ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: 10,000 ભારતીય પર ખતરો, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ!

તહેરાનઃ ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાર દિવસથી ચાલતો લશ્કરી સંઘર્ષ વધુ ઉગ્ર બન્યો છે. આ યુદ્ધમાં ઈરાનમાં 224 અને ઈઝરાયલમાં 15 લોકોના મોત થયા છે. આ સંઘર્ષે વૈશ્વિક ચિંતા ઉભી કરી છે અને ઈરાનમાં રહેતા લગભગ 10,000 ભારતીયો, ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે જોખમ વધ્યું છે. ભારત સરકારે તેમના બચાવ માટે ખાસ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હોવાનું પણ જણાવ્યું હતું.
ભારતીયોના બચાવ માટે પગલાં
ઈરાનમાં ફસાયેલા 10,000 ભારતીય ખાસ કરીને અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીઓ છે, તેમને સુરક્ષિત બહાર કાઢવા ભારત સરકારે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું છે. ઈરાન સરકારે વિદેશી નાગરિકોને સુરક્ષિત રીતે તેમના દેશ પરત મોકલવા સહમતિ દર્શાવી છે. આ માટે ભારતીયોને અઝરબૈજાન, તુર્કમેનિસ્તાન અને અફઘાનિસ્તાનના રસ્તે બહાર કાઢવામાં આવશે. ભારતીય દૂતાવાસ અને અન્ય એજન્સીઓને સરહદી વિસ્તારોમાં સક્રિય કરાઈ છે.
કાશ્મીરી વિદ્યાર્થીઓ પર હુમલો
ઈરાનની રાજધાની તેહરાનમાં યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સના વિદ્યાર્થીઓના હોસ્ટેલ નજીક થયેલા હુમલામાં બે કાશ્મીરી વિદ્યાર્થી ઘાયલ થયા છે. સુરક્ષાને ધ્યાને રાખીને યુનિવર્સિટી પ્રશાસને આ વિદ્યાર્થીઓને રામસર શહેરમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાએ ઈરાનમાં રહેતા ભારતીયોની સુરક્ષા અંગે ચિંતા વધારી છે.
સરકાર અને નિષ્ણાતોનું વલણ
ભારતીય દૂતાવાસ ઈરાનના સ્થાનિક પ્રશાસન સાથે સતત સંપર્કમાં છે અને ભારતીય નાગરિકોની સુરક્ષા માટે ખાસ દેખરેખ રાખે છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે અમે તમામ પરિસ્થિતી પર નજર કાખી રહ્યા છીએ અને જરૂર પડે તો વધારાની ફ્લાઈટ્સની વ્યવસ્થા કરાશે. નિષ્ણાતો ચેતવણી આપે છે કે આ યુદ્ધ લાંબુ ચાલશે તો પશ્ચિમ એશિયામાં મોટી અસ્થિરતા સર્જાઈ શકે છે, જે ભારત જેવા દેશો માટે પડકારરૂપ બની શકે છે. ભારત સરકારે નાગરિકોને શાંતિ જાળવવા અને અફવાઓથી દૂર રહેવા અને દૂતાવાસના સંપર્કમાં રહેવા અપીલ કરી છે.
આ પણ વાંચો…ઈરાનના પરમાણુ હુમલાના દાવાને પાકિસ્તાને નકાર્યો, કહી આ વાત