પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન 11 જૂને જેલમાંથી મુક્ત થવાની શક્યતા | મુંબઈ સમાચાર

પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન 11 જૂને જેલમાંથી મુક્ત થવાની શક્યતા

ઇસ્લામાબાદ: પાકિસ્તાનની જેલમાં બંધ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં 11 જૂને જામીન મળવાની શક્યતા છે. તેમની પાર્ટીના એક ટોચના નેતાએ એક નિવેદન આપ્યું છે. ઇસ્લામાબાદ હાઇકોર્ટ 11 જૂને 190 મિલિયન પાઉન્ડના અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીની સજા સ્થગિત કરવાની માંગ કરતી અરજીઓ પર સુનાવણી કરવા જઈ રહી છે. ઇમરાન ખાન ઓગસ્ટ 2023 થી અનેક કેસોમાં અદિયાલા જેલમાં બંધ છે.

સુનાવણી 11 જૂન સુધી મુલતવી રાખી હતી

ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈ ના વડા ગૌહર અલી ખાને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે 11 જૂન ઇમરાન ખાન અને તેમની પત્ની બંને માટે મહત્વપૂર્ણ દિવસ બનવાનો છે. આ અગાઉ ઇસ્લામાબાદ હાઇકોર્ટે અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં અરજીઓની સુનાવણી 11 જૂન સુધી મુલતવી રાખી હતી. મીડિયા અહેવાલો અનુસાર, રાષ્ટ્રીય જવાબદારી બ્યુરો દ્વારા દલીલો તૈયાર કરવા માટે વધારાનો સમય માંગવામાં આવતા સુનાવણી મુલતવી રાખવામાં આવી હતી.

વિપક્ષી પક્ષો સાથે મળીને એક આંદોલન શરૂ કરશે

પીટીઆઈના વડા ગૌહર અલી ખાને શનિવારે એક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે પીટીઆઈ વિપક્ષી પક્ષો સાથે મળીને એક આંદોલન શરૂ કરશે. જેનું નેતૃત્વ ઇમરાન ખાન જેલમાંથી કરશે. તેમણે દેશના અસ્તિત્વ અને સુરક્ષા માટે વિપક્ષી પક્ષોને પીટીઆઈમાં જોડાવા વિનંતી કરી અને જણાવ્યું કે આગામી બજેટ માટેની વ્યૂહરચના નક્કી થઈ ગઈ છે. તેમણે કહ્યું, પાર્ટી આ સંદર્ભમાં 9 જૂને એક પ્રેસ કોન્ફરન્સ સંબોધશે.

પાર્ટીમાં આંતરિક વિખવાદની અફવાઓને પણ ફગાવી

ગૌહર ખાને દાવો કર્યો હતો કે પીટીઆઈના સ્થાપક પર દબાણ લાવવા માટે ઈમરાન ખાનની પત્ની બુશરા બીબીને કોઈપણ આરોપ વિના જેલમાં રાખવામાં આવી રહી છે. તેમણે દાવો કર્યો હતો કે ઈમરાન ખાનની મુક્તિ માટે કોઈ સોદો કરવામાં આવશે નહીં. તેમણે પીટીઆઈમાં આંતરિક વિવાદની અફવાઓને પણ ફગાવી દીધી હતી.

ઈમરાન ખાન પર અનેક કેસો

જ્યારે ખૈબર પખ્તુનખ્વાના મુખ્ય પ્રધાન અને ઈમરાન ખાનની પીટીઆઈ પાર્ટીના અગ્રણી નેતા અલી અમીન ગંડાપુરે આ અઠવાડિયાની શરૂઆતમાં ઈમરાન ખાનની મુક્તિ માટે એક વિશાળ આંદોલન શરૂ કરવાની ધમકી આપી હતી. ઈમરાન ખાન હાલમાં અનેક કેસોનો સામનો કરી રહ્યા છે અને તેમાંથી કેટલાકમાં તેમને દોષિત ઠેરવવામાં આવ્યા છે. તેમણે ગયા વર્ષે 8 ફેબ્રુઆરીની સામાન્ય ચૂંટણીઓને અયોગ્ય ગણાવી હતી.

આ પણ વાંચો….ઇમરાન ખાનના મોતની ફરી `અફવા’ વચ્ચે ભૂતપૂર્વ પત્ની રેહમ ખાનને હતી આ દહેશત…

Back to top button