કેનેડામાં ભારતીય યુવતીની રહસ્યમય રીતે હત્યા, હોસ્પિટલમાં કરતી હતી કામ

લિંકન : કેનેડામાં પંજાબની 27 વર્ષની યુવતી અમનપ્રીત કૌર સૈનીની ઓન્ટારિયોના લિંકનમાં હત્યા કરવામાં આવી હતી. આ યુવતી મૂળ પંજાબના સંગરુરથી કેનેડા ગઈ હતી. જયારે હત્યારાની ઓળખ 27 વર્ષના મનપ્રીત સિંહ તરીકે થઈ છે. જેની વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કરીને પોલીસ તેની શોધખોળ કરી રહી છે.
20મી તારીખે ગુમ થવાની ફરિયાદ નોંધાવી
આ સમગ્ર ઘટનાની વિગત મુજબ અમનપ્રીતના કાકાએ 20મી તારીખે કેનેડામાં તેના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે તેની હત્યા કરવામાં આવી હતી અને બે દિવસ પછી પોલીસને ઓન્ટારિયોના લિંકનમાંથી અમનપ્રીત કૌર સૈનીનો મૃતદેહ મળી આવ્યો હતો.
અમનપ્રીત ભારત આવવા માટે ખૂબ જ ઉત્સાહિત હતી
આ દુ:ખદ ઘટનાની જાણ થતાં પંજાબના રહેતા અમનપ્રીતના પિતા ઈન્દ્રજીત સિંહે જણાવ્યું હતું કે તેમની પુત્રી ખૂબ જ તેજસ્વી હતી અને કેનેડાની એક હોસ્પિટલમાં કામ કરતી હતી. અમનપ્રીત 2021 માં કેનેડા ગઈ હતી અને ટૂંક સમયમાં તેને પીઆર મળવાનો હતો. અમનપ્રીત ભારત આવવા માટે ખૂબ જ ઉત્સાહિત હતી.
આ ઉપરાંત અમનપ્રીતના પિતાએ જણાવ્યું હતું કે અમનપ્રીતે તેને ક્યારેય તેના જીવનમાં કોઈ આંતરિક સમસ્યાઓ વિશે જણાવ્યું ન હતું. તે હંમેશા તેના પરિવાર સાથે ખુશીથી વાત કરતી હતી. તેમણે કહ્યું કે અમનપ્રીતે તેની મહેનતથી એક કાર પણ ખરીદી હતી અને તે સારું જીવન જીવી રહી હતી.



