બાંગ્લાદેશમાં હિંસામાં Godhraના 20 વિદ્યાર્થીઓ અટવાયા, સલામત પરત લાવવા માગ
![20 Godhra students stuck in violence in Bangladesh, want to bring them back safely](https://bombaysamachar.com/wp-content/uploads/2024/07/Yogesh-2024-07-21T112519.094.jpg)
અમદાવાદ : બાંગ્લાદેશમાં અનામતના મુદ્દે ચાલી રહેલા આંદોલન હિંસક સ્વરૂપ ધારણ કર્યુ છે. જેમાં કમાન સેનાના હાથમાં આપવામાં આવી છે અને અનેક સ્થળોએ કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે. જો કે આ દરમ્યાન બાંગ્લાદેશમાં અભ્યાસ અર્થે ચિતાગોંગમાં તબીબી અભ્યાસ માટે ગયેલા ગોધરાના(Godhra) 20થી વધુ વિદ્યાર્થી અટવાયા છે. જેમના પરિવારો ભારે ચિંતિત છે. તેમજ આ વિદ્યાર્થીઓને સલામત રીતે પરત લાવવા કેન્દ્ર સરકારને માગ કરી છે.
અધિકારીઓ દ્વારા મીટિંગ કરી સુરક્ષા સાથે દરેક મદદની ખાતરી આપી
જો કે મળતી માહિતી મુજબ ગોધરા ખાતેના તેમના પરિવારો હાલ ચિંતિત છે. પણ તમામ વિધાર્થીઓ હાલ સુરક્ષિત હોવાનું પરિવારજનો દ્વારા જણાવ્યું હતું. વિધાર્થીઓ સાથે ગત રોજ ભારતીય કોન્સુલેટના અધિકારીઓ દ્વારા મીટિંગ કરી સુરક્ષા સાથે દરેક મદદની ખાતરી આપી છે.
105 લોકોના મોત થયા
બાંગ્લાદેશમાંહિંસક વિરોધ પ્રદર્શનને કારણે સ્થિતિ અત્યંત નાજુક છે. અત્યાર સુધીમાં 105 લોકોના મોત થયા છે. આ અત્યંત સંવેદનશીલ પરિસ્થિતિમાં સરકારે હવે કાયદો અને વ્યવસ્થા સંભાળવાની કમાન સેનાને સોંપી દીધી છે. સમગ્ર દેશમાં કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે.
રેલી અને પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો
બાંગ્લાદેશમાં સરકારે શુક્રવારે કર્ફ્યુ લાદી દીધો હતો અને સરકારી નોકરીઓમાં ક્વોટાને લઈને ઘણા દિવસોથી ચાલી રહેલા હિંસક વિરોધ વચ્ચે સેનાને તૈનાત કરી હતી. બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાના પ્રેસ સચિવ નઈમુલ ઈસ્લામ ખાને કહ્યું કે દેશમાં કોઈપણ પ્રકારની રેલી અને પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.