યુદ્ધથી થાક્યા કે ઉંમરથી થાક્યા! ઈરાન સુપ્રિમ લીડરના નિરસ વિજય ઘોષણાથી વિશ્વમાં કુતૂહલ

તહેરાન: ઈરાનના સુપ્રિમ લીડર આયાતુલ્લા અલી ખામેની પોતાના દમદાર ભાષણોને લઈ જાણીતા છે. તેમના શબ્દો દેશા નાગરિકોમાં નવો ઉત્સાહ જગાડતા હતા. જોકે તેમણે ઈરાન ઈઝરાયલ યુદ્ધ બાદ કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. જ્યારે હવે યુદ્ધના 12 દિવસ બાદ તેમણે પોતાની પ્રતિક્રિયા આપી છે. ઉલ્લેખનીય છે કે તેમણે પ્રતિક્રિયામાં જીતનો દાવો માંડ્યો હતો. પરંતુ આ વખત તેમની શખ્સિયતમાં પહેલા જેવો જોમ અને જુશો ન જોવા મળ્યો. આ ઘટનાએ તેમની નબળી પડતી પકડ અને ઈરાનની રાજકીય સ્થિતિ પર સવાલો ઉભા કર્યા છે. ઉલ્લેખનીય છે કે ખામેનીની ઉંમર હાલ 86 વર્ષ થઈ છે.
શુક્રવારે ખામેની ટીવી પર દેખાયા, જ્યાં પૃષ્ઠભૂમિમાં 1979ની ઈસ્લામિક ક્રાંતિના નેતા આયાતુલ્લા ખુમેનીનું ચિત્ર હતું. સામાન્ય પડદો અને શાંત વાતાવરણમાં તેમનું ભાષણ નિરસ હતું. એક અહેવાલ મુજબ, ઈઝરાયલના હુમલાના ડરથી તેઓ હજુ છુપાયેલા હોઈ શકે છે. ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ ગુરુવારે જણાવ્યું હતું કે યુદ્ધ દરમિયાન ખામેનીને નિશાન બનાવવાની તક ચૂકી ન હોત.
રાજકીય પડકારો
વિશ્લેષકોનું માનવું છે કે ઈઝરાયલ સાથેના યુદ્ધ બાદ ખામેનીની સત્તા નબળી પડી છે. હમાસ અને હિઝબુલ્લાહ જેવા સમર્થક જૂથોનું પતન, સીરિયામાં બશર અલ-અસદની સત્તા ગુમાવવી અને ઈરાનમાં આર્થિક સંકટે તેમની પકડ ઢીલી કરી છે. ઓટાવા યુનિવર્સિટીના પ્રોફેસર આ મામલે કહ્યું કે શાસન હજુ પતનની કગાર પર નથી, પરંતુ ક્રાંતિના શરૂઆતી વર્ષોની સરખામણીમાં નબળું થયું છે.
ઉત્તરાધિકારનો પ્રશ્ન
1981માં ખામેની પર હત્યાનો પ્રયાસ થયો હતો, જેમાં તેમનો જમણો હાથ લકવાગ્રસ્ત થયો. જોકે, ઈરાનમાં ઉત્તરાધિકારની ચર્ચા નિષિદ્ધ છે અને તેની કોઈ સ્પષ્ટ પ્રક્રિયા નથી. બોસ્ટન યુનિવર્સિટીના અર્શ અઝીઝીએ જણાવ્યું કે ખામેનીનું ભાષણ “નબળું અને થાકેલું” હતું, જે તેમની જૂની શૈલીથી વિપરીત છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, યુદ્ધ દરમિયાન તેઓ બંકરમાં રહ્યા અને ડિજિટલ સંચારથી દૂર રહ્યા, જેનાથી તેમની સત્તા પર પ્રશ્નો ઉભા થયા છે.
આ પણ વાંચો…યુદ્ધવિરામ પછી ઈરાન-ઈઝરાયલ વચ્ચે વિવાદઃ યુરેનિયમ મુદ્દે ઈઝરાયલની ધમકી