ઇન્ટરનેશનલ

ઇઝરાયલના ડરથી ઈરાનની રાજધાની તેહરાનમાં ફફડાટ: લાખો લોકો શહેર છોડી રહ્યા છે

તેહરાન: ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાર દિવસ પહેલા શરુ થયેલું યુદ્ધ લાંબો સમય ચાલે એવી શકયતા છે. રવિવારે ઈરાનના હુમલામાં ઇઝરાયલમાં 8 લોકોના મોત થયા હતાં. ઇઝાયલના હુમલાને કારણે ઈરાનને પણ મોટું નુકશાન પહોંચ્યું છે, ઈરાનમાં મૃત્યુઆંક 224 પર પહોંચી ગયો છે, જ્યારે 1,277 અન્ય ઘાયલ થયા છે. ઇઝરાયલ ઈરાનની રાજધાની તેહરાન પર હુમલા સઘન બનાવે તેવી શક્યતા છે. એવામાં શહેરમાં ફફડાટનો માહોલ છે. લોકો તેહરાન છોડીને ગ્રામ્ય વિસ્તાર તરફ જઈ રહ્યા છે.

અહેવાલ મુજબ ઈરાનની રાજધાની તેહરાન સાથે જોડાયેલા રોડ્સ પર ભારે ટ્રાફિક હોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ગાડીઓ શહેરની બહાર તરફ જઈ રહી છે. તેહરાનમાં મિસાઈલ એટેકના સાયરન સતત વાગી રહ્યા છે, જેને કારણે શહેરમાં ગભરાટનો માહોલ છે. આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલ મુજબ લોકો ઈરાનના ઉત્તરમાં ગ્રામીણ વિસ્તારોમાં તરફ પલાયન કરી રહ્યા છે. ભારે ધસારાને કારણે રસ્તાઓ જામ થઇ ગયા છે. પેટ્રોલ પંપ પર પણ વાહનોની લાંબી લાઈન જોવા મળે છે.

સરકારનો ખાતરી આપવાનો પ્રયાસ:

ઈરાની સરકાર લોકોને સલામતીની ખાતરી આપવાનો પ્રયાસ કરી રહી છે. ઈરાની સરકારના પ્રવક્તા ફાતેમેહ મોહજેરાનીએ સરકારી ન્યુઝ ચેનલ સાથે વાત કરતા કહ્યું કે ઈરાનીઓ ઇઝરાયલી હુમલા દરમિયાન મસ્જિદો અને શાળાઓમાં તેમજ મેટ્રો સિસ્ટમમાં આશરો લઈ શકે છે, રવિવાર રાતથી તમામ સ્થળો ખુલ્લા રહેશે.

એક અધિકારીએ કહ્યું, “ખોરાક, દવા, બળતણની કોઈ અછત નથી. દુર્ભાગ્યવશ, તેહરાન અને અમારા અન્ય શહેરોમાં કોઈ બોમ્બ શેલ્ટર નથી.”

તેમણે કહ્યું કે ઇઝરાયલમાં મૃત્યુઆંક ઓછો છે કારણ કે દેશમાં બોમ્બ શેલ્ટર્સ છે અને હુમલાઓ માટે નિયમિત ડ્રીલ યોજવામાં આવે છે. જરૂર પડે ભૂગર્ભ મેટ્રો નેટવર્કનો ઉપયોગ કરવામાં આવશે.

કેટલાક લોકો ઈરાનથી તુર્કી ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા છે, સરહદ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા છે. દરમિયાન, ઈરાન-અઝરબૈજાન સરહદ પર પણ લોકો પહોંચી રહ્યા છે.

આ પણ વાંચો…ઇઝરાયેલ ઇરાન પર વધુ ભિષણ હુમલા કરશે; સેના પ્રમુખે આપી ચેતવણી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button