Syriaમાં સ્થિતિ ગંભીર, ભારતે નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી

નવી દિલ્હી : સીરિયામાં(Syria)આંતરિક યુદ્ધના કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ભારત સરકાર બગડતી પરિસ્થિતિથી ચિંતિત છે. તેને ધ્યાનમાં રાખીને ભારતીય વિદેશ મંત્રાલયે મોડી રાત્રે નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. વિદેશ મંત્રાલય દ્વારા હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. તેમજ સાથે સિરીયા મુસાફરી ન કરવાની પણ સલાહ આપવામાં આવી છે. વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કર્યું, “સીરિયાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતીય નાગરિકોને આ સંદર્ભમાં વધુ માહિતી આપવામાં ન આવે ત્યાં સુધી સીરિયા ન જવાની સલાહ આપવામાં આવે છે.

સલામતીની કાળજી લેવી જોઈએ
સીરિયામાં રહેતા ભારતીય નાગરિકોને ભારતીય દૂતાવાસનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવે છે. ઈમરજન્સી હેલ્પલાઈન નંબર અને વોટ્સએપ નંબર પણ જાહેર કર્યો છે. તેમજ જેઓ હાલમાં સીરિયામાં છે તેઓએ શક્ય તેટલી વહેલી તકે ત્યાંથી પાછા ફરવાનો પ્રયાસ કરવો જોઈએ અને તેમની સલામતીની કાળજી લેવી જોઈએ.
Also read: ઈઝરાયલે સીરિયાની રાજધાની દમાસ્કસમાં રહેણાંક બિલ્ડીંગ પર એર સ્ટ્રાઈક કરી, 5ના મોત
સીરિયન શહેર હોમ્સ પર પણ મોટા પ્રમાણમાં કબજો કરી લીધો
ઈસ્લામિક બળવાખોરોએ સીરિયામાં નિયંત્રણ મેળવ્યું છે. ત્યારે ભારતે શુક્રવારે કહ્યું હતું કે તે ત્યાંની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. દેશના સૌથી મોટા શહેર એલેપ્પોના મોટા ભાગના વિસ્તાર પર કબજો કર્યા પછી, ગુરુવારે બળવાખોરોએ મધ્ય સીરિયન શહેર હોમ્સ પર પણ મોટા પ્રમાણમાં કબજો કરી લીધો. હજારો લોકોને હોમ્સ છોડવું પડ્યું છે.
દક્ષિણ કોરિયાની સ્થિતિ પર પણ નજર
જ્યારે દક્ષિણ કોરિયામાં ઝડપથી બદલાતી રાજકીય ઘટનાક્રમ વિશે પૂછવામાં આવ્યું ત્યારે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે ભારત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. દક્ષિણ કોરિયાની શાસક પીપલ્સ પાવર પાર્ટી (PPP) ના વડાએ શુક્રવારે ‘માર્શલ લો’ લાદવા માટે રાષ્ટ્રપતિ યુન સુક યેઓલની બંધારણીય સત્તાઓને સસ્પેન્ડ કરવાનું સમર્થન કર્યું હતું. જેનાથી યુન પર મહાભિયોગ થવાની સંભાવના વધી હતી.