ઈઝરાયલે કુખ્યાત એવિન જેલ પર કર્યો હતો હુમલોઃ ઈરાને કર્યો ચોંકાવનારો દાવો…

દુબઈઃ ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ઇઝરાયલે તેહરાનની કુખ્યાત એવિન જેલ પર ભયાનક હુમલો કર્યો હતો. ઈરાનના ન્યાયતંત્રએ જણાવ્યું હતું કે 23 જૂનના રોજ જેલ પર ઇઝરાયલી હુમલામાં ઓછામાં ઓછા 71 લોકો માર્યા ગયા હતા. આ જેલમાં ઘણા રાજકીય કાર્યકરોને રાખવામાં આવ્યા છે. આ ઈરાન પર ઈઝરાયલનો સૌથી મોટો હુમલો માનવામાં આવી રહ્યો હતો. સરકારી ન્યૂઝ એજન્સી ‘મિઝાન’ની વેબસાઇટ પર પ્રસારિત થયેલા એક સમાચારમાં ન્યાયતંત્રના પ્રવક્તા અસગર જહાંગીરે જણાવ્યું હતું કે માર્યા ગયેલા લોકોમાં કર્મચારીઓ, સૈનિકો, કેદીઓ અને કેદીઓને મળવા આવેલા પરિવારના સભ્યોનો સમાવેશ થાય છે.
જોકે જહાંગીરે જાનહાનિના આંકડા આપ્યા નહોતા પરંતુ કહ્યું કે આ હુમલો જેલના ઇન્ફર્મરી, એન્જિનિયરિંગ બિલ્ડિંગ, ન્યાયિક બાબતો અને મુલાકાત હોલ પર થયો હતો, જ્યાં મુલાકાતી પરિવારના સભ્યો માર્યા ગયા અને ઘાયલ થયા હતા હુમલાના દિવસે ન્યૂયોર્ક સ્થિત સેન્ટર ફોર હ્યુમન રાઇટ્સ ઈન ઈરાને ઈઝરાયલ દ્વારા જેલ પર હુમલો કરવા બદલ ટીકા કરી હતી, જેને ઈરાની શાસન દ્વારા કોઈપણ વિરોધ પર દમનના પ્રતિક તરીકે જોવામાં આવે છે, અને કહ્યું હતું કે તે નાગરિક અને લશ્કરી લક્ષ્યો વચ્ચેના ભેદના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે.
જૂથે કહ્યું કે ઈરાન કાયદાકીય રીતે એવિન જેલમાં બંધ કેદીઓની સુરક્ષા માટે બાધ્ય છે અને હુમલા બાદ “બહાર કાઢીને’ તબીબી સહાય પૂરી પાડવામાં અથવા પરિવારોને જાણ કરવામાં નિષ્ફળતા” બદલ તેહરાનમાં અધિકારીઓની નિંદા કરી હતી. જહાંગીરે કહ્યું કે ઘાયલોમાંથી કેટલાકને સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી જ્યારે અન્યને હોસ્પિટલોમાં મોકલવામાં આવ્યા હતા. ઈરાને અગાઉ કોઈ મૃત્યુઆંક જાહેર કર્યો ન હતો. ઇઝરાયલે 13 જૂને દેશના પરમાણુ કાર્યક્રમનો નાશ કરવાના પ્રયાસમાં ઇરાન પર હુમલો કર્યો હતો.
યુદ્ધવિરામ જાહેર થયાના 12 દિવસ પહેલા ઇઝરાયલે દાવો કર્યો હતો કે તેણે લગભગ 30 ઇરાની કમાન્ડરો અને 11 પરમાણુ વૈજ્ઞાનિકોને મારી નાખ્યા હતા, જ્યારે આઠ પરમાણુ સંબંધિત સુવિધાઓ અને 720થી વધુ લશ્કરી માળખાગત સ્થળોને નિશાન બનાવ્યા હતા. વોશિંગ્ટન સ્થિત માનવ અધિકાર કાર્યકરો જૂથ અનુસાર, 1,000થી વધુ લોકો માર્યા ગયા હતા, જેમાં ઓછામાં ઓછા 417 નાગરિકોનો સમાવેશ થાય છે. બદલામાં ઇરાને ઇઝરાયલ પર 550થી વધુ બેલિસ્ટિક મિસાઇલો છોડી હતી.