ઈઝરાયલે ઈરાનને તહેરાન ખાલી કરવાની આપી ચેતવણી

તહેરાન: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ચોથા દિવસે પણ ઉગ્ર બન્યું છે, જેના કારણે મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ છે. ઈઝરાયેલે દાવો કર્યો છે કે, જીતની નજીક છે. આ ઉપરાંત ઈઝરાયલે ઈરાનની રાજધાની તહેરાનને ખાલી કરવાની ચેતવણી પણ આપી છે. આ સંઘર્ષમાં અત્યાર સુધી ઈરાનમાં 224 અને ઈઝરાયેલમાં 15 લોકોના મોત થયા છે. ઈઝરાયલની આ આકરી ધમકીએ વૈશ્વિક ચિંતા વધારી છે, અને આંતરરાષ્ટ્રીય સમુદાય શાંતિની અપીલ કરી રહ્યો છે.
ઈઝરાયલનો દાવો અને ચેતવણી
ઈઝરાયલે ઈરાનની રાજધાની તેહરાન પર એર સ્પેસ પર કબ્જો મેળવી લીધો હોવાનો દાવો કર્યો છે અને તહેરાનના નાગરિકોને શહેર ખાલી કરવાની ચેતવણી આપી છે. ઈઝરાયલની સેનાએ જણાવ્યું કે તેમણે ઈરાનના પરમાણુ કેન્દ્રો, મિસાઈલ સિસ્ટમ અને હવાઈ સંરક્ષણ એકમોને નષ્ટ કરી દીધા છે. ઈઝરાયલનું કહેવું છે કે તેમના લડાકુ વિમાનો હવે તહેરાનના અવરોધ વિના આકાશમાં ઉડી શકે છે. જેનો જવાબ ઈરાને તેલ અવીવ અને યરૂશલેમ પર મિસાઈલ હુમલાઓથી આપ્યો છે.
આ પણ વાંચો - ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: 10,000 ભારતીય પર ખતરો, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ!
આ યુદ્ધે મધ્ય પૂર્વમાં અસ્થિરતા વધારી છે. ઈઝરાયલના “ઓપરેશન રાઈઝિંગ લાયન” હેઠળ ઈરાનના લશ્કરી અને પરમાણુ સ્થળો પર થયેલા હુમલાઓએ ઈરાનના પરમાણુ કાર્યક્રમને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ઈરાને આનો પ્રતિકાર કરતાં ઈઝરાયલના શહેરો પર સેંકડો મિસાઈલો ઝીંકી છે, જેનાથી ઈઝરાયલમાં નોંધપાત્ર નુકસાન થયું છે. આ સંઘર્ષે વૈશ્વિક બજારો, ખાસ કરીને ક્રૂડ ઓઈલના ભાવોમાં 7%નો વધારો કર્યો છે, જેની અસર યુરોપ અને એશિયામાં જોવા મળી રહી છે.