામાં ખાન યુનિસ અને જબાલિયા શરણાર્થી શિબિરો પર થયેલા હુમલામાં 42 લોકો માર્યા ગયા હતા. તે પહેલા શુક્રવારે થયેલા હુમલામાં 28 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા. આ રીતે ત્રણ દિવસમાં મૃત્યુઆંક 150ની નજીક પહોંચી ગયો છે.