ઈરાનના મૌલવીએ ડોનાલ્ડ ટ્રમ્પ અને નેતન્યાહૂ વિરુદ્ધ ફતવો જાહેર કર્યો, અલ્લાહના દુશ્મન ગણાવ્યા

તેહરાન: ઈરાનના ટોચના મૌલવીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વિરુદ્ધ ફતવો જાહેર કર્યો છે. જેમાં તેમને અલ્લાહના દુશ્મન ગણાવ્યા છે અને અલ્લાહના દુશ્મનોનો નાશ કરવાની ધમકી આપી છે. ગ્રાન્ડ આયતુલ્લાહ નાસેર મકરમ શિરાઝીના ફરમાનમાં વિશ્વભરના મુસ્લિમોને એક થવા અને ઇસ્લામિક રિપબ્લિકના નેતૃત્વને ધમકી આપનારા અમેરિકન અને ઇઝરાયલી નેતાઓનો ખાત્મો બોલવવા હાકલ કરી છે.
અલ્લાહના દુશ્મનોનો નાશ કરશે
મીડિયા અહેવાલ મુજબ મકરમે ફતવામાં કહ્યું હતું કે, કોઈપણ વ્યક્તિ અથવા શાસન જે નેતા અથવા મરજા (અલ્લાહ) ને ધમકી આપે છે તેને મોહરેબ માનવામાં આવે છે. મોહરેબ એવી વ્યક્તિ છે જે અલ્લાહ સામે યુદ્ધ કરે છે અને ઈરાની કાયદા હેઠળ મોહરેબ તરીકે ઓળખાતા લોકોને મૃત્યુદંડ, ક્રુસિફિકેશન, અંગવિચ્છેદન અથવા દેશનિકાલનો સામનો કરવો પડી શકે છે.
દુશ્મનોને ભૂલો માટે પસ્તાવો કરાવે
ફતવામાં જણાવાયું છે કે મુસ્લિમો અથવા ઇસ્લામિક રાજ્યો દ્વારા તે દુશ્મન માટે કોઈપણ સહયોગ અથવા સમર્થન હરામ અથવા પ્રતિબંધિત છે. વિશ્વભરના તમામ મુસ્લિમો માટે એ જરૂરી છે કે તે આ દુશ્મનોને તેમના શબ્દો અને ભૂલો માટે પસ્તાવો કરાવે. તેમજ કોઇપણ મુસલમાન જો પોતાના મુસ્લિમ ધર્મનું પાલન કરે છે અને મુશ્કેલીઓનો સામનો કરે છે. તો તેને અલ્લાહની રાહમાં જો અલ્લાહ ઈચ્છે તો યોદ્ધા તરીકે નવાજવામાં આવશે.
અલ્લાહ સામેના યુદ્ધ તરીકે પણ જોવામાં આવશે
આ ફતવામાં વધુમાં જણાવાયું છે કે જે લોકો ઈરાનના સર્વોચ્ચ નેતાને ધમકી આપે છે અથવા તેમની હત્યા કરવાનો પ્રયાસ કરે છે તેઓ અલ્લાહના ક્રોધનો સામનો કરશે અને આવા કૃત્યને માત્ર અલ્લાહના અપમાન તરીકે જ નહીં પરંતુ અલ્લાહ સામેના યુદ્ધ તરીકે પણ જોવામાં આવશે.