અમેરિકામાં ભારતીય વિદ્યાર્થી સાથે ‘ગુનેગાર’ જેવો વ્યવહાર: દૂતાવાસે લીધી ગંભીર નોંધ

નેવાર્ક: ગત ફેબ્રુઆરી મહિનામાં ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઈટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ બન્યા બાદ મોટી સંખ્યામાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને દેશ નિકાલ (Deport) કરવામાં આવી રહ્યા છે. થોડા મહિના પહેલા ભારત મોકલવામાં આવેલા ઇમિગ્રન્ટ્સ સાથે યુએસ વહીવટીતંત્રએ દુર્વ્યવહાર કર્યો હોવાના અહેવાલ હતાં. એવામાં તાજેતરમાં ન્યૂ જર્સીના નેવાર્ક એરપોર્ટ પર પોલીસ અધિકારીઓ દ્વારા ભારતીય વિદ્યાર્થી સાથે અમાનવીય વ્યવહાર થયો હોવાની ઘટના (Indian Student Thrashed at Newark airport) બની હતી. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા એક વિડીયોમાં જોવા મળે છે કે ભારતીય વિદ્યાર્થીને પેટ પર સુવડાવવામાં આવ્યો છે અને તેના હાથ બાંધી દેવામાં આવ્યા છે. આ મામલે ન્યૂ યોર્ક સ્થિત ભારતીય દૂતાવાસ (Indian Embassy in New York) એક નિવેદન બહાર પાડ્યું છે.
ભારતીય-અમેરિકન ઉદ્યોગપતિ કુણાલ જૈને તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ વિડીયો શેર કર્યો હતો, તેઓ ઘટના સમયે નેવાર્કના લિબર્ટી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હાજર હતાં. આ વીડિયો વાયરલ થતા અમેરિકામાં વસતા ભારતીયોમાં રોષની લાગણી ફેલાઈ હતી. વિડીયોમાં જોવા મળે છે કે ભારતીય વિદ્યાર્થી સાથે કોઈ રીઢા ગુનેગાર જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. હવે ન્યૂ યોર્ક સ્થિત ભારતીય દૂતાવાસે આ ઘટના નોંધ લીધી છે અને તપાસ કાર્યવાહી શરુ કરી છે.
દૂતાવાસે X પર લખ્યું, ‘અમે સોશિયલ મીડિયા પર પોસ્ટ જોઈ છે. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે નેવાર્ક લિબર્ટી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક ભારતીયને મુશ્કેલી સહન કરવી પડી હતી. અમે સ્થાનિક વહીવટીતંત્ર સાથે સંપર્કમાં છીએ. કોન્સ્યુલેટ ભારતીયોના હિતોનું રક્ષણ કરવા માટે હમેશા હાજર છે.’
વિદ્યાર્થી સાથે અમાનવીય વ્યવહાર:
વાયરલ થયેલા વિડીયોમાં જોવા મળે છે કે બે સુરક્ષા અધિકારીઓએ વિદ્યાર્થીને પકડી રાખ્યો છે અને તેને પેટ પર સુવડાવ્યો છે. તેના હાથ અને પગ બાંધી દેવામાં આવ્યા છે. આ દરમિયાન, ભારતીય વિદ્યાર્થી મદદ માટે વિનંતી કરી રહ્યો છે.
વિદ્યાર્થીને યુએસ વહીવટીતંત્ર દ્વારા દેશમાં ગેરકાયદેસર રીતે પ્રવેશવાના આરોપમાં પકડવામાં આવ્યો હતો અને તેને ભારત પાછો મોકલી દેવામાં આવ્યો હતો.
ઉદ્યોગપતિ એમ્બસીને વિનંતી કરી:
ઉદ્યોગપતિ કુણાલ જૈને X પર લખ્યું, ‘મેં એક યુવાન ભારતીય વિદ્યાર્થીને નેવાર્ક એરપોર્ટ પરથી ડીપોર્ટ થતો જોયો. ગઈકાલે રાત્રે આ ઘટના બની, તેના બંને હાથ બાંધેલા હતા. તેની સાથે ગુનેગાર જેવો વ્યવહાર કરવામાં આવ્યો. તેના સપના હતા અને તે તેને પૂરા કરવા આવ્યો હતો. તેનો કોઈને નુકસાન પહોંચાડવાનો ઈરાદો નહોતો. એક NRI તરીકે હું લાચાર હતો અને તેને મદદ કરી શક્યો નહીં. આ હૃદયદ્રાવક છે.’
કુણાલ જૈને અમેરિકામાં ભારતીય દૂતાવાસને પણ આ મામલાની તપાસ કરવા અને વિદ્યાર્થીને જરૂરી મદદ પૂરી પાડવા અપીલ કરી હતી.
આ પણ વાંચો…ટ્રમ્પ-મસ્ક વચ્ચે સંબંધોમાં તિરાડ, ટ્રમ્પે કહ્યું ‘મસ્કનું મગજ ખરાબ થઈ ગયું છે!’