ઈરાન-ઈઝરાયલ યુદ્ધવિરામ અને IAEA સહયોગ સ્થગિત કરવાના ઈરાનના નિર્ણય પર રશિયાનું મોટું નિવેદન…

મોસ્કો: ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધવિરામથી બંને દેશોના નાગરિકોને રાહત મળી છે. યુદ્ધવિરામને લઈને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ડૉનાલ્ડ ટ્રમ્પને વાત કરી હતી. પરંતુ ડૉનાલ્ડ ટ્રમ્પે તેમની મદદ લેવાનો ઈન્કાર કર્યો હતો. જોકે હવે ઈરાનને લઈને રશિયાના વિદેશ પ્રધાન સેર્ગેઈ લાવરોવે મહત્ત્વનું નિવેદન આપ્યું છે.
ઈરાન નહીં આપે IAEAને સહકાર
ઈઝરાયલ અને અમેરિકા દ્વારા પોતાના પરમાણુ ઠેકાણાઓ પર હુમલો થયા બાદ ઈરાને એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. આંતરરાષ્ટ્રીય મીડિયા પાસેથી મળતી માહિતી મુજબ આંતરરાષ્ટ્રીય અણુ ઊર્જા એજન્સી સાથેનો સહયોગ સ્થગીત કરાશે એવું 25 જૂન, 2025ના રોજ ઈરાનની સંસદમા બિલ પસાર કરવામાં આવ્યું છે. ઈરાનના આ નિર્ણયને લઈને રશિયાના વિદેશ પ્રધાન સેર્ગેઈ લાવરોવે પ્રતિક્રિયા આપી છે.
ઈરાન સહકાર ચાલુ રાખે: રશિયાના વિદેશ પ્રધાન
એક પ્રેસ કોન્ફરન્સમાં સેર્ગેઈ લાવરોવે જણાવ્યું કે, “રશિયા ઈચ્છે છે કે ઈરાન આંતરરાષ્ટ્રીય અણુ ઉર્જા એજન્સી સાથેનો સહયોગ ચાલુ રાખે. અમે ઈચ્છીએ છીએ કે દરેક વ્યક્તિ ઈરાનના સર્વોચ્ચ નેતાનો આદર કરે, જેમણે વારંવાર કહ્યું છે કે ઈરાન પાસે પરમાણુ શસ્ત્રો બનાવવાની કોઈ યોજના નથી અને તે કોઈ રાખશે નહીં.”
ઈરાન-અમેરિકાનો પરમાણુ કરાર થશે ખરો?
ઉલ્લેખનીય છે કે, ઈરાન સાથે વ્યૂહાત્મક ભાગીદારી ધરાવતા રશિયાએ ઇઝરાયલ અને અમેરિકાના હુમલાઓની નિંદા કરતા કહ્યું છે કે તહેરાનને શાંતિપૂર્ણ પરમાણુ ઉર્જા કાર્યક્રમનો અધિકાર છે. જોકે યુદ્ધવિરામના બીજા જ દિવસે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, જ્યારે બંને પક્ષો આગામી વખત વાતચીત કરશે, ત્યારે અમેરિકા અને ઈરાન પરમાણુ કાર્યક્રમ અંગે એક કરાર કરી શકે છે. પરંતુ હવે આ કરાર થશે કે કેમ એ જોવું રહ્યું.