ઈરાન બિનશરતી શરણે થાય: ડોનાલ્ડ ટ્રમ્પે ખામેનીને આપી સીધી ધમકી

વોશિંગ્ટન ડીસી: મધ્ય પૂર્વમાં ઇઝરાયલ અને ઇરાન વચ્ચેનું સંઘર્ષ દિવસેને દિવસે ખતરનાક બની રહ્યું છે. બંને દેશો વચ્ચે મિસાઇલ હુમલાઓ અને સૈન્ય કાર્યવાહીઓએ વિનાશનું જોખમ વધારી દીધું છે. ઇઝરાયલના હુમલાઓમાં ઇરાનના અનેક સૈન્ય અધિકારીઓ અને પરમાણુ વૈજ્ઞાનિકો માર્યા ગયા છે, જ્યારે ઇરાને પણ ઇઝરાયલના શહેરો પર મિસાઇલ વરસાવીને જવાબ આપ્યો છે. આ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ઇરાનને કડક ચેતવણી આપી છે, જેણે વૈશ્વિક સ્તરે ચિંતા વધારી છે.
ઇઝરાયલે ઇરાનના પરમાણુ કાર્યક્રમ અને સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવીને શ્રેણીબદ્ધ હુમલા કર્યા, જેમાં ઘણા વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ અને વૈજ્ઞાનિકોનો ખાતમો થયો. ઇરાને જવાબમાં તેલ અવીવ અને હૈફા જેવા ઇઝરાયલના મોટા શહેરો પર બેલિસ્ટિક મિસાઇલો દાગી, બંને દેશોમાં જનજીવન યુદ્ધના કારણે ખોરવાય ગયુ છે. આ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રંપે ઇરાનને બિનશરતી આત્મસમર્પણ કરવાનું કહ્યું અને દાવો કર્યો કે તેઓ ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા ખામેનીનું ગુપ્ત સ્થાન જાણે છે.
ટ્રંપની ચેતવણીએ અમેરિકાની સંડોવણીના સંકેત આપ્યા છે, જોકે તેમણે સ્પષ્ટ કર્યું કે અમેરિકા હજુ આ યુદ્ધમાં સીધું સામેલ નથી. ઇરાને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાના હુમલાઓને ‘સ્વરક્ષણ’ ગણાવ્યા છે, જ્યારે ઇઝરાયલે ઇરાનના પરમાણુ હથિયારોના ખતરાને રોકવાનો દાવો કર્યો છે. આ સંઘર્ષથી વૈશ્વિક તેલ પુરવઠો અને અર્થવ્યવસ્થા પર અસર પડવાની શક્યતા છે.
આ યુદ્ધની શરૂઆત ઇઝરાયલના આકસ્મિક હુમલાથી થઈ, જેને ઇરાને ‘યુદ્ધની ઘોષણા’ ગણાવી. ઇરાનના સૈન્ય ઠેકાણાઓ અને પરમાણુ સુવિધાઓને નોંધપાત્ર નુકસાન થયું છે, પરંતુ ઇરાને પણ ઇઝરાયલના તેલ રિફાઇનરી અને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા. બંને દેશોના હુમલાઓમાં નાગરિકોની જાનહાનિ થઈ, જેનાથી વૈશ્વિક સમુદાયમાં ચિંતા વધી છે. G7 દેશોના નેતાઓએ આ મુદ્દે ચર્ચા કરી, પરંતુ હજુ શાંતિનો કોઈ રસ્તો દેખાતો નથી.
આ પણ વાંચો….ઈરાનમાં ફસાયેલા ભારતીયો માટે સરકારે કંટ્રોલ રૂમ શરૂ કર્યો, હેલ્પલાઈન નંબરો જાહેર…